Gujaratna Bandaro – Ports of Gujarat

ગુજરાતના બંદરો / Ports of Gujarat

Gujaratna Bandaro

ભારતનાં કુલ 9 રાજ્યો દરિયાકિનારો ધરાવે છે તે પૈકીનું એક રાજ્ય ગુજરાત છે. ગુજરાત ભારતનો સૌથી લાંબો દરિયાકિનારો (1600 કિ.મી) ધરાવે છે. ગુજરાત એ ખંભાતના અખાત, કચ્છના અખાત અને અરબ સાગરથી ઘેરાયેલું છે.

ગુજરાત દેશના દરિયાકિનારાનો 28% જેટલો દરિયાકિનારો ધરાવે છે.

ભારતનું જ નહિ વિશ્વનું સૌથી પ્રાચીન બંદર ‘લોથલ” ગુજરાતના દરિયાકિનારે હતું. કચ્છના રામજી માલમ અને હાજી કાસમ જેવા નરબંકાઓએ દરિયો ખેડીની ગુજરાતની નામના વધારી છે.

“લંકાની લાડી અને ઘોઘાનો વર” તથા “જે જાય તે કદી પાછો ન આવે અને જો પાછો આવે તો પડિયાને પડિયા ભરીને સંપત્તિ લાવે” જેવી કહેવતો ગુજરાતમાં સમૃદ્ધ વહાણવટો દર્શાવે છે.

વર્તમાનમાં ગુજરાત 1 મેજર અને 41 નૉન-મેજર બંદરો ધરાવે છે. આમ ગુજરાત કુલ 42 બંદરો ધરાવે છે. તે પૈકી કંડલા બંદરનો વહીવટ “કંડલા પોર્ટ ટ્રસ્ટ” થકી કેન્દ્ર સરકાર કરે છે, જ્યારે બાકીનાં 41 બંદરોનો વહીવટ ગુજરાત સરકાર “ગુજરાત મૅરીટાઇમ બોર્ડ” દ્વારા કરે છે. એમાં 11 મધ્યમ કક્ષાનાં બંદરો અને 30 નાનાં બંદરોનો સમાવેશ થાય છે.

ઈ.સ.1982માં “ગુજરાત મૅરીટાઇમ બોર્ડ” ની સ્થાપના કરવામાં આવી. ગુજરાત મૅરીટાઇમ બોર્ડ દ્વારા થયેલાં બંદરોના વિકાસમાં ઈ.સ.1995 ની ગુજરાત સરકારની બંદરોની નીતિ જવાબદાર છે. એ મુજબ ખાનગી ક્ષેત્રની મદદથી બંદરોનો વિકાસ તથા બંદરોની આંતર-માળખાકીય સુવિધાઓના વિકાસને આવરી લેવામાં આવ્યો છે.

ઈ.સ.1997માં ગુજરાત સરકારે નીતિ જાહેર કરી, જેને BOOT (Build, Own, Operate and Transfer) Policy તરીકે ઓળખવામાં આવે છે.BOOT Policyના મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ છે :

1. સમયસર માળખાકીય સુવિધાઓ
2. ખાનગી ક્ષેત્રને બંદરનો વહીવટ કરવાની સ્વાયત્તતા
3. પીઠ પ્રદેશના વિકાસ સાથે બંદરનો વિકાસ
4. સરકારની આર્થિક જવાબદારી તદ્દન ઓછી

ગુજરાત સમગ્ર ભારતનું એવું પ્રથમ રાજ્ય છે જેણે માળખાકીય સુવિધાઓ માટેની યોજનાઓમાં ખાનગી મૂડી રોકાણ કરવાને એપ્રિલ 1999માં “ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ઑર્ડિનન્સ’” (GID ધારા, 1999) દ્વારા રક્ષણ પૂરું પાડ્યું છે. આ માટે સરકાર દ્વારા BOOT LAW પણ ઘડવામાં આવ્યો છે.

આ નીતિ અનુસાર ગુજરાતમાં “પીપાવાવ (પોર્ટ વિક્ટર)” બંદર ઈ.સ.1998માં દેશનું સૌપ્રથમ ખાનગી બંદર તરીકે કાર્યરત થયું હતું.

આ ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા બંદર તરીકે વિકસાવવા બીજાં નવાં દસ ગ્રીનફિલ્ડ સ્થળોને પસંદ કરાયાં છે. એમાં છ સ્થળોએ ખાનગી રોકાણને પ્રાધાન્ય આપ્યું છે. જેમાં “મીઠી વીરડી” ખાતે ભારત સરકાર દ્વારા ન્યુક્લિયર પાવર પ્રોજેક્ટ લવાતાં તેને બાદ રાખવામાં આવેલ છે.

બાકીનાં પાંચ સ્થળોમાં ખાનગી ક્ષેત્રના રોકાણકારો જેમકે હજીરા- શેલગૅસ બી.વી. અને ટોટલ ગાઝ ઇલેક્ટ્રિસિટી હોલ્ડિંગ્સ,
ફ્રાન્સ (હજીરા પોર્ટ પ્રાઇવેટ લિમિટેડ)
દહેજ – મેસર્સ પેટ્રોનેટ લિમિટેડ (સ્ટલિંગ બાયોટેક)
મુન્દ્રા – ગુજરાત અદાણી પોર્ટ લિમિટેડ
પકોશિત્રા – મેસર્સ ઍન્કર્સ કૉર્સોર્ટિયમ
ધોલેરા – જે.કે. અને અદાણી ગ્રુપને પસંદ કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત મહુવા – નિરમા કેમિકલ્સ, સૂત્રાપાડા એલ. ઍન્ડ ટી. ખંભાત – આઈ.એલ.એન્ડ એફ.એલ. નોંધપાત્ર છે.

આ ઉપરાંત નવા ગ્રીનફીલ્ડ બંદરોમાં કચ્છીગઢ, મહુવા, ખંભાત, દહેજ અને મોઠવાનો સમાવેશ થાય છે.

ગુજરાત સરકારની અન્ય બંદર નીતિઓ :
કૅપ્ટિવ જેટી – 1987 (વિસ્તરણ – 2008)
પ્રાઈવેટ જેટી મૉડલ – 1996 → સેઝ એક્ટ (ગુજરાત) – 2004
કોસ્ટલ એરિયા ડેવલપમેન્ટ ઑથોરિટીની સ્થાપના – 2006
શિપ બિલ્ડિંગ પૉલિસી – 2010 દ્વારા ખાનગી રોકાણને પ્રોત્સાહન આપી બંને પક્ષે Win Win Situationનું નિર્માણ કર્યું.


ગુજરાતનાં કુલ 41 બંદરોમાંથી 11 મધ્યમ કક્ષાનાં બંદરો આવેલાં છે જે નીચે મુજબ છે :

01. માંડવી
02. નવલખી
03. બેડી
04. પોરબંદર
05. વેરાવળ
06. ભાવનગર
07. ભરૂચ
08. સલાયા
09. સિક્કા
10. મગદલ્લા
11. ઓખા


ગુજરાતનાં કુલ બંદરોની માહિતી :

1. કચ્છ
કાટેશ્વર, જખૌ, મુન્દ્રા, કંડલા, માંડવી

2. મોરબી
નવલખી

3. જામનગર
જોડિયા, બેડી, સિક્કા

4. દેવભૂમિ દ્વારકા
સલાયા, પીંઢારા, રૂપેણ, ઓખા

5. પોરબંદર
પોરબંદર, નવીબંદ૨

6. જૂનાગઢ
માંગરોળ

7. ગીર-સોમનાથ
વેરાવળ, રાજપરા, નવાબંદર, માઢવડ

8. અમરેલી
જાફરાબાદ, પીપાવાવ, કોટડા

9. ભાવનગર
ભાવનગર, મહુવા, ઘોઘા, તળાજા

10. અમદાવાદ
ધોલેરા

11. આણંદ
ખંભાત

12. ભરૂચ
દહેજ, ભરૂચ

13. સુરત
ભગવા, મગદલ્લા, હજીરા

14. નવસારી
ઓજલ, વાંસી-બોરસી, બીલીમોરા

15. વલસાડ
કોલક, મરોલી, ઉમરસાડી, વલસાડ, ઉમરગામ

આ રીતે ગુજરાતમાં કચ્છમાં 5 બંદરો, સૌરાષ્ટ્રમાં 22 બંદરો, અને તળગુજરાતમાં 15 બંદરો આવેલાં છે.


ઉપરોક્ત બંદરોનાં બે પ્રકાર પડે છે :

1. બારમાસી બંદરો
2. મોસમી બંદરો

બારમાસી બંદરો :

એવાં બંદરો જ્યાં બારેમાસ વેપારકાર્ય ચાલુ રહે છે. તેમને બારમાસી બંદરો કહે છે. ગુજરાતમાં કુલ 11 બારમાસી બંદરો આવેલાં છે જેમાં 5 બંદરો મુન્દ્રા, સિક્કા, ઓખા, દ્વારકા, પોરબંદર, પીપાવાવ બારમાસી બંદરો છે જ્યારે 5 બંદરો નવલખી, બેડી, સલાયા, જાફરાબાદ, ભાવનગર એ “લાઇટરેંજ બારમાસી” બંદરો છે.

દેશના દરિયાકિનારા દ્વારા થતા માલની કુલ હેરફેરના 30% હેરફેર ગુજરાત દ્વારા કરવામાં આવે છે. આમ ગુજરાત તેમાં પ્રથમ સ્થાન ધરાવે છે.


બંદરોના વિકાસ માટે રાજ્યમાં 6 સેઝ (SEZ = Special Economic Zone) :

ગુજરાતનાં બંદરોના સર્વાંગી વિકાસ માટે ગુજરાત સરકાર દ્વારા દરિયાકાંઠાના વિસ્તારમાં કુલ 6 જગ્યાએ SEZ રચવામાં આવ્યા છે.

1. કંડલા પોર્ટ SEZ
2. મુન્દ્રા પોર્ટ SEZ
૩. દહેજ SEZ
4. સ્ટર્લિંગ SEZ
5. એસ્સાર હજીરા SEZ
6. રિલાયન્સ SEZ


ગુજરાતનું મેજર બંદર – કંડલા :

ઈ.સ.1931થી કંડલાનો બંદર તરીકે ઉપયોગ કરવાનું શરૂ થયું ત્યારે કચ્છના મહારાજાએ કંડલાને બારમાસી બંદર તરીકે વિકસાવવા એક આર.સી.સી.ની જેટી (Jetty) બંધાવી હતી.

1950 સુધી કંડલાનો લઘુ બંદર તરીકે ઉપયોગ થતો હતો, પરંતુ 1947 પછી ભારતના ભાગલા પછી પશ્ચિમ ભારતનું મહત્ત્વનું કરાચી બંદર પાકિસ્તાનને ફાળે જતાં દેશના પશ્ચિમ વિસ્તારમાં એક નવા બંદરનો વિકાસ કરવાની તાતી જરૂરિયાત ઉભી થઈ.

આથી કેન્દ્ર સરકારે જૂના કંડલા બંદરની નજીક કંડલા ક્રીકમાં હાલના કંડલા બંદરનું નિર્માણ કરી ઈ.સ.1955 માં તેને મહાબંદર જાહેર કર્યું તથા કંડલાના વિકાસ અને વ્યવસ્થાપન માટે “કંડલા પોર્ટ ટ્રસ્ટ” નામની સ્વાયત્ત સંસ્થા સ્થાપવામાં આવી છે.

કંડલામાં વરસાદ ઓછો અને એકદરે સૂકું હવામાન હોવાથી માલસામાન બગડી જવાની ભીતિ રહેતી નથી તથા બંદરનું તળિયું ઝીણી રેતી ધરાવતું હોવાથી વિશાળ કદનાં જહાજોના તળિયાને નુકસાન થવાનો ડર રહેતો નથી.

કંડલા બંદરને પંજાબ, કાશ્મીર, દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, હરિયાણા જેવા રાજ્યોનો 10 લાખ ચોરસ કિ.મી.નો વિશાળ પીઠ પ્રદેશ હાંસલ થયો છે. કંડલાને બ્રૉડગેજ રેલમાર્ગ અને નેશનલ હાઇવે નંબર-8 અ દ્વારા જોડવામાં આવ્યું છે.

કંડલા એ ભારતનું એકમાત્ર “મુક્ત વેપાર ક્ષેત્ર (FTZ-Free Trade Zone)” છે. કંડલાના 283 હેક્ટરનાં વિસ્તારને મુક્ત વેપાર ક્ષેત્ર જાહેર કરવામાં આવ્યું છે.

સફરી જહાજોના માલ ઉતારવા અને ચડાવવા માટે કંડલાની દક્ષિણમાં ૨૫ કિ.મી. દૂર ‘ટૂના’ નામનું એક નાનું બંદર વિકસાવવામાં આવ્યું છે.

ઈ.સ. 1965 માં કંડલાને ભારતનું સૌપ્રથમ “સેઝ” (SEZ) જાહેર કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ ઈ.સ.1967માં EPZ-Export Processing Zone જાહેર કરવામાં આવ્યું હતું.

કંડલા બંદર પર IMC Ltd. દ્વારા ગૅસ ટર્મિનલ સ્થાપવામાં આવ્યું છે જે આયાતી બુટાડીનની હેરફેર માટે ઉપયોગી છે.

કંડલા બંદરથી નિકાસ થતી વસ્તુઓ :
• લોખંડ-પોલાદ, કાચી ધાતુ, ચોખા, ડાંગરની ફોતરીમાંથી બનાવેલું તેલ, દિવેલ, હાડકાંનો ભૂકો, મીઠું.

કંડલા બંદરથી આયાત થતી વસ્તુઓ :
• ખાતર, ગંધક, રૉક ફૉસ્ફેટ, જસત, વનસ્પતિ તેલ, સીસું, ફૉસ્ફરિક એસિડ, સીસું, કોલસો, ખાંડ, ઇમારતી લાકડું, અનાજ, ખનીજતેલ.

• કંડલાનો વિકાસ ન થવાનાં કારણો :

1. કંડલા બંદરે જહાજોની નિયમિત અવરજવર થતી નથી. ઉપરાંત કંડલાના ઉદ્યોગોને કાચો માલ જહાજો દ્વારા મુંબઈ બંદરથી મગાવા પડે છે. તેથી ખર્ચ વધી જાય છે.
2. કંડલાના Free Trade Zone માં વીજળીના ભાવ ખૂબ જ ઊંચા છે.
3. ફ્રી ટ્રેડ ઝોનના નિયમ મુજબ ઝોનમાં સ્થપાયેલા ઉદ્યોગોએ 100 ટકા માલની નિકાસ કરવાની હોય છે. આથી જો માલ ક્ષતિયુક્ત બને તો ઉદ્યોગોને મોટું નુકસાન જાય છે.
4. કંડલા બંદર કચ્છના ઉજ્જડ અને વેરાન પ્રદેશમાં આવેલું છે.
5. કંડલા અર્ધવિકસિત પ્રદેશમાં આવેલું હોવાથી ત્યાં ઉદ્યોગોનાં યંત્રો અને યંત્રો માટેના કુશળ કારીગરો મળતાં નથી. આ માટે રાજકોટ – અમદાવાદ સુધી જવું પડે છે જેથી ખર્ચ વધી જાય છે.


મુન્દ્રા :

કચ્છના અખાતના ઉત્તર કિનારે બોચાક્રીકમાં ભૂખી અને કેવડી નદીના સંગમ પર જૂનું મુન્દ્રા બંદર આવેલું છે.

જૂના મુન્દ્રા બંદર નજીક અદાણી પોર્ટ લિ. દ્વારા નવા બહુહેતુક બંદરનો વિકાસ કરવામાં આવ્યો છે. આ નવું બંદર નવીનાળના ટાપુઓથી ઘેરાયેલું હોવાથી મોસમી પવનોની અસરો સામે કુદરતી રક્ષણ પ્રાપ્ત કરે છે. આથી આ નવ મુન્દ્રા બંદર બારમાસી બંદર છે.

1998થી આ નવું બંદર અજમાયશી ધોરણે ચાલુ કરવામાં આવ્યું હતું જે જાન્યુઆરી, 2001થી કામ કરતું થયું છે.

ભારતના પશ્ચિમ કિનારે પાનામેક્સ (Panamax) જહાજો માત્ર મુન્દ્રા બંદરે જ લાંગરી શકે છે.

મુન્દ્રા બંદર પર ‘પી ઍન્ડ ઓ પોર્ટ’ નામની આંતરરાષ્ટ્રીય કંપની દ્વારા એક આધુનિક કન્ટેનર ટર્મિનલ વિકસાવવામાં આવ્યું છે.

આ ઉપરાંત “મુન્દ્રા પોર્ટ એસઈઝેડ લિ.” દ્વારા મુન્દ્રામાં ‘અલ્ટ્રા મેગા પાવરપ્લાન્ટ’ માટે કોલસા આયાત કરવા માટે અલાયદુ કોલ ટર્મિનલ વિકસાવવામાં આવ્યું છે.


માંડવી :

કચ્છ જિલ્લામાં કચ્છના અખાત પર રુક્માવતી નદીના જમણા કિનારે આવેલું માંડવી એ કચ્છનું પ્રાચીન અને જાણીતું બંદર છે. માંડવી અર્થાત ‘દરિયાઈ જકાતનું થાણું’.

કચ્છના રામજી માલમ જેવા વહાણવટી માંડવી બંદરથી જ દરિયો ખેડવા જતા હતા.

માંડવી એ મોસમી બંદર છે. એનો સૌથી મોટો ગેરલાભ એ તેનો ઘંટ આકારનું બારું છે. જેથી બંદર તરફનો ભાગ સાંકડો હોવાને લીધે મોજાંની અસર વધુ પ્રમાણમાં થાય છે. માંડવી એ લાઇટરેજ પ્રકારનું બંદર છે. માંડવી બંદર પર દેશી પ્રકારનાં જહાજ બાંધવાનો વ્યવસાય પણ સારા પ્રમાણમાં ખીલ્યો છે.

આ બંદરે માલની હેરફેર કરવા ‘સાંધી ઇન્ડસ્ટ્રીઝ લિ.’ દ્વારા એક કેપ્ટિવ જેટી બાંધવામાં આવી છે.


નવલખી :

સૌરાષ્ટ્રના ઈશાન ખૂણે મોરબી પાસે આવેલું બંદર એટલે નવલખી બંદર.

સુઈ અને વરસામેડી ખાડીના સંગમ સ્થાન પર આવેલા આ નવલખી બેટને મોરબીના ઠાકોર સાહેબ સર વાઘજી જાડેજાએ પુરાણ કરીને તળભૂમિ સાથે જોડી દીધો હતો.

નવલખી એ બારમાસી બંદર છે. નવલખી બંદર પર માલના સંગ્રહ માટે જંગી ગોદામો અને માલ ચડાવવા-ઉતારવા માટે આધુનિક સગવડો ઉપલબ્ધ છે.

નવલખી બંદરે ‘યુનાઇટેડ શિપર્સ લિ.’ ‘જયદીપ ઍસોસિયેટ્સ લિ.’ અને ‘શ્રીજી શિપિંગ સર્વિસિસ લિ.’ દ્વારા ત્રણ ખાનગી જેટીઓ બાંધવામાં આવી છે. નવલખી અને કંડલા વચ્ચે ફેરી સર્વિસ ચાલે છે.


બેડી :

બેડી એ લાઇટરેંજ બારમાસી બંદર છે. બેડી બંદરને કાલવન, છાડ અને જીંદરા જેવા ટાપુઓને કારણે રક્ષણ મળે છે, પરંતુ સ્ટીમર લાંગરવાની જગ્યા કિનારાથી 11 કિ.મી દૂર છે.

બેડી બંદરની નજીકમાં જ નવું બેડી બંદર અને રોઝીબંદર વિકસાવવામાં આવ્યાં છે.

એસ્સાર બલ્ક ટર્મિનલ સલાયા લિ. દ્વારા અહીં એક કૅપ્ટિવ જેટી બાંધવામાં આવી છે.


સિક્કા :

સિક્કા એ બારમાસી બંદર છે. તેને કુદરતી બારું મળ્યું છે જ્યાં કાંપના જામાવની પણ સમસ્યા નથી. અહીં સ્ટીમરો સીધી લાંગરી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.

1949માં દિગ્વિજય સિમેન્ટ કંપનીની સ્થાપના થઈ ત્યારથી આ બંદરની વિકાસ-પ્રક્રિયા શરૂ થઈ. સિક્કામાં GNFCના ડાયએમોનિયા ફૉસ્ફેટ ફર્ટિલાઇઝર પ્રોજેક્ટ માટે ફૉસ્ફરિક ઍસિડ અને પ્રવાહી એમોનિયા આયાત ક૨વા માટે જેટી બનાવવામાં આવી છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સિક્કા નજીક ખનીજ તેલની રિફાઇનરીનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ રિફાઇનરીના માલની હેરફેર માટે રિલાયન્સે લોલો અને રો-રો જેટી બાંધી છે.


ઓખા બંદર :

સૌરાષ્ટ્રના છેક વાયવ્ય છેડા પર કચ્છના અખાતમાં આંતરરાષ્ટ્રીય વહાણવટના અતિ મહત્ત્વના ગણાતા સુએઝ જળમાર્ગ પર આવેલું અગત્યનું બંદર એટલે “ઓખા”.

વડોદરાના રાજવી મહારાજા સયાજીરાવ ગાયકવાડે ઓખા બંદરને વિકસાવ્યું હતું અને ઈ.સ.1926માં તેમના હસ્તે બંદરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

ઓખા બંદર એ ‘શંખોદ્વાર બેટ’ અને ‘સમીઆવી બેટ’ ના કારણે રક્ષાયેલું હોવાથી બારમાસી બંદર છે.

ઓખા નજીક મીઠાપુર ખાતે ટાટા કેમિકલ્સનું કોસ્ટિક સોડા બનાવવાનું કારખાનું આવેલું છે.

ઓખા બંદરે ‘કેર્ન એનર્જી પ્રા.લિ.’ દ્વારા કૅપ્ટિવ જેટી બાંધવામાં આવી છે.


પોરબંદર :

સૌરાષ્ટ્રના પશ્ચિમ કિનારે અરબ સાગરના ખુલ્લા દરિયા પર આવેલું પોરબંદર એ બારમાસી બંદર છે, પરંતુ પોરબંદરના દરિયાનું તળિયું હોવાથી વહાણો માટે જોખમી બને છે અને ડ્રેસિંગ દ્વારા તળિયાને ઊંડું બનાવવામાં આવે છે.

પોરબંદર પર દરિયાઈ મોજાં સામે રક્ષણ મળે તે માટે દરિયામાં “બ્રેકવૉટર” બાંધવામાં આવ્યું છે.

પોરબંદર દરિયાઈ વિશ્વમાં LPG આયાત કરનાર સૌપ્રથમ ખાનગી બંદરનું બહુમાન મેળવે છે. આ બંદર નજીક આવેલા IMS Petrogas ના એકમને નિયમિત પ્રવાહી ગૅસ પૂરો પાડે છે.


પોશિત્રા બંદર :

સૌરાષ્ટ્રના ઉત્તર કિનારે કચ્છના અખાતના પ્રવેશ નજીક આવેલા “પોશિત્રા” બંદરનો ગુજરાતના ગ્રીનફીલ્ડ બંદરોમાં સમાવેશ થાય છે.

ગુજરાત મેરીટાઇમ બોર્ડ અને “મેસર્સ ઍન્કર્સ કૉન્સોર્ટિયમ” ના સહયોગથી પોશિત્રા ખાતે “મેસર્સ ગુજરાત પોશિત્રા પોર્ટ કંપની લિમિટેડ” ની રચના કરવામાં આવી છે. પોશિત્રા કન્ટેનર પોર્ટ ફેસિલિટી ધરાવે છે.


વેરાવળ બંદર :

વેરાવળ એ અતિ પ્રાચીન બંદર છે. ઈ.સ.બીજી સદીમાં થયેલા પ્રખ્યાત રોમન ભૂગોળવેત્તા ટોલેમીએ પણ તેની પ્રવાસનોંધમાં વેરાવળનો ઉલ્લેખ કર્યો છે.

વેરાવળ એ લાઇટરેજ મોસમી બંદર છે. વેરાવળને બ્રેકવૉટર દ્વારા સુરક્ષિત બનાવ્યું હોવા છતાં ચોમાસા દરમ્યાન તે અસુરક્ષિત છે.

વેરાવળ બંદરનો વિકાસ ‘મત્સ્ય બંદર (Fishing Port)’ તરીકે વધુ પ્રમાણમાં થાય છે.

વેરાવળ બંદર પર મોટા પાયે માછલાં પકડવાની પ્રવૃત્તિ ચાલે છે તથા માછલાંને બગડતાં અટકાવવા માટે તેના સંગ્રહ માટે શીતગૃહોની સવલત છે.

વેરાવળ બંદરે કૅનેડાથી અનાજની અને જપાનથી ખાતરની આયાત થાય છે.


પીપાવાવ બંદર (પોર્ટ આલ્બર્ટ વિક્ટર) :

સૌરાષ્ટ્રના દક્ષિણ કિનારે અમરેલી જિલ્લામાં આવેલા પીપાવાવ બંદર પહેલાં ‘પોર્ટ વિક્ટર’ નામે પણ ઓળખાતું હતું.

પીપાવાવ શિયાળ બેટ, સવાઈ બેટ અને ચાંચ બેટથી ઘેરાયેલું છે. જે બંદરને ચોમાસાના તોફાની પવનોથી રક્ષણ આપે છે તથા કુદરતી બ્રેકવૉટર તરીકે કામ કરે છે.

પીપાવાવ બંદરનો વિકાસ કરવા માટે ‘ગુજરાત મૅરીટાઇમ બોર્ડ’ અને ‘મેસર્સ સી કિંગ –એન્જિનિયર્સ લિ.’ મુંબઈ દ્વારા “ગુજરાત પીપાવાવ પોર્ટ લિ. (GPPL)” ની રચના ઈ.સ.1992-93 માં કરવામાં આવી. ત્યારબાદ તેમણે તેમનો રોકાણનો ભાગ ઈ.સ. 2005 માં ડેન્માર્કની આંતરરાષ્ટ્રીય શિપિંગ અને ટર્મિનલ ઓપરેટર કંપની એ.પી. મુલર મર્કસને વેચી દીધો. આ રીતે ભારતમાં કોઈ પણ બંદરના વિકાસમાં પ્રથમ વિદેશી મૂડીરોકાણ હતું. આ કંપનીએ પીપાવાવ રેલ કૉર્પોરેશનની સ્થાપના કરી બ્રૉડગેજ દ્વારા પીપાવાવને સુરેન્દ્રનગર સાથે જોડ્યું છે.

ઈ.સ.1998માં પીપાવાવ એ સમગ્ર ભારતનું સૌપ્રથમ “ખાનગી બંદર” તરીકે કાર્યરત થયેલું બંદર હતું.

પીપાવાવ બંદર પર અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની લિ. દ્વારા એક કેપ્ટિવ જેટી બાંધવામાં આવી છે.

પીપાવાવ શિપયાર્ડ લિમિટેડ :

પીપાવાવ ખાતે પીપાવાવ શિપયાર્ડ વિકસાવવામાં આવ્યું છે જે ‘પીપાવાવ ડિફેન્સ એન્ડ ઑફશોર એન્જિનિયરિંગ કંપની લિ.’ દ્વારા વિકસાવવામાં આવ્યું છે. આ જહાજવાડામાં બંધાયેલાં જહાજો અત્યાર સુધી ભારતમાં બંધાયેલાં જહાજોમાં સૌથી મોટાં છે.


અલંગ :

વિશ્વમાં જહાજ ભાંગવાના ઉદ્યોગમાં ભારત પ્રથમ સ્થાને છે તથા ભારતમાં ગુજરાત પ્રથમ સ્થાને છે.

ભાવનગર જિલ્લામાં આવેલા અલંગનું શિપબ્રેકિંગ યાર્ડ વિશ્વમાં સૌથી મોટું છે. આમ જહાંજ ભાંગવાના ઉદ્યોગમાં અલંગ વિશ્વમાં આગળ પડતું પ્રથમ સ્થાન ધરાવે છે.

જહાજ ભાંગવાના ઉદ્યોગ માટે મોટી ભરતીવાળો દરિયો, કિનારાથી સમુદ્ર તરફ ધીમો ઢોળાવ અને કિનારાનું તળ જહાજને સ્થિર રાખી શકે તેવું હોવું જોઈએ. આ બધી જ સુવિધાઓ અલંગ બંદરે કુદરતી રીતે પ્રાપ્ત છે. આથી જ અલંગ બંદરે જહાજ ભાંગવાનો ઉદ્યોગ વિકાસ પામ્યો છે.

ગુજરાત મેરીટાઇમ બોર્ડ જહાજ ભાંગવાના ઉદ્યોગ માટે બધી જ માળખાકીય સુવિધાઓ અલંગ-સોસિયા ગામ પાસે ઊભી કરે છે. અલંગ અને સોસિયા ગામના 10 કિ.મી.ના વિસ્તારમાં 183 પ્લૉટ પાડીને જહાજ ભાંગવાના ઉદ્યોગને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.

ઈ.સ.1982માં અલંગ યાર્ડ શરૂ થયું અને ફેબ્રુઆરી- 1983 માં એમ.વી. કોટા ટેજોન્ગ જહાજને ભાંગવા સાથે અલંગ શિપબ્રેકિંગના શ્રીગણેશ થયા.


ભાવનગર :

કાળુભાર નદીની ખાડીના મુખ પર આવેલું ભાવનગર બંદર ગુજરાતનું મધ્યમ કક્ષાનું બારમાસી પ્રકારનું અને “લોક ગેટ” ની સગવડ ધરાવતું બંદર છે.

ભાવનગર રાજ્યના રાજવી ભાવસિંહજી પહેલાએ આ બંદરનો વ્યવસ્થિત વિકાસ કર્યો તથા અખેરાજજીએ ખંભાતના અખાતને ચાંચિયાઓના ત્રાસમાંથી મુક્ત કરાવતાં ભાવનગરનો બંદર તરીકે સારો વિકાસ થયો.

ભાવનગર બંદરે જહાજોના રિપેરિંગ માટેની સગવડ છે.

ધ મોડેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિ. દ્વારા ગુજરાત મેરીટાઇમ બોર્ડ પાસેથી જમીન લીઝ પર લઈને ભાવનગરના જૂના બંદર પર એક શિપયાર્ડ બાંધવામાં આવ્યું છે, જેણે 2007થી ઉત્પાદન શરૂ કરી દીધું છે. આ ઉપરાંત આ કંપનીએ ‘નવા રતનપર’ માં પણ જહાજવાડો બાંધવાનું નક્કી કર્યું છે.


મગદલ્લા :

દક્ષિણ ગુજરાતમાં સુરત પાસે તાપી નદીના મુખ પર આવેલું મગદલ્લા એ મોસમી પ્રકારનું બંદર છે. જેના બારામાં નાનાં જહાજો સીધાં પ્રવેશી શકે છે.

મગદલ્લા બંદર પર ગુજરાત મેરીટાઇમ બોર્ડની ચાર જેટીઓ આવેલી છે. એના પર GACL અને GNFC દ્વારા રોક ફૉસ્ફેટની આયાત કરવામાં આવે છે.

આ ઉપરાંત મગદલ્લા બંદર પર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, લાર્સન એન્ડ ટુબ્રો, એસ્સાર સ્ટીલ લિ., કૃભકો અને અંબુજા સિમેન્ટ લિ.ની જેટી પણ આવેલી છે.


દહેજ :

ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ અંતર્ગત વિકસાવવામાં આવેલું વધુ એક ખાનગી બંદર અર્થાત્ ગુજરાતમાં ખંભાતના અખાતમાં આવેલું દહેજ.

સમગ્ર એશિયાનું સૌપ્રથમ “કેમિકલ પોર્ટ’” અર્થાત્ દહેજ, જે “ગુજરાત કેમિકલ પોર્ટ ટર્મિનલ કંપની લિ.” (GCPTCL) દ્વારા ઓળખાય છે.

1995ની બંદરનીતિ Boot Policy (બાંધો-સંચાલન કરો અને ત્રીસ વર્ષ પછી તબદીલ કરો) હેઠળ દહેજ બંદરનો વિકાસ “ગુજરાત મેરીટાઇમ બોર્ડ (GMB)” “ઇન્ડિયન પેટ્રો-કેમિકલ્સ કૉર્પોરેશન લિ. (IPCL), “ગુજરાત નર્મદા – વેલી ફર્ટિલાઇઝર્સ કંપની લિ. (GNFC)”, “ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ઇન્વેસ્ટમેન્ટ કૉર્પોરેશન (GIIC)”, “ગુજરાત આલ્કલીઝ ઍન્ડ કેમિકલ્સ લિમિટેડ (GACL)”, “પેટ્રોનેટ એલએનજી લિમિટેડ (PLL)” દ્વારા “ગુજરાત કેમિકલ પોર્ટ ટર્મિનલ કંપની લિમિટેડ (GCPTCL)” ના નામે કરવામાં આવ્યો છે.

દહેજી નજીક લખી ગામ ખાતે ગુજરાત કેમિકલ પોર્ટ કંપની લિ.એ એક નવું કેમિકલ પોર્ટ ટર્મિનલ વિકસાવ્યું છે. આ ઉપરાંત IPCLએ દહેજ ખાતે પોતાની એક કેપ્ટિવ જેટી બંધાવી છે.

પેટ્રોનેટ એલએનજી લિ.એ દહેજ બંદર પર પ્રવાહી કુદરતી વાયુ (LNG Liquified Natural Gas)ની આયાત અને તેના રીગેસિફિકેશન માટે ટર્મિનલ ઊભું કર્યું છે.

આ પેટ્રોનેટ એલએનજી લિમિટેડની રચના “ગેસ ઑથોરિટી ઑફ ઇન્ડિયા લિ.(GAIL)”, “ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. (BPCL)”, “ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC)” અને ઑઈલ એન્ડ નૅચરલ ગૅસ કૉર્પોરેશન લિ. (ONGC)એ મળીને કરી છે.

આ ઉપરાંત દહેજ હાર્બર ઍન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિ.એ પણ દહેજની દક્ષિણમાં પોતાની એક કેપ્ટિવ જેટી બાંધી છે.

25 જાન્યુઆરી, 2001ના રોજ એશિયાના આ સૌપ્રથમ કેમિકલ પોર્ટને તત્કાલીન મુખ્યમંત્રી શ્રી કેશુભાઈ પટેલના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.

દહેજમાં નર્મદાના મુખ પાસે જાગેશ્વરમાં ગુજરાત મૅરીટાઇમ બોર્ડ દ્વારા રો-રો કમ કાર્ગો હૅન્ડલિંગની સગવડ વિકસાવવામાં આવી છે.

દહેજ બંદર પરથી દેશના સૌપ્રથમ અત્યાધુનિક એલએનજી કૅરિયર દિશા દ્વારા એલ.એન.જી. કાર્ગોની હેરફેર કરવામાં આવી હતી.

દેશના સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય કક્ષાના એલએનજી ટર્મિનલનું નિર્માણ પણ આ બંદર પર કરવામાં આવેલું છે.

ABG શિપયાર્ડ, દહેજ :

દહેજ ખાતે ABG કંપની દ્વારા જહાજોના બાંધકામ માટે એક શિપયાર્ડની સ્થાપના કરવામાં આવી છે.

દહેજ- ઘોઘા ફેરી સર્વિસ :

દહેજ અને ઘોઘા વચ્ચે ફેરી સર્વિસ શરૂ કરવામાં આવી છે જેથી દહેજ અને ઘોઘા વચ્ચેનું અંતર એકદમ ઘટી ગયું છે. આ ફેરી સર્વિસ અંગે “દહેજ-ઘોઘા ટ્રાન્સ-સી ફેરી સર્વિસ લિમિટેડ” નામની કંપની કાર્ય કરી રહી છે.

દહેજ બંદરની આયાત-નિકાસ :

ઍરોમેટિક નેપ્થા, બેન્ઝિન, સુપિરિયર કેરોસીન ઑઇલ, ઍસિટિક ઍસિડ, સ્ટિરિન, પ્રોપેન, બુટાડીન, ઇપિલીન, નેપ્થા અને પેરાફીન, મિથાનોલ ઇથાઇલ ફેક્ઝાનોલ વગેરે જેવાં રસાયણોની આયાત-નિકાસ થાય છે.


હજીરા :

દક્ષિણ ગુજરાતના હજીરા નજીક દેશના મહત્ત્વના જાહેર તથા ખાનગી ક્ષેત્રના ઔદ્યોગિક એકમો સ્થપાઈ રહ્યા છે.

ધ રૉયલ ડચ-શેલ કંપની દ્વારા હજીરાને બારમાસી બંદર અને પ્રવાહી કુદરતી વાયુના રીગૅસિફિકેશન ટર્મિનલ તરીકે વિકસાવવા એલએનજી ટર્મિનલની સ્થાપના કરી છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તથા એસ્સાર દ્વારા અહીં ચાર જેટી બાંધવામાં આવી છે. આ ઉપરાંત કૃભકો અને લાર્સન ઍન્ડ ટૂબોની કૅપ્ટિવ જેટી પણ અહીં આવેલી છે.

આ ઉપરાંત હજીરા એ “ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડ ગૅસ ગ્રિડ” માટે પ્રવેશબિંદુ સમાન છે. ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, હરિયાણા અને દિલ્હીને ગૅસ પૂરો પાડતી પાઇપલાઇન અહીંથી શરૂ થાય છે.

હજીરા ખાતે આવેલા એલએનજી ટર્મિનલના વિકાસ માટે “પોર્ટ ઑફ સિંગાપોર ઑથોરિટી” સાથે કરાર કરવામાં આવ્યો છે.

હજીરાને ગુજરાતના “પેટ્રો-રસાયણ બંદર” તરીકે પણ ઓળખવામાં આવે છે.

એલ ઍન્ડ ટી (લાર્સન ઍન્ડ ટુબ્રો) શિપયાર્ડ, હજીરા :

લાર્સન ઍન્ડ ટૂબો દ્વારા હજીરા બંદર એક જહાજવાડો બાંધવામાં આવ્યો છે, જેણે 2006થી ઉત્પાદન શરૂ કરી દીધું છે. એમાં વેપાર જહાજો ઉપરાંત નેવી અને કોસ્ટગાર્ડનાં જહાજો પણ બનાવવામાં આવે છે.


રાજ્યમાં કાર્યરત ગ્રીનફિલ્ડ બંદરો :
પીપાવાવ, દહેજ, મુન્દ્રા, હજીરા

રાજ્યમાં વિકસી રહેલાં ગ્રીનફિલ્ડ બંદરો :
મહોલી, સિમર, વાંસી-બોરસી, મીઠી વીરડી


આ પોસ્ટમાં કોઈપણ જગ્યાએ ટાઈપિંગ ભૂલ જણાય તો કોમેન્ટ કરી અને અવશ્ય જણાવજો જેથી આપણે એ ભૂલને સુધારી શકીએ.

– Education Vala


Leave a Comment

error: Content is protected !!