Rajyapal (governor) – Bharatnu Bandharan

Rajyapal (governor) – Bharatnu Bandharan – રાજ્યપાલ – ભારતનું બંધારણ

  • ભારતીય બંધારણમાં ભાગ-6માં અનુચ્છેદ 153થી 237માં રાજ્ય સરકાર અંગેનો ઉલ્લેખ છે. જેમાંથી અનુચ્છેદ 153થી 167માં રાજ્યની કારોબારી (રાજ્યપાલ, મુખ્યમંત્રી, મંત્રી પરિષદ અને રાજ્યના એડવોકેટ જનરલ)નો સમાવેશ થાય છે.
  • કેન્દ્ર સ્તરે જે રીતે કેન્દ્ર સરકાર કાર્ય કરે છે તે મુજબ રાજ્ય સ્તરે રાજ્ય સરકાર કાર્ય કરે છે.
  • અનુચ્છેદ 153 : રાજ્યોના રાજ્યપાલો
  • અનુચ્છેદ 154 : રાજ્યની કારોબારી સત્તા
  • અનુચ્છેદ 155 : રાજ્યપાલની નિમણૂંક
  • અનુચ્છેદ 156 : રાજ્યપાલના હોદ્દાની મુદત
  • અનુચ્છેદ 157 : રાજ્યપાલ તરીકેની નિમણૂંક માટેની લાયકાતો
  • અનુચ્છેદ 158 : રાજ્યપાલના હોદ્દાની શરતો
  • અનુચ્છેદ 159 : રાજ્યપાલે લેવાના શપથ અથવા પ્રતિજ્ઞા
  • અનુચ્છેદ 160 : અમુક આકસ્મિક પ્રસંગે રાજ્યપાલના કાર્યો બજાવવા બાબત
  • અનુચ્છેદ 161 : માફી વગેરે આપવાની તથા અમુક દાખલાઓમાં સજા મુલતવી રાખવાની, તેમાંથી મુક્તિ આપવાની અથવા તે હળવી કરવાની રાજ્યપાલની સત્તા.
  • અનુચ્છેદ 162 : રાજ્યની કારોબારી સત્તાનો વિસ્તાર

રાજ્યપાલ (અનુચ્છેદ 153)

  • રાજ્યપાલ રાજ્યના બંધારણીય વડાં છે, તેઓ રાજ્યના પ્રથમ નાગરિક છે.
  • રાજ્યપાલ કેન્દ્ર અને રાજ્યને જોડવાનું કડીરૂપ કાર્ય કરે છે.
  • રાજ્યપાલ કેન્દ્ર સરકારના પ્રતિનિધિ સ્વરૂપે રાજ્યમાં કાર્ય કરે છે.
  • અનુચ્છેદ 153 મુજબ દરેક રાજ્યમાં એક રાજ્યપાલ રહેશે, પરંતુ 1956માં 7માં બંધારણીય સુધારા દ્વારા જોગવાઈ કરવામાં આવી કે બે કે તેથી વધુ રાજ્યો માટે સંયુક્ત રાજ્યપાલ પણ હોઈ શકે.
  • ઉદાહરણ :
    • વર્ષ 2018માં મધ્યપ્રદેશના રાજ્યપાલ રહેલા આનંદીબેન પટેલને છત્તીસગઢના રાજ્યપાલનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો હતો.
    • ગુજરાતના રાજ્યપાલ રહેલા ઓમપ્રકાશ કોહલીએ 2016માં મધ્યપ્રદેશના રાજ્યપાલનો વધારાનો હવાલો સંભાળ્યો હતો.

રાજ્યપાલની નિયુક્તિ (અનુચ્છેદ 135)

  • અનુચ્છેદ 155 મુજબ રાજ્યના રાજ્યપાલને રાષ્ટ્રપતિ પોતાની સહી સિક્કાવાળા આદેશપત્રથી નિમણૂક આપશે.
  • રાજ્યપાલની ચૂંટણી કરવામાં નથી આવતી તેની રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક થાય છે.

રાજ્યપાલ બનવા અંગેની લાયકાત (અનુચ્છેદ 157)

  • જે તે વ્યક્તિ…
  • ભારતનો નાગરિક હોવો જોઈએ.
  • 35 વર્ષની ઉંમર પૂર્ણ થયેલી હોવી જોઈએ.
  • પ્રથાઓ :
    • નીચેની બાબતોનો ઉલ્લેખ બંધારણમાં કરવામાં આવ્યો નથી, પરંતુ પ્રથાગત રીતે જોવા મળે છે.
    • જે વ્યક્તિની રાજ્યપાલ તરીકે નિયુક્તિ કરવાની હોય તે જે-તે રાજ્યના વતની ન હોવા જોઈએ. જેથી તે સ્થાનિક રાજકારણમાં ભાગ ન લે અથવા સ્થાનિક રાજકારણથી પ્રભાવિત ન થાય.
  • ઉદાહરણ :
    • ગુજરાતના રાજ્યપાલ રહી ચૂકેલા ઓમપ્રકાશ કોહલી બ્રિટિશ પંજાબના વતની છે.
    • ગુજરાતના રાજ્યપાલ તરીકે નિયુક્ત થયેલા આચાર્ય દેવવ્રત સંયુક્ત પંજાબના વતની છે.
  • રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યપાલની નિમણૂક કરતા પહેલા જે-તે રાજ્યના મુખ્યમંત્રી સાથે વિચારવિમર્શ કરવામાં આવે છે.

રાજ્યપાલના હોદ્દાની શરતો (અનુચ્છેદ 158)

  1. રાજ્યપાલ સંસદના બેમાંથી કોઈ ગૃહના અથવા રાજ્યના વિધાન મંડળના કોઈ ગૃહના સભ્ય હોવા જોઈએ નહીં અને જો સભ્ય હોય તો રાજ્યપાલનું પદ ગ્રહણ કરતાની સાથે જે-તે સભ્યપદ રદ થશે.
  2. રાજ્યપાલ અન્ય કોઈ લાભદાયક પદ ધરાવી શકશે નહીં.
  3. ભાડુ આપ્યા વગર રાજભવનનો ઉપયોગ કરવાનો અધિકાર રહેશે.
  4. બીજા પરિશિષ્ટમાં નિર્દેશ કરાયા મુજબ મળતર, ભથ્થાં, અને વિશેષાધિકાર મેળવવાનો અધિકાર રહેશે. રાજ્યપાલને મળતરો અને ભથ્થાં તેમના હોદ્દાની મુદત દરમિયાન ઘટાડી શકાશે નહીં.
  5. એક જ વ્યક્તિને બે અથવા વધુ રાજ્યોના રાજ્યપાલ તરીકે નીમવામાં આવી હોય ત્યારે, તે રાજ્યપાલને આપવાના વળતરો અને ભથ્થાં રાષ્ટ્રપતિ હુકમ કરીને નક્કી કરે તે મળવાપાત્ર થશે. જેને સંબંધિત રાજ્યો ચૂકવશે.
    • વર્ષ 2018માં રાજ્યપાલનો પગાર પ્રતિમાસ 1.10 લાખથી વધારીને રૂપિયા 3.5 લાખ પ્રતિમાસ કરવામાં આવ્યો છે.

રાજ્યપાલના હોદ્દાની મુદત (અનુચ્છેદ 156)

  • 156(1) મુજબ રાજ્યપાલ રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી હોદ્દો ધરાવે છે.
  • આ જોગવાઈનો અર્થ એ થાય છે કે રાજ્યપાલની પાસે પદની સુરક્ષા નથી. રાષ્ટ્રપતિ ગમે ત્યારે તેને પદ પરથી હટાવી શકે છે.

રાજ્યપાલે લેવાના શપથ (અનુચ્છેદ 159)

  • દરેક રાજ્યપાલે અથવા રાજ્યપાલના કાર્યો બજાવતી દરેક વ્યક્તિએ પોતાનો હોદ્દો સંભાળતા પહેલા તે રાજ્યના સંબંધમાં હુકુમત ધરાવતા હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ અથવા તેમની ગેરહાજરીમાં વરિષ્ઠ ન્યાયમૂર્તિની હાજરીમાં શપથ અથવા પ્રતિજ્ઞા લેવાના રહે છે.

રાજ્યપાલની સત્તા અને કાર્યો

  • રાજ્યપાલ રાજ્યના બંધારણીય વડાં છે, તેમની પાસે રાષ્ટ્રપતિની જેમ કાર્યકારી, ધારાકીય, નાણાકીય તેમજ ન્યાયિક સત્તાઓ રહેલી છે. પરંતુ રાજ્યપાલની પાસે લશ્કરી કે કટોકટી સંબંધી સત્તાઓ રહેલી નથી.
  • રાજ્યપાલની પાસે રહેલી સત્તાઓ ઔપચારિક અને વિવેકાધીન સત્તાઓ છે, એટલે કે મુખ્યમંત્રીની સલાહ-સૂચનથી જે સત્તાઓનો ઉપયોગ કરી શકે તે ઔપચારિક સત્તાઓ છે. જ્યારે જે સત્તાનો ઉપયોગ કરવામાં પોતાની જાતે નિર્ણય કરી શકે તે વિવેકાધીન સત્તા છે.

કારોબારી સત્તા

  • બંધારણના અનુચ્છેદ 154 મુજબ રાજ્યપાલ રાજ્યની કારોબારીના વડાં છે. જ્યારે મુખ્યમંત્રી સરકારના વડાં છે.
  • રાજ્યપાલ દ્વારા અમલ કરાવવા સાથે સંકળાયેલા અધિકારીઓની નિમણૂક કરવામાં આવે છે.
  • રાજ્યપાલ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી, મંત્રીમંડળ, એડવોકેટ જનરલની નિમણૂક કરવામાં આવે છે.
  • છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, ઝારખંડ તથા ઓડિશામાં રાજ્યપાલ દ્વારા જનજાતિ કલ્યાણ મંત્રીની નિમણૂક કરવામાં આવે છે.
  • રાજ્યપાલ દ્વારા રાજ્ય ચૂંટણી પંચના કમિશનરની નિમણૂક કરવામાં આવે છે.
  • તેમજ તેમની સેવાની શરતો નિર્ધારિત કરે છે.
  • રાજ્યપાલ દ્વારા રાજ્ય લોકસેવા આયોગના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કરવામાં આવે છે.
  • રાજ્યપાલ, મુખ્યમંત્રી પાસે કારોબારી વિષયક બાબતોની જાણકારી મેળવી શકે છે.
  • મંત્રી દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવ્યો હોય જેની મંત્રી પરિષદને જાણકારી નથી, તેવા સંજોગોમાં મુખ્યમંત્રીને વિચાર કરવા અંગે જણાવી શકે છે.
  • રાજ્યમાં કટોકટી (રાષ્ટ્રપતિ શાસન) લાગુ કરવા અંગે રાષ્ટ્રપતિને ભલામણ કરી શકે છે. કટોકટી દરમિયાન રાષ્ટ્રપતિના પ્રતિનિધિ તરીકે રાજ્યમાં સત્તાની ઉપયોગ કરી શકે છે.
  • રાજ્યપાલ હોદ્દાની રૂએ રાજ્યની દરેક યુનિવર્સિટીમાં કુલપતિ હોય છે, તે યુનિવર્સિટીના ઉપકુલપતિની નિમણૂક કરે છે.

ધારાકીય સત્તા

  • બંધારણના અનુચ્છેદ 168 મુજબ રાજ્યપાલ રાજ્યના વિધાનમંડળનું અભિન્ન અંગ છે. રાજ્યના વિધાન મંડળના બે ગૃહો હોય તો એક વિધાન પરિષદ અને બીજું વિધાનસભા તરીકે ઓળખાશે અને એક જ ગૃહ હોય તો વિધાનસભા નામે ઓળખાશે.
  • રાજ્યપાલ વિધાનમંડળનું સત્ર બોલાવવાની તેમજ સત્રની સમાપ્તિ કરવાની સત્તા ધરાવે છે.
  • રાજ્યપાલ વિધાનસભાની ચૂંટણી પછીના પ્રથમ સત્રને અથવા વર્ષના પ્રથમ સત્રને સંબોધન કરી શકે છે.
  • વિધાનમંડળના ગૃહોને વિચારાધીન ખરંડાઓ પર અથવા અન્ય કોઈ બાબતને લઈ સંદેશ મોકલી શકે છે. વિધાનસભાના અધ્યક્ષ અથવા ઉપાધ્યક્ષની ગેરહાજરીમાં ગૃહના કોઈ સભ્યને અધ્યક્ષની કામગીરી કરવા નિયુક્ત કરી શકે છે.
  • રાજ્યની વિધાન પરિષદમાં રાજ્યપાલ દ્વારા કલા, સાહિત્ય, વિજ્ઞાન, સહકારી ક્ષેત્ર, સમાજ સેવાના નિષ્ણાત (વિધાન પરિષદની સંખ્યાના 1/6 સભ્યો)ની નિમણૂક કરવામાં આવે છે.
  • રાજ્યપાલ વિધાનસભામાં એક એંગ્લો ઈન્ડિયનની નિમણૂક કરી શકે છે. (એંગ્લો ઈન્ડિયનને મળતું અનામત સમાપ્ત કરવામાં આવ્યું છે.)
  • વિધાનસભાના સભ્યની સભ્યતા અંગે કેન્દ્રીય ચૂંટણી પંચ સાથે વિચાર વિમર્શ કરી નિર્ણય કરી શકે છે.
  • રાજ્યની વિધાનસભા વિધાનમંડળ દ્વારા પસાર કરવામાં આવેલા ખરડાને રાજ્યપાલ મંજૂરી આપે ત્યારબાદ જ કાયદો બની શકે છે.
  • રાજ્યપાલ પાસે આવેલા ખરડાને રાજ્યપાલ…
    1. મંજૂરી આપી શકે અથવા
    2. નામંજૂર કરી શકે અથવા
    3. ગૃહને પુનઃવિચારણા માટે મોકલી શકે. (નાણા વિધેયકને પુનઃ વિચારણા માટે મોકલી શકતા નથી.)
    4. પોતાની પાસે આવેલા ખરડાંને રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલી શકે છે.
  • ક્યા પ્રકારના ખરડાને રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલી શકે ?
    • જમીન અધિગ્રહણ સંબંધિત હોય.
    • રાષ્ટ્રીય મહત્ત્વની બાબત હોય.
    • રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો (DPSP)ની વિરુદ્ધમાં હોય.
    • દેશના વ્યાપક હિતની વિરુદ્ધમાં હોય.
    • બંધારણના અનુચ્છેદોની વિરુદ્ધ હોય.
  • ઉદાહરણ : ગુજરાત વિધાનસભાએ પસાર કરાવેલું Gctoc બિલ
    • વર્ષ 2003માં ગુજરાત વિધાનસભાએ Gctoe (ગુજરાત કન્ટ્રોલ ઓફ ટેરેરીઝમ એન્ડ ઓર્ગેનાઈઝડ ક્રાઈમ) બિલ પસાર કરાવ્યું હતું.
    • ગુજરાતના તત્કાલીન રાજ્યપાલ કૈલાશપતી મિશ્રાને બિલમાં કેટલીક જોગવાઈઓ ગેરબંધારણીય જણાતા બંધારણના અનુચ્છેદ 200 મુજબ બિલને રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલ્યું હતું.
    • તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉ.એ.પી.જે અબ્દુલ કલામે બિલમાં રહેલી કેટલીક ગેરબંધારણીય અથવા વિવાદિત જોગવાઈઓના કારણે Gctoc બિલને નામંજૂર કર્યું હતું.
    • વર્ષ 2009માં ગુજરાત વિધાનસભાએ કોઈ ફેરફાર વિના ફરી Gctoc બિલને પસાર કરાવ્યું, પરંતુ તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રતિભાદેવીસિંહ પાટીલે નામંજૂર કર્યું હતું.
    • વર્ષ 2016માં ગુજરાત વિધાનસભાએ Gctoc (ગુજરાત કન્ટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગનાઈઝડ ક્રાઈમ) બિલને પસાર કરાવ્યું. પરંતુ તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ બિલને નામંજૂર કર્યું.
    • 5 નવેમ્બર, 2019ના રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે Gctoc બિલને મંજૂરી આપી.
    • 1 ડિસેમ્બર, 2020થી Gctoc બિલ ગુજરાતમાં અમલી બન્યું. રાજ્યપાલ, રાજ્ય નાણાં આયોગ, રાજ્ય લોકસેવા આયોગ તેમજ CAG (નિયંત્રક તેમજ મહાલેખા પરીક્ષક)ના અહેવાલો વિધાનમંડળના ગૃહ સમક્ષ મુકાવે છે.
  • જ્યારે વિધાનમંડળ અથવા વિધાનસભાનું સત્ર શરૂ ન હોય તેવા સમયે કાયદો બનાવવાની જરૂરિયાત ઊભી થાય તો રાજ્યપાલ બંધારણના અનુચ્છેદ 213 મુજબ વટહુકમ બહાર પાડે છે.
  • રાજ્યપાલ દ્વારા બહાર પાડવામાં આવેલા વટહુકમની વિશેષતા
    • રાજ્યયાદીના વિષય પર બહાર પાડી શકે છે.
    • વટહુકમને વિધાનસભાનું સત્ર શરૂ થયાના છ અઠવાડિયામાં મંજૂરી મળવી જરૂરી છે, જો મંજૂરી ન મળે તો વટહુકમ રદ્દ થાય છે.
    • એક જ વિષય પર રાજ્યપાલ ગમે તેટલી વખત વટહુકમ બહાર પાડી શકે છે.

નાણાકીય સત્તા

  • રાજ્યના વિધાનમંડળ સમક્ષ વાર્ષિક નાણાકીય નિવેદન (બજેટ શબ્દનો ઉલ્લેખ નથી) રજૂ કરાવવાની જવાબદારી રાજ્યપાલની છે.
  • નાણાકીય વિધેયક વિધાનસભામાં રજૂ કરતા પહેલા રાજ્યપાલની મંજૂરી લેવી અનિવાર્ય છે.
  • રાજ્યપાલની પૂર્વમંજૂરી વિના સરકારનો કોઈપણ વિભાગ અનુદાનની માંગ કરી શકતો નથી.
  • રાજ્યની આકસ્મિક નીધિનો હવાલો રાજ્યપાલ હસ્તક હોય છે.
  • પંચાયતો અથવા શહેરી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની નાણાકીય સ્થિતિની સમીક્ષા માટે દર પાંચ વર્ષે અથવા જ્યારે જરૂરિયાત જણાય ત્યારે રાજ્ય નાણાં આયોગનું ગઠન કરવામાં આવે છે.

ન્યાયિક સત્તા

  • રાજ્યના કાયદાના ભંગ બદલ કોઈ વ્યક્તિની ગુનાસિદ્ધી બાદ રાજ્યપાલ અનુચ્છેદ 161 મુજબ પાંચ પ્રકારે માફી આપી શકે છે.
    1. સંપૂર્ણ માફી (Pardon) : રાજ્યપાલ જે-તે વ્યક્તિની સંપૂર્ણ સજા માફ કરી શકે છે. અહીં નોંધનીય છે કે રાજ્યપાલ રાષ્ટ્રપતિની માફક કોઈની ફાંસીની સજા માફ કરી શકતા નથી.
    2. લઘુકરણ (Commutation) : રાજ્યપાલ જે-તે વ્યક્તિની સજાના પ્રકારમાં ફેરફાર કરી શકે છે.
    3. પરિહાર (Remission) : રાજ્યપાલ જે-તે વ્યક્તિની સજામાં ઘટાડો કરી શકે છે.
    4. વિરામ (Respite) : રાજ્યપાલ દ્વારા જે-તે વ્યક્તિને સજા શરૂ હોય ત્યારે નિશ્ચિત સમય માટે સજામાંથી મુક્તિ આપવામાં આવે છે.
    5. પ્રવિલંબન (Reprieve) : સજાના અમલમાં રાહત આપવામાં આવે.
  • રાજ્યપાલ દ્વારા સજામાં માફી આપવામાં આવે છે તે અંગ બંધારણમાં ખાસ સ્પષ્ટતા કરવામાં આવી નથી. પરંતુ વ્યવહારુ દ્રષ્ટિએ મંત્રીમંડળની ભલામણને આધીન રાજ્યપાલ સત્તાનો ઉપયોગ કરે છે.
  • અપુરન વિ.સુધાકર કેસની વિગત મુજબ કોંગ્રેસી કાર્યકરને તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના કાર્યકરની હત્યા કેસમાં આજીવન કેદની સજા કરવામાં આવી હતી. પરંતુ રાજ્યપાલે સજા માફ કરી, હત્યા થયેલ વ્યક્તિના પુત્રે રાજ્યપાલના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં રિટ અરજી દાખલ કરી. સુપ્રીમ કોર્ટે મહત્ત્વપૂર્ણ ચુકાદો આપતા જણાવ્યું કે રાજ્યપાલ પોતાની સત્તાનો ઉપયોગ મનસ્વી રીતે કરી શકે નહિ. રાજ્યપાલે આપેલી માફીને સુપ્રીમ કોર્ટમાં પડકારી શકાય છે.
  • નારાયણ દત્ત વિરુદ્ધ પંજાબ રાજ્ય કેસમાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે રાજ્યપાલની માફી આપવાની સત્તા કારોબારી સત્તાનો ભાગ છે. સાથે એવું પણ જણાવ્યું કે આરોપીને નિર્દોષ જાહેર કરવાની સત્તા રાજ્યપાલ પાસે નથી.
  • કે.એમ. નાણાવટી વિરુદ્ધ બોમ્બે રાજ્ય કેસમાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે જ્યારે કેસ ઉપલી અદાલતમાં અપીલ કરવામાં આવ્યો હોય અને સુનવણી શરૂ હોય તે દરમિયાન રાજ્યપાલ જે-તે આરોપીને માફી આપી શકતા નથી.
  • રાષ્ટ્રપતિ રાજ્યની હાઈકોર્ટના જજની નિમણૂક કરે તે સમયે સંબંધિત રાજ્યના રાજ્યપાલ સાથે વિચારવિમર્શ કરે છે.
  • આ રાજ્યપાલ, રાજ્યની હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સાથે વિચાર કરી જિલ્લા અદાલતના ન્યાયધીશોની નિમણૂક તેમજ બદલીઓ કરે છે.
  • રાષ્ટ્રપતિ :
    1. રાષ્ટ્રપતિ અનુચ્છેદ 72 મુજબ માફી આપી શકે છે.
    2. કેન્દ્રના કાયદાના ભંગ બદલ સજા થઈ હોય તો રાષ્ટ્રપતિ માફ કરી શકે.
    3. રાષ્ટ્રપતિ ફાંસીની સજા માફ કરી શકે.
    4. લશ્કરી અદાલતે (માર્શલ કોર્ટે) આપેલી સજાને રાષ્ટ્રપતિ માફ કરી શકે.
  • રાજ્યપાલ :
    1. રાજ્યપાલ અનુચ્છેદ 161 મુજબ માફી આપી શકે છે.
    2. રાજ્ય કાયદાના ભંગ બદલ સજા થઈ હોય તો રાજ્યપાલ માફ કરી શકે.
    3. રાજ્યપાલ ફાંસીની સજા માફ કરી શકતા નથી.
    4. લશ્કરી અદાલતે આપેલી સજાને રાજ્યપાલ માફ કરી શકતા નથી. (કારણ કે રાજ્યપાલ રાજ્યની લશ્કરની ત્રણેય પાંખના વડાં હોતા નથી.)
રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ વચ્ચેનો તફાવત

રાજ્યપાલની સત્તા અંગે સમજ

  • રાજ્યપાલ રાજ્યની કારોબારીના વડા છે, પરંતુ નામ માત્રના વડા છે. વાસ્તવિક સત્તા મુખ્યમંત્રી પાસે રહેલી છે.
  • કેટલીક સત્તા એવી છે, જેમાં રાજ્યપાલ મુખ્યમંત્રી સહિતના મંત્રીમંડળની ભલામણ વિના પોતાની વિવેકબુદ્ધિથી ઉપયોગ કરે છે. પોતાની વિવેકબુદ્ધિથી સત્તાનો ઉપયોગ કર્યો હોય તે સ્થિતિમાં પ્રશ્ન ઉઠાવવામાં આવતો નથી અને તે પ્રશ્ન ઊઠે તો રાજ્યપાલનો નિર્ણય આખરી ગણાય છે.
  • નીચેની બાબતો અંગે રાજ્યપાલ વિવેકબુદ્ધિથી સત્તાનો ઉપયોગ કરી શકે છે
    • રાજ્યપાલ પાસે આવેલા ખરડાંને રાષ્ટ્રપતિ પાસે મોકલવા અંગેની સત્તા
    • રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન અંગેની ભલામણ કરવા અંગેની સત્તા
    • રાજ્યની કારોબારી અંગેની મુખ્યમંત્રી પાસેથી માહિતી મેળવવા અંગેની સત્તા
  • અહીં નોંધનીય છે કે, સંસદે 42માં બંધારણીય સુધારા, 1976 દ્વારા બંધારણમાં જોગવાઈ કરી છે કે રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી સહિતના મંત્રીમંડળની સલાહ માનવા માટે બંધાયેલા છે. જ્યારે રાજ્યપાલ મુખ્યમંત્રી સહિતના મંત્રીમંડળની સલાહ માનવા માટે બંધાયેલા છે તેવી બંધારણમાં સ્પષ્ટ જોગવાઈ જોવા મળતી નથી.
  • રાજ્યપાલ પરિસ્થિતિ મુજબ કેટલીક વખત નિર્ણયો કરી શકે છે જેમકે,
    • રાજ્યની વિધાનસભાની ચૂંટણી બાદ કોઈ પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળી હોય તેવા સંજોગોમાં રાજ્યપાલ પરિસ્થિતિ મુજબ નિર્ણય કરી શકે.
    • વિધાનસભામાં શાસક પક્ષે વિશ્વાસનો મત મેળવવામાં નિષ્ફળ જાય તેવા સંજોગોમાં રાજ્યપાલ પરિસ્થિતિ મુજબ નિર્ણય કરી શકે.

Leave a Comment

error: Content is protected !!