Gujaratni Lokchitrakala

ગુજરાતની લોકચિત્રકળા

• ગુજરાતમાં લોકચિત્રકળાના પ્રારંભિક પ્રમાણ સિંધુ ખીણ સભ્યતાના લોથલમાંથી મળી આવે છે. લોથલમાંથી પ્રાપ્ત માટીના વાસણો પર સુશોભનના હેતુથી ચિત્રાંકન કરવામાં આવતું.

• ગુજરાતમાં લોકચિત્રકળાનો વાસ્તવિક વિકાસ અને પ્રસાર મુખ્યત્વે મધ્યકાળ દરમિયાન થયો. તત્કાલીન મંદિરો, ગામના ચોરા, જિનાલય અને હવેલીઓ તથા ઘરની મેડીઓ પર ચિત્રો દોરવામાં આવતા હતા.

• આ ચિત્રોમાં રામાયણ, મહાભારતકાલીન પ્રસંગો, પૌરાણિક કથાનકો, જૈન કથાનકો, લોકકથાઓ ઉપરાંત વનસ્પતિ, ફૂલ, પશુ-પંખી વગેરેની ભાતોનું સંયોજન કરવામાં આવતું.

• આ ચિત્રો ભીંત, કાગળ, તાડપત્ર, કાચ કે વસ્ત્ર પર દોરવામાં આવતા.


ભીંતચિત્રોની પરંપરા :

• ગુજરાતમાં લગભગ સત્તરમી સદીથી ભીંતચિત્રોની પ્રથા શરૂ થઈ હતી. જેમાં દેવાલયો, હવેલીઓ, જિનાલયો, મહેલો અનેે લોકઘરોમાં ભીંતચિત્રોની પરંપરા જોવા મળે છે.

• તેનાં નમૂના પાલિતાણાના તે સમયના મંદિરો, નર્મદાકાંઠાના મંદિરો, ચાંદોદ કરનાળી વગેરે ભીંતો પર રામકથા, ભાગવત, કૃષ્ણકથાના ગુજરાતી- રાજસ્થાની શૈલીની અસર ધરાવતાં સુંદર ચિત્રો નિર્માણ પામ્યા છે.

• સોએક વર્ષ પૂર્વે ગુજરાતના લોકજીવનમાં ભીંતચિત્રોની કળા ખૂબ લોકપ્રિય હતી. તે સમયમાં ચિતારાઓ જે ગામે ભવાઈ કરવા ગયા હોય ત્યાં દિવસે ચિત્રો દોરી આપતાં અને રાતે ભવાઈના વેશ ભજવતા.

• હવેલી, ઘરો, મંદિરો, ગામના ચોરા વગેરે જગ્યાએ ભીંતચિત્રો દોરતા આવા ચિતારાઓ હિન્દુ મુસ્લિમ બંને કોમમાંથી આવતા.

• ગ્રામ્ય વિસ્તારોમાં આ ચિત્રો માટેના રંગો કુદરતી તત્ત્વોમાંથી જ બનાવવામાં આવતા. જેમકે પીળી માટીમાંથી પીળો, ગળીમાંથી ભૂરો, કાજળમાંથી કાળો વગેરે. તેમાં દૂધ કે ગુંદર મિશ્રણના માધ્યમ તરીકે વપરાતું.

• સ્વામિનારાયણ પરંપરાના વડતાલ, ગઢડા, ભૂજ, જંબુસરનાં મંદિરોના ભીંતચિત્રોમાં મરાઠી પરંપરાની સાથે તળપદી લોકકળાની અસર ઝીલાઈ છે.

• ગુજરાતના લોકજીવનમાં ભાતીગળ ભીંતચિત્રોના સૌરાષ્ટ્ર અને કચ્છમાં એમ બે મુખ્ય પ્રવાહ જોવા મળે છે.

• સૌરાષ્ટ્રમાં ભીંતચિત્રો “સલાટી શૈલીના” છે અને કચ્છમાં ભીંતચિત્રો “કમાંગર શૈલી” ના છે.



સલાટી શૈલી :

• સૌરષ્ટ્રનાં ભીંતચિત્રો સલાટી શૈલીના છે. જેમાં રાજસ્થાની ચિત્રકળાનો પ્રભાવ જોવા મળે છે.

• આ પ્રકારના ભીંતચિત્રો જામનગરના લાખોટ કોઠામાં, વાલકુંડના જૈન દેરાસર, શિહોરના જૂના દરબારગઢની ભીંતો પર જોવા મળે છે. ત્યારબાદ મરાઠી ચિત્રકારો મરાઠી-સલાટી મિશ્ર શૈલીના ચિત્રોની પરંપરા ચલાવે છે, જે સૌરાષ્ટ્રના અનેક શહેર-ગામડાઓમાં જોવા મળે છે.

• આ પ્રકારના ભીંતચિત્રો નાના ગોપનાથનું મંદિર, મહુવાનો સરકારી હાટનો ડહેલો, શિહોરનું રામજી મંદિર, સોમનાથ પાટણના શ્રેષ્ઠીઓના કરમાં જોવા મળે છે.



કમાંગર શૈલી :

• કચ્છમાં રાજસ્થાની અને તળપદી ચિત્રકળાના સંયોજનથી ચિત્રપરંપરાની જે શૈલી નીપજી તેને “કમાંગર શૈલી” કહે છે.

• આ શૈલીના ભીતચિત્રો કચ્છના દરબારગઢની જૂની મેડીના ચિત્રો, તેરા દરબારગઢનાં ચિત્રો, અંજારના અંગ્રેજ કેપ્ટન જેમ્સ મેકમર્ડોના બંગલાના ભીંતચિત્રો નોંઘનીય છે. કચ્છના અનેક ઘરોમાં આ પ્રકારના ભીંત ચિત્રો જોવા મળે છે.



આદિવાસીઓની ભીંત ચિત્રકળા :

• આદિવાસી સમુદાયો પાસે પોતાની આગવી કળા-સંસ્કૃતિ છે.

• આદિવાસીઓ પોતાની આપસૂઝથી કલાની સાધના અને કદર કરે છે.

• કળા અને સંસ્કૃતિ તેમના જીવનનો અભિન્ન હિસ્સો છે. આથી આદિવાસીઓના ભીંતચિત્ર માં તેમની માન્યતાઓ, રીતરિવાજો, રોજિંદી દિનચર્યાનું પ્રતિબિંબ જોવા મળે છે.

• ઘરમાં લગ્ન જેવા શુભ પ્રસંગ આવે. ખેતરમાં વહેલી પાક ઉતરે, અષાઢીયા મેહુલાનું આગમન થાય કે કોઈ બાધા-માનતા પૂરી કરવાની હોય ત્યારે આદિવાસીઓ સુંદર મીતચિત્રો દારે છે.

આદિવાસી સમુદાયના ચિત્રો

રાઠવા જાતિ : પીઠોરાના ચિત્રકળા
કુંકણા : વારલી ચિત્રકળા ( પચવી ચિત્રો )
ભીલો : ભારાડીનાં ચિત્રો
ભીલ ગરાસિયા : ગોત્રજના ચિત્રો
ચૌધરી : નવ દહાડાના ચિત્રો


વારલી ચિત્રકળા :

વારલી ચિત્રકળા

દક્ષિણ ગુજરાતના સીમાંત પ્રદેશો ઉમરગામ, ડાંગ અને ધરમપુરમાં વસતા આદિવાસી સમુદાય વારલી અને કુંકણા લોકો દ્વારા કરતામાં આવતા “પચવી” ના ચિત્રો “વારલી ચિત્રકળા” તરીકે ઓળખાય છે.

• “પચવી” નો અર્થ “નાગપંચમીના તહેવારનાં દિવસે દોરવામાં આવતા ભીંતચિત્રો”.

• આ સમુદાયના લોકો રોજબરોજની પ્રવૃત્તિઓ, રીતરિવાજો, ઉત્સવો, નૃત્યો, ખેતી અને પ્રકૃતિના તત્ત્વોને દર્શાવતા ભીંતચિત્રો દોરે છે.

• પરંપરાગત રીતે વારલી ચિત્રકળામાં ત્રિકોણ, વર્તુળ, ચોરસનો આધાર લઈને દીવાલો પર ચિત્રો બનાવવામાં આવે છે. આ આકારો પ્રકૃતિથી પ્રેરિત હોય છે, જેમકે જંગલ, વૃક્ષ, ગાયનું ચિત્ર ત્રિકોણના સંયોજનથી, સૂર્ય-ચંદ્ર માટે વર્તુળ અને પવિત્ર સ્થાનોને ચોરસ આકારથી રજૂ કરાય છે.

• ચિત્રકળાનો આધાર તૈયાર કરવા માટે ગોબર, ઝાડની ડાળીઓ, માટીનો ઉપયોગ થાય છે તથા ચિત્રકામ માટે ગુંદર અને ચોખાની હેરથી બનાવેલ સફેદ રંજકોનો ઉપયોગ થાય છે. વર્તમાનમાં આ ચિત્રો કાગળ કે કેનવાસ પર પણ દોરવામાં આવે છે.

• આ પ્રદેશના શ્રી જીવ્યા સોમા માશે એ વારલી ચિત્રકળાને સોળે કળાએ ખીલવી છે. તેમણે દોરેલા ચિત્રો ધરમપુરના લેડી વિલ્સન મ્યુઝિયમમાં સંગ્રહિત છે તથા આંતરરાષ્ટ્રીય સ્તરે પણ વારલી ચિત્રકળાનાં પ્રતિનિધિ તરીકે હાજરી પૂરાવી છે.

• વારલી ચિત્રો ભીમબેટકા (મધ્ય પ્રદેશો)ના પ્રાગ ઐતિહાસિકકાળના ભીંતચિત્રો સાથે ખૂબ સામ્યતા ધરાવે છે.


પિઠોરા ભીંતચિત્રો :

પિઠોરા ભીંતચિત્રો

• ગુજરાતના વડોદરા, પંરામહાલ અને છોટાઉદેપુર વિસ્તારની રાઠવા આદિવાસી જાતિ દ્વારા દોરવામા આવતા ભીંતચિત્રોને “પીઠોરા” તરીકે ઓળખવામાં આવે છે.

• તેઓ “પિઠોરા દેવ” અથવા “બાબા પિઠોરા”ની પૂજા કરે છે, જેમાં ઘરની દીવાલ પર ઘોડાના ચિત્રો દોરીને પૂજા કરવામાં આવે છે. રાઠવા આદિવાસીનો ઘરમાં સુખ-શાંતિ રહે, ખેતીવાડીમાં પ્રગતિ થાય, કુંવારી કન્યાનુ માંગલ્ય થાય, ઢોર-ઢાંખર સુરક્ષિત રહે તે માટે પિઠોરા દેવની સ્થાપના કરે છે

• આ સ્થાનરૂપે ઘરની ભીંતો પર પિઠોરાનાં સુંદર કલાત્મક ચિત્રો દોરવામાં આવે છે. ચિત્રોમાં વિષયવસ્તુ તરીકે જંગલમાં મળી આવતી વનસ્પતિ, પ્રાણીઓ ઉપરાંત ખેતરો, નદી, તળાવો ને આવરી લેવાય છે. દરેક ચિત્રમાં એક વાર્તા હોય છે.

• પિઠોરા ભીંતચિત્રો દોરનાર “લાખારા ચિતારા”ના નામે ઓળખાય છે. લાખારો સૌ પ્રથમ ગણેશજીનો ઘોડો ચિતરે છે. ત્યારબાદ પિઠોરા દેવનો ઘોડો ચિતરે છે.

• પિઠોરાનું ચિત્રકામ ઘરની પરસાળ વચ્ચેની મુખ્ય દીવાલ ઉપર કરવામાં આવે છે. કથાવસ્તુ લગ્નના ઉત્સવનું હોય છે ત્યારે તેમાં સગાસંબંધી, પૃથ્વી પરના તમામ જીવમાત્રને બેસાડવામાં આવે છે.

• પિઠોરાનુ ભીંતચિત્ર દોરાતું હોય તે રાત્રે ઈન્દની ઉજવણી થતી હોય છે, જેમાં તમામ સ્ત્રી-પુરુષો અને છોકરાઓ નૃત્ય, ગાયન, વાદન કરતા હોય છે.

• “પિઠોરા” ચિત્રોમાં સ્વરૂપ અને આકારના વાસ્તવિક અંશ નથી હોતા, પરંતુ આદિવાસી સમુદાયની ભાવના અભિવ્યક્તિ થાય છે.


આળેખ અને પ્રતિકચિત્રો :

• આળેખ અને ચિતર, ગ્રામનારીઓએ સાચવેલો કલાવારસો છે.

• આળેખની કળા સામાજિક ઉત્સવો (લગ્નપ્રસંગ, તહેવાર) સાથે વિશેષ રીતે સંકળાયેલ છે.

• તેમાં ઘરના આંગણામાં કે ગમાણ પર, ડેલીએ સુંદર ચિત્રો દોરાય છે.

• આળેખ અને ચિંત્તર એ ગ્રામીણ પ્રજાની તળપદી લોકકલા છે.

• ગુજરાતની ગ્રામીણ સ્ત્રીઓ લીંપણ કરેલી ભીંતો પર ખડીથી ચિતરામણ કરીને પોતાની ઊર્મિઓને અભિવ્યક્ત કરે છે.

• હાલાર પંથકની સ્ત્રીઓ ઓરડા-આંગણામાં રંગબેરંગી ફૂલવેલ અને ભૌમિતિક ભાતો આળેખીને મનોહર ચિતરકામ કરે છે, જે “ઝુલુ ચિત્રો” તરીકે ઓળખાય છે. ગોહિલવાડ પંથકમાં સ્ત્રીઓ આળેખ ચિતરમાં વન્ય પશુ, પંખી, વૃક્ષો, કાન-ગોપી, ભૌમિતિક ભાતો ઉપરાંત સાઈકલ, વિમાન, મોટર જેવા ચિત્રો આલેખે છે.

• પોરબંદર પંથકની મેરજાતિ, ભાલપંથકના રાજપુત-કોળી, કણબી, આયર, રબારી તથા પંચમહાલ અને સાંબરકાંઠાના આદિવાસી સંપ્રદાયમાં પણ આળેખ કળાની પરંપરાનો સારો વિકાસ થયો છે. પ્રતીકચિત્રોનો સંબંધ યાત્રા, ધાર્મિક ઉત્સવ સાથે વણાયેલો છે.

• આળેખમાં રાતા, પીંળા, લીલા, લાલ, રંગો વપરાય છે, જ્યારે પ્રતીકચિત્રોમાં પળાલેલું કંકુ, ઘી, સિંદૂર જ વપરાય છે.

• ઘરની ખડકી, ડેલીએ “શ્રી” અને “લાભ” જેવા પ્રતીકો આલેખાય છે, નાગપાંચમના દિવસે લોકનારીઓ પાણિયારે નવકુળ નાગનું પ્રતીક દોરે છે. કુળના લગ્ન, જનોઈ કે વાસ્તુ પ્રસંગે ગોત્રીજનું પ્રતીક દોરી તેમની સ્થાપના કરવામાં આવે છે.


તાડપત્ર પરનાં ચિત્રો :

• આજે લોકજીવનમાંથી લુપ્ત થઈ ગયેલી પોથીચિત્રોની પરંપરા સોલંકી યુગ (11મી થી 14મી સદી) દરમિયાન શરૂ થઈ હતી.

• ગુજરાતમાં તાડપત્રની સૌથી જૂની ઉપલબ્ધ પ્રત “નિશીથ ચૂર્ણિની” છે. આ પોથીમાં ચિત્રિત આકૃતિઓ પરંપરાગત હોવા છતાં તેના સુશોભન, રેખાંકન, રંગોમાં લોકકળાનો પ્રભાવ જોવા મળે છે. તાડપત્રની ઘણી પ્રતો ખંભાત, ભરૂચ, પાટણ, અમદાવાદના જૈન ભંડારોમાં સંગ્રહિત છે.


પોથીચિત્રો :

• જૈન અને જૈનેતર એમ બંને પ્રકારની પુષ્કળ સચિત્ર પોથીઓ ગુજરાતમાંથી મળી આવેલ છે. જેમાં જૈન આશ્રિત ગ્રંથોમાં આકૃતિઓ ચિત્રિત કરવાની જે પરિપાટી વિકસી તે “જૈનશૈલી” કે “કલમ” તરીકે ઓળખાઈ. ઉદા. ‘કલ્પસૂત્ર’ અને ‘કાલકાચાર્યકથા’ જૈન પૌથીઓ.

• જૈનેત્તર પ્રકારની લોકશૈલીના પોથીચિત્રોમાં ‘ખાલગોપાલસ્તુતિ’, ‘રતિરહસ્ય’, ‘માલતીમાધવ’ વગેરેનો સમાવેશ છે.


ઓળિયા વસ્ત્રપટ :

• મધ્યકાળની શરૂઆતમાં જૈન અને બૌદ્ધમાં ઓળિયા વસ્ત્રપટની પરંપરા પ્રચલિત હતી.

• “ઓળિયા વસ્ત્રપટ” એટલે કાપડ પર લોકકથા કે ધાર્મિક કથાને ચિત્રોના માધ્યમથી રજૂ કરવાની પદ્ધતિ.

• બૌદ્ધ પરંપરામાં “દિવ્યાદાન” અને “અશોકાવદાન”માં બુદ્ધકથાને ચિત્રપટ દ્વારા રજૂ કરવાના પ્રમાણ મળી આવે છે.

• ગુજરાતમાં મધ્યકાળથી માંડીને આજ સુધી ચૂંદડિયા બ્રાહ્મણ અને હરિજન ગુરુ ગરોડા મેઘવાળના ગરમાતંગ લિખિત કથાવાળા ઓળિયા વસ્ત્રપટ લઈને લોકો વચ્ચે જતા હતા તથા લોકોને ચિત્રિત કથાનું મહત્ત્વ સંભળાવીને જ્ઞાનબોધ સાથે મનોરંજન કરાવતા.


પાંડરશિંગાનાં ચિત્રો :

• સૌરાષ્ટ્રમાં દામનગર પાસેના પાંડરશિંગા ગામના પાદરમાં આવેલી વિશ્વંભરનાથની જગ્યાએ ભીંતચિત્રો આવેલા છે.

• આ ચિત્રો થકી દોઢસો વર્ષ પહેલાના લોકોની સંવેદનાઓ અભિવ્યક્ત થઈ છે.

• તેમાં ‘રામાયણ’, ‘મહાભારત’ જેવા વિષયવસ્તુને આધારે ચિત્રકામ થયેલું છે.


રંગોળી અને ધૂલિચિત્રો :

• ઘરની સ્ત્રીઓ વિવિધ તહેવારો કે માંગલિક પ્રસંગે ઘરના આંગણે કે ફળિયામાં પાણી છાંટી પવિત્ર કરી તેના પર રંગોળી કરે છે.

• તેઓ પોતાની સૂઝબૂઝથી રંગોળી કરે છે. જેમાં ફૂલ-વેલ, પશુ-પંખી, ભૌમિતિક આકૃતિઓ દોરીને તેમાં વિવિધ રંગો પૂરે છે.

• રંગોળી, ગૃહ સુશોભન અને ધાર્મિક વિધિ એમ બે હેતુથી કરવામાં આવે છે.

• જમીન (ભૂમિ) પર ચિરોડીની કોરી ભૂકી તેમજ ગુલાલ, કંકુથી કરવામાં આવતી રંગોળીને “ધૂલિ ચિત્રો” કહે છે.


કાચચિત્રોની પરંપરા :

• લગભગ સો-દોઢસો વર્ષ પૂર્વે સૌરાષ્ટ્ર અને કચ્છમાં કાચ પર ચિત્રો દોરવાની કળા વિકસી હતી.

• મૂળ રીતે ચીનમાં વિકસેલી આ કળાનો ત્યાંથી કચ્છના વેપારીઓના માધ્યમથી ગુજરાતમાં પ્રવેશ થયો.

• કાચચિત્રોનો આ કળાકસબ કચ્છના કમાંગર ચિતારાઓએ સારી રીતે હસ્તગત કર્યો છે. તેમણે બનાવેલા કાચના અરીસા અને બેનમૂન ચિત્રો ભૂજના આયનામહેલમાં સચવાયેલાં છે.

• આ ચિત્રોમાં હિંદુ ધર્મના વિવિધ દેવી-દેવતાઓ, પ્રાકૃતિક વિષયો, ભૌમિતક ભાતોને કાચ પર અનોખી શૈલીમાં કંડારેલી છે.

• પશ્ચિમના દેશોમાંથી કાચકલાનું હુન્નર શીખીને “રામસિંહ માલમે” ભૂજના આયના મહેલની સુંદર-કલાપૂર્ણ રીતે સજાવટ કરી છે.

• આ કાચ ચિત્રોના વિવિધ પ્રકારના નમૂના સૌરાષ્ટ્રમાં પણ ગામડાના મંદિરો, નવરાત્રીમાં ચોકમાં મુકાતી ગરબીમાં, કાઠી દરબારોનાં કુટુંબમાં કે રજવાડાઓના ઘરોમાં જોવા મળતાં,

• કેટલાક રાજવીઓને ત્યાંથી મળેલ કાચચિત્રોમાં યુરોપીય શૈલીનો પ્રભાવ જોવા મળે છે. ભાવનગરના મહારાજા જશવંતસિંહજીએ ચીની ચિત્રકારો પાસે કાચચિત્રો તૈયાર કરાવીને અમલદારોને ભેટ આપ્યા હતા.

• કાચ ચિત્રોની પરંપરા બે ભાગમાં વહેંચાયેલી છે : દેશીલમ અને બાદશાહી કલમ.

• દેશી કલમ – લોકશૈલીમાં આલેખાયેલાં ધાર્મિક કે પૌરાણિક વિષય ધરાવતી જળરંગી માધ્યમની કૃતિઓને “દેશી કલમ” કહે છે.

• બાદશાહી કલમ યુરોપીય અસર ધરાવતી કૃતિઓ જેનું વિષયવસ્તુ મુસ્લિમ ઐતિહાસિક પાત્રો અથવા પૌરાણિક પ્રસંગો હોય છે તેવી તૈલરંગી માધ્યમની કૃતિઓને “બાદશાહી ક્લમ” કહે છે.

• આ કાચચિત્રોની કૃતિઓને મુખ્યત્વે 4 જૂથમાં વહેંચી શકાય :

(1) યુરોપીય અસરયુક્ત તૈલી માધ્યમની કૃતિઓ
(2) યુરોપીય અસરયુક્ત કૃતિઓની જળરંગી નક્લો
(3) સ્થાનિક ભીંતચિત્રોની શૈલીથી પ્રભાવિત કૃતિઓ
(4) લોક શૈલીની લાક્ષણિકતા ધરાવતી કૃતિઓ

• યુરોપીય અસરયુક્ત તેલ માધ્યમની કૃતિઓના વિષયવસ્તુમાં ઘોડેસવાર મુસ્લિમ દરબાર, ઈરાનના શાહનો દરબાર, બાદશાહ બેગમ વગેરેના કાર્યચિત્રો છે.

• સ્થાનિક ભીંતચિત્રોની શૈલીથી પ્રભાવિત કૃતિઓના વિષયવસ્તુમાં સરદારો, રાજવીઓ, ઠાકોરો અને પૌરાણિક કથાઓનું આલેખન જોવા મળે છે.

• કાચચિત્રકળા ખૂબ કુશળતા માગી લેતી કળા હોવા ઉપરાંત કાચ ખૂબ સહેલાઈથી તૂટી જવાથી કાચચિત્રોની પરંપરા ગુજરાતના લોકજીવનમાંથી લગભગ લુપ્ત થઈ ગઈ છે.

• ગુજરાતમાં કાયચિત્રોની લોકકળાને જાળવી રાખવાના છેલ્લા પ્રયત્નોરૂપે હળવદના અશોક સોનગરા અને વઢવાણના એહમદભાઈ મીરઝા આવાં કાચચિત્રો બનાવે છે, સંગ્રહ કરે છે અને પ્રદર્શનો યોજે છે.


હસ્તલિખિત પોથીઓ :

• “પોથીઓ” એટલે પુસ્તક, ચોપડી, ગ્રંથ, ધાર્મિક પુસ્તક વગેરે.

• પ્રાચીન ભારતમાં જ્યોતિ શાસ્ત્ર, દર્શન શાસ્ત્ર, આયુર્વેદ, સાહિત્ય, ખગોળવિદ્યા જેવા વિવિધ વિષયો પર સંસ્કૃત, પ્રાકૃત, અરબી, અપભ્રંશ, ગુજરાતી, કન્નડ, તેલુગુ, મલયાલમ જેવી ભાષામાં લખાયેલી હસ્તપોથીઓ પ્રાપ્ત થઈ છે.

• આપણે ત્યાં છાપખાનાઓની શરૂઆત થઈ તે પહેલાં સુધી લહિયાઓ પાસે પવિત્ર ગ્રંથો લખાવવાની અને તેને આદરપૂર્વક જાળવવાની એક સુદ્રઢ , પ્રાચીન પરંપરા રહેલી છે.

• આવી હસ્તલિખિત પોથીઓ તૈયાર કરવા માટે સાંગાનેરી કાગળ (જયપુર) જ વપરાય છે, જે લગભગ 700થી 800 વર્ષ સુધી ટકે છે.

• સૌરાષ્ટ્રના વલ્લભીમાં ઈ.સ. 453માં યોજાયેલી બીજી જૈન પરિષદમાં જૈન ગ્રંથોને લિપિબદ્ધ કરીને તેની પ્રતીઓ દેશના વિવિધ ભાગમાં મોકલાઈ હતી. આરબોના આક્રમણ બાદ સિદ્ધરાજ જયસિંહ દ્વારા વલ્લભીની બચેલી હસ્તપતોની નકલો કરીને પાટણ લાવવામાં આવી હતી. હસ્તલિખિત પોથીઓ તૈયાર કરવા માટે લહિયાઓ આઠ-નવ આગળની કાળા બરું, વાંસની જાતના બરું, જિયાના બરુમાંથી બનાવેલી ખાસ ક્લમ કે કિત્તો વાપરતા, જેને “ઘવતરણું” કહેવાતું.

• આ પોથીઓ માટે કાગળની સાથે ખાસ પ્રકારની શાહીની જરૂર પડતી જેના માટે ગુંદર, બાવળમાંથી અસલ દેશી શાહી બનાવતી ઉપરાંત સોના ચાંદીના વરખમાંથી સોનેરી રૂપેરી શાહી બનાવાતી. આ બધી શાહી “ઘમષી” કહેવાતી.

• જૂનાકાળમાં ગૃહસ્થીઓ પુણ્ય પ્રાપ્તિ માટે ધાર્મિક પોથીઓ લખાવતા, પરંતુ માવજાતના અભાવે કાળક્રમે તે નાશ પામતી અથવા નદીઓમાં પધરાવી દેવાતી. આવી હસ્તલિખિત પોથીઓને સાચવવા કુમારપાળના સમયમાં જ્ઞાનભંડારોની સ્થાપના કરાઈ હતી.

• અમદાવાદ, પાટણ, છાણી, વડોદરા, કોબા, (ગાંધીનગર)નાં જ્ઞાનભંડારોમાં 12મી થી 19મી સુધીમાં પ્રાકૃત, સંસ્કૃત, અપભ્રંશ, જની ગુજરાતી ભાષામાં લખાયેલી પૌથી સચવાયેલી છે.

• પાટણના હેમચંદ્રાચાર્યના જ્ઞાનમંદિરમાં સોના-ચાંદીની શાહીથી લખાયેલી હસ્તલિખિત પોથીઓ સંગ્રહિત છે.

• અમદાવાદના લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિધામંદિર (એલ. ડી. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડોલોજી )માં આશરે 55 હજાર જેટલી સચિત્ર હસ્તલિખિત પોથીઓ સચવાઈ છે. અમદાવાદમાં સચવાયેલ “દેવાસનો પડો” તે પ્રાચીન જૈન હસ્તપ્રત છે.


લિંપણ કળા (ક્લે આર્ટ)

• લીંપણ એ ગુજરાતની લોકનારીઓની માટ આધારીત કળા (ક્લે આર્ટ) છે. તેમાં સ્ત્રીઓ માટી અને ગોબરના મિશ્રણમાંથી બનાવેલ પેસ્ટથી ઘરની દીવાલો અને ભોયતળિયા પર લીંપણ કરે છે.


••• યાદ રાખો •••

• જૂનાગઢ ખાતે આવેલી ચિત્રકળાની સંસ્થા “રૂપાયતન”ની સ્થાપના ધીરેન ગાંધીએ કરી છે.

• ફતેહસિંહ સંગ્રહાલયમાં રાજા રવિ વર્માના ચિત્રો સંગ્રહિત છે.
• ભાવનગર જિલ્લાના ચમારડી ગામની ડુંગરમાળાની ગુફાઓમાંથી પ્રાગઐતિહાસિક કાલીન ચિત્રોના અવશેષ મળી આવ્યા છે.


આ પોસ્ટમાં કોઈપણ જગ્યાએ ટાઇપીંગની ભૂલ જણાય તો કોમેન્ટ કરી અને અવશ્ય જણાવજો જેથી આપણે એ ભૂલને સુધારી શકીએ.

– Education Vala

Leave a Comment

error: Content is protected !!