તાલુકા (4)
તાલુકા (4) |
---|
દ્વારકા (ઓખામંડળ) |
ખંભાળિયા |
કલ્યાણપુર |
ભાણવડ |
તાલુકા યાદ રાખવાની ટ્રીક


- મુખ્ય મથક : ખંભાળીયા
- પ્રાચીન નામ : દારૂકાવન, બરાકે, ઓખામંડળ, ઉષામંડળ, યદુપુરી, કુશસ્થળી દ્વારકાવતી
- વખણાતી વસ્તુ : ઘી (ખંભાળીયાનું)
- મુખ્ય નદી : ગોમતી, ભોગતી, ઘી, સાની…
- મુખ્ય પાક : મગફળી, બાજરી, તલ, કપાસ, જુવાર, એરંડા, ઘઉં
જિલ્લાની રચના
- 15 ઓગસ્ટ, 2013ના રોજ જામનગર જિલ્લામાંથી દેવભૂમિ દ્વારકાની રચના કરવામાં આવી ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી હતાં.
ભૌગોલિક સ્થાન
- 21°89′ ઉત્તર અક્ષાંશથી 22°29′ ઉત્તર અક્ષાંશ
- 69°33′ થી 69°71′ પૂર્વ રેખાંશ વચ્ચે
જિલ્લાની સીમા
- ઉત્તર : કચ્છનો અખાત
- પૂર્વ : જામનગર
- દક્ષિણ : પોરબંદર
- પશ્ચિમ : અરબસાગર
સામાજિક અને આર્થિક સર્વેક્ષણ : 2021-22 મુજબ
- કુલ ક્ષેત્રફળ : 4051 ચો.કિ.મી.
- કુલ વસ્તી : 7,48,227
- જાતિ પ્રમાણ : 940 (દર 1000 પુરૂષો દીઠ મહિલાઓ)
- વસ્તી ગીચતા : 183 (એક ચો.કી.મી. દીઠ વ્યક્તિઓ)
- કુલ સાક્ષરતા : 67.8 ટકા
- દરિયાકિનારો : 235 કિલોમીટર
ઈતિહાસ
- પૌરાણિક કાળ મુજબ શ્રીકૃષ્ણ મથુરા છોડી સ્થળાંતર કરી ગયા ત્યારે હાલ દ્વારકાના વિસ્તારમાં રૈવતનું શાસન હતું. જે રૈવતની રાજધાની “કુશસ્થલી” હતી.
- શ્રીકૃષ્ણ એ રૈવતને હાર આપી સાત્વકુળના ચંદ્રવંશી યાદવોની સત્તા સ્થાપી અને કુશસ્થલીનું સમારકામ કરાવીને તેમણે દ્વારવતી નામ આપ્યું.
- પેરિપ્લસે દ્વારકા માટે “બરાકે” શબ્દનો ઉપયોગ કર્યો છે.
- દ્વારકાનો જૂનામાં જૂનો ઉલ્લેખ આપતો નાગરી લિપિનો સંસ્કૃત ભાષામાં લખાયેલ પ્રાચીન લેખ હાલના વિસાવાડા પાસેના રૈવતેશ્વર મહાદેવના મંદિરના ગર્ભદ્વાર પાસે મળ્યો છે. એ વસ્તુ સ્પષ્ટ છે કે ઈ.સ. 1264માં હાલનું દ્વારકા અસ્તિત્વમાં હતું.
- હરિવંશના 85માં અધ્યાયના પાંચમાં શ્લોકમાં દ્વારકાને “વારિદુર્ગા” કહેવામાં આવ્યું છે.
- જૈન આગમ સાહિત્યમાં દ્વારકા માટે “દ્વારવતી” શબ્દ પ્રયોજાયો છે.
- કનકસેન ચાવડાના નાના ભાઈ અનંતદેવે દ્વારકામાં રાજધાની સ્થાપી હતી. ઈ.સ. 1250માં ગુર્જર કવિ સોમેશ્વરે “ઉલ્લાસરાવ” નામનું નાટક દ્વારકામાં ભજવી શ્રીજીને અર્પણ કર્યું હતું.
- ઈ.સ. પૂર્વ 400માં વ્રજનાભે પોતાના પિતામહના સ્મરણમાં સમુદ્રમંથનમાં હરિમંદિરની પૂર્વમાં છત્રી સ્થાપી હતી, એવું હરિવંશપુરાણ અને હાલના બાંધકામ પરથી અનુમાન લગાવી શકાય છે.
- ઈ.સ. 1903માં મહારાજા સયાજીરાવ દ્વારા સુવર્ણકળશ ચડાવામાં આવ્યો હતો.
- ઈ.સ. 1965માં પાકિસ્તાનના અવિરત હુમલાઓ થયાં હોવા છતાં મંદિરનો ચમત્કારિક બચાવ થયો.
- ભગવાન શ્રીકૃષ્ણે વસાવેલી દ્વારકા સમુદ્રમાં હતી તે પછી બીજી પાંચ દ્વારકા ક્રમશઃ નિર્માણ થઈ ડુબી અને હાલની દ્વારકા સાતમી છે તેવું મનાય છે.
- દ્વારકા પર સૌ પ્રથમ આક્રમણ કરનાર મુસ્લિમ બાદશાહ મહમદ બેગડો હતો.
- મહમદ બેગડાએ દ્વારકા લૂટ્યું અને ધર્મસ્થાનો તોડ્યા.
- ગુજરાતી વિદ્વાન ઉમાશંકર જોષીએ સૂચન કર્યું હતું કે મહાભારતના સભા પર્વમાં વર્ણવેલ દ્વીપબેટ એ હાલનું દ્વારકા ગણી શકાય છે. બેટ દ્વારકાનું નામ “શંખોદ્વાર બેટ” પણ છે.
- વડોદરા રાજ્યની સાથે ઓખામંડળ વિસ્તાર પણ ગાયકવાડના શાસન હેઠળ હતો. 1857ના વિપ્લવ દરમિયાન વાધેરોએ આ વિસ્તાર કબજે કર્યો હતો.
- ત્યારબાદ બ્રિટિશરો, ગાયકવાડ અને અન્ય રજવાડાઓની સંયુક્ત સેનાઓએ ઈ.સ. 1858માં આ બેટ પાછો મેળવ્યો.
- ઈ.સ. 1947માં ભારતની સ્વતંત્રતા પછી તેનો સમાવેશ સૌરાષ્ટ્રમાં થયો.
- પછીથી સૌરાષ્ટ્ર રાજ્ય બોમ્બે રાજ્યમાં ભળી ગયું અને ઈ.સ. 1960 માં બોમ્બે રાજ્યમાંથી ગુજરાત રાજ્ય રચવામાં આવ્યું હતું.
- 2013માં દેવભૂમિ દ્વારકા જિલ્લો જામનગરમાંથી અલગ રચવામાં આવ્યો અને તેનું મુખ્ય મથક ખંભાળીયા છે.
- દ્વારકાનો ઉલ્લેખ વિષ્ણુપુરાણ, હરિવંશ પુરાણ, મહાભારત, સ્કંદપુરાણ તથા શ્રીમદ્ ભગવદ્ ગીતામાં થયેલ છે.
ભૂગોળ
નદીઓ
નદીઓ | ગોમતી, ઘી, ફુલઝર, સીંઘણી, પટણી, સની, સોનમતી, માણસાર, ભોંગત, વેરાડી, તેલી, કામન, સિંહણ, વેદમતી, રાણી, રેણુકા |
બંદરો
બંદરો | ઓખા, સલાયા, પોચિત્રા, બેટ દ્વારકા, લાંબા, પિંઢારા, વાડીનગર, રૂપેણ |
સિંચાઈ યોજના
સિંચાઈ યોજના | નદી |
---|---|
સાની ડેમ | સની નદી |
સિંહણ ડેમ | સિંહણ નદી ખંભાળીયા |
ડુંગર
- દ્વારકામાં ખંભાળીયા તાલુકામાં ઝાડેશ્વરની ટેકરીઓ આવેલ છે.
- કોયલો ડુંગર
પ્રાદેશિક પ્રદેશ
- હાલાર, દારૂકાવન (ગોપી તળાવ તથા તેની આજુબાજુનો પ્રદેશ)
પાક
- મગફળી, બાજરી, જુવાર વગેરે
આબોહવા
- મિશ્રભેજવાળું વાતાવરણ (ઠંડુ અને ભેજવાળું)
ખનીજો
- દ્વારકા નજીકના દરિયાકિનારેથી બોક્સાઈટ મળે છે. તેમાંથી એલ્યુમિનિયમ બને છે.
- મીઠાપુર પાસેથી “મિલિયોલાઈટ” નામનો ચૂનાનો પથ્થર, જિપ્સમ અને કેલ્સાઈટ વગેરે મળે છે.
- મરીન સેન્ડ અને સિલિકા સેન્ડ
- લાઈમસ્ટોન kભાણવડ)
ઉદ્યોગ
- મીઠાપુર ખાતે સોડાએશ અને કોસ્ટિક સોડા બનાવવાનું કારખાનું છે.
- સિમેન્ટ, દવા અને રસાયણ, ગરમ કાપડ, યંત્ર ઉધોગ, જહાજ ભાંગવાનો ઉદ્યોગ, મત્સ્ય ઉદ્યોગ વગેરેનો વિકાસ થયો છે.
અભયારણ્યો / રાષ્ટ્રીય ઉદ્યાન
- મરીન અભયારણ્ય – 1980
- મરીન નેશનલ પાર્ક – 1982
- મહાગંગા પક્ષી અભયારણ્ય (ગાગા અભયારણ્ય) – (1988) (તા. કલ્યાણપુર)
- સામુદ્રિક રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય-કચ્છના અખાતમાં જોડિયાથી ઓખા સુધીનો દરિયાકિનારો.
ટાપુઓ
- બેટદ્વારકા (શંખોદ્વાર બેટ) – કાળુભા બેટ
- પંચનાદ – બઈદા બેટ
- રમણ દ્વીપ – તોરા
- સૌથી વધુ ટાપુઓ ધરાવતો પ્રદેશ
- નરારા ટાપુ – વન્યજીવ સૃષ્ટિઓ માટે જાણીતો.
રાષ્ટ્રીય ધોરીમાર્ગ
- રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર-51 આ જિલ્લામાંથી પસાર થાય છે.
સાંસ્કૃતિક વારસો
મેળાઓ
- જન્માષ્ટમીનો મેળો (દ્વારકા)
- પિંડરાનો મેળો (કલ્યાણપુર)
- શ્રાવણ માસમાં અહીંયા મેળો ભરાય છે.
- આ મેળો “પિતૃતર્પણ” અને “મલ્લકુસ્તી” માટે જાણીતો છે.
સાંસ્કૃતિક વન
- નાગેશ વન
- ગુજરાત સરકારે નાગેશ્વર ખાતે 2013-14 માં નાગેશ વનની સ્થાપના કરી હતી.
વાવ
વાવ | મારાજની વાવ – ખંભાળીયા, સોનકંસારી – ઘૂમલી, ત્રંબાની વાવ, ખોરાદેવળની વાવ, શનિની વાવ – ઘૂમલી, દેરાણી જેઠાણીની વાવ – ભાણવડ, વિકિયા વાવ – ઘૂમલી, ગંગાસાગરની વાવ – ખંભાળીયા, પારપિયાની વાવ, કચોરીયાની વાવ, ટોડારી વાવ |
તળાવ / કુંડ / સરોવર
તળાવ / કુંડ / સરોવર | શહેર |
---|---|
ગોપી તળાવ | બેટ દ્વારકા |
રતન તળાવ | ખંભાળિયા |
રેયાનું તળાવ | ખંભાળિયા |
જલાસર તળાવ | ખંભાળિયા |
ભાંભુડા તળાવ | ખંભાળિયા |
શીરુ તળાવ | ખંભાળિયા |
ઈન્દ્રેશ્વર સરોવર | ભાણવડ |
નિષ્પાપ સરોવર | ખંભાળિયા |
મહત્ત્વની સંસ્થાઓ
- ડ્રાય ફાર્મિંગ રિસર્ચ સ્ટેશન : ખંભાળીયા
- ગુજરાત ફિશરીઝ એક્વેરીઝ એક્વેટિક સાયન્સિઝ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ : ઓખા બંદર
- દ્વારકાધીશ સંસ્કૃત અકાદમી એન્ડ ઈન્ડોલોજિકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ
- ટાટા કેમીકલ્સ : મીઠાપુર
મહત્ત્વના સ્થળો અને તેની વિશેષતાઓ
દ્વારકા (દ્વારાવતી, સુવર્ણનગરી, કુશસ્થલી, ઓખામંડળ, ઉષામંડળ)
- શ્રીમદ્ ભગવદ્ગીતા, સ્કંદપુરાણ, વિષ્ણુપુરાણ, હરિવંશ અને મહાભારતમાં પણ શ્રીકૃષ્ણની સુવર્ણનગરીનું વર્ણન છે.
- ભારતીય સંસ્કૃતિના યુગ પ્રવર્તક એવા શ્રીકૃષ્ણનું સામ્રાજ્ય એટલે પ્રાચીન નગરી દ્વારકા.
- આ ભૂમિ ક્રમશઃ કુશસ્થળી, દ્વારાવતી, ઉષામંડળ અને ઓખામંડળ તરીકે ઓળખાતી હતી.
- ગોમતી નદીના કિનારે આવેલું દ્વારકા હિન્દુઓના ચાર પ્રસિદ્ધ યાત્રાધામોમાંનું એક યાત્રાધામ છે.
- ભગવાન શ્રીકૃષ્ણે વસાવેલી દ્વારકાનગરી કચ્છના અખાતમાં ડૂબી ગઈ હતી તેના અવશેષો ઈતિહાસકાર ડૉ. એસ. આર. રાવને ઈ.સ. 1980માં મળ્યાં હતાં.
- દ્વારકા એ આનર્તો, કુશ અને યાદવોની પૌરાણિક કર્મભૂમિ તરીકે ઓળખાય છે.
- ભગવાન શ્રીકૃષ્ણના પ્રપૌત્ર વ્રજનાભે ઈ.સ. પૂર્વ 1400ની આસપાસ અગાઉ સમુદ્રમાં ડૂબી ગયેલા મંદિરની બચી ગયેલી છત્રી સ્થાપી હતી.
- 13મી સદીમાં બંધાયેલું દ્વારકાધીશનું 52 મીટર ઊંચું સાત માળનું વિશાળ મંદિર 60 સ્તંભો પર ઊભું છે.
- મંદિરના ગર્ભગૃહમાં દ્વારકાધીશની 1 મીટર ઊંચી ચતુર્ભુજ શ્યામમૂર્તિ છે.
- ચોથા માળે અંબાજીની પ્રતિમા અને પાંચમા માળે કોતરણીવાળા 72 સ્તંભો પર “લાડવા મંડપ” છે.
- મંદિરની બાજુમાં રૂક્ષ્મણીજીનું મંદિર આવેલું છે.
- મંદિરના પહેલા માળે શક્તિમાતાની પૂજા થાય છે. મંદિરના ઉત્તર તરફનાં દરવાજાને “મોક્ષ દ્વાર” અને ગોમતી નદી તરફનાં પગથિયાં ચડીને જે દ્વારમાંથી મંદિરમાં જવાય છે તે “સ્વર્ગદ્વાર” કહેવાય છે.
- કેન્દ્ર સરકાર દ્વારા “હેરિટેજ સીટી ડેવલપમેન્ટ એન્ડ ઓગમેન્ટેશન યોજના” (હૃદયhHRIDAY) હેઠળ દ્વારકા શહેરને “હેરિટેજ સિટી” તરીકે વિકસાવવાનું નક્કી થયું છે.
- દ્વારકા ખાતે ગોમતી નદી પર પંચનાદ તીર્થને જોડતા પુલને “સુદામાસેતુ” તરીકે ઓળખવામાં આવે છે.
- આ મંદિર જગતમંદિર તરીકે પણ ઓળખાય છે.
- સરકારની “પ્રસાદ યોજના” હેઠળ દ્વારકા મંદિરના વિકાસ કાર્યો હાથ ધરવામાં આવશે તેમજ પ્રવાસીઓ માટે વર્લ્ડ ક્લાસ સુવિધા, સ્થાનિક રોજગારી અને કલા સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનું આયોજન છે.
દ્વારકાધીશના સંકુલમાં આવેલા અન્ય મંદિરો
- શ્રી ત્રિવિક્રમરાયાનું મંદિર
- શ્રી ગુરૂદત્તાત્રેયનું મંદિર
- શ્રી માધવરાયજીનું મંદિર
- શ્રી પુરૂષોત્તમ રાયજીનું મંદિર
- શ્રી રાધાકૃષ્ણનાં મંદિર
- શ્રી ગાયત્રી માતાજીનું મંદિર
- શ્રી દેવકીજીનું મંદિર
- શ્રી અંબિકાજીનું મંદિર
- શ્રી બલદેવજીનું મંદિર
- વેણી માધવરાયજીનું મંદિર
- શ્રી દુર્વાસા ઋષિનું મંદિર
- શ્રી દ્વારકાધીશ મંદિરના પટાંગણમાં શ્રી આધશંકરાચાર્યજીનું મંદિર
દ્વારકામાં આવેલા આશ્રમો
- કાનદાસ બાપુનો આશ્રમ
- દયારામ બાપુનો આશ્રમ
- સનાતન સેવા મંડળ સન્યાસ આશ્રમ
- દ્વારકામાં વલ્લભાચાર્ય ગોસાઈજીની બેઠક પણ આવેલી છે.
શારદાપીઠ
- આઠમી સદીમાં આદિ શંકરાચાર્યે સ્થાપેલો “શારદાપીઠ” આશ્રમ નજીકમાં જ આવેલો છે. તે ભારતની ચાર પીઠોમાંની એક પીઠ છે.
- શારદા મઠના પ્રથમ મઠાધીશ હસ્તામલક હતા. જે આદ્યશંકરાચાર્યજીના મુખ્ય ચાર શિષ્યોમાંથી એક હતા.
રુક્મણીજી મંદિર
- ભગવાન શ્રીકૃષ્ણના પત્ની શ્રી રુક્મણી માતાનું મંદિર આવેલું છે.
- અહીં પ્રસાદ તરીકે રોટલો માતાને ધરવામાં આવે છે.
નાગેશ્વર મહાદેવ
- દ્વારકાથી 10 કિલોમીટર દૂર મીઠાપુર પાસે દારુકાવનમાં બાર જ્યોતિર્લિંગ પૈકીનું એક જ્યોતિર્લિંગ નાગેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે.
- નાગેશ્વરનો અર્થ નાગોના ભગવાન એવો થાય છે અને તે વિષથી મુક્તિ અર્થાત્ શિવજી દ્વારા ખરાબ વૃત્તિઓથી મુક્તિને પ્રદર્શન કરે છે.
- શિવપુરાણ અનુસાર સુપ્રિયા નામની શિવભક્ત અને અન્યોને દારૂકા નામના રાક્ષસે દારૂકાવનમાં બંદી બનાવી રાખ્યા હતા.
- સુપ્રિયાના કહેવાથી સૌએ શિવના જાપ શરૂ કર્યાં અને ભોળાનાથ પ્રગટ થયો.
- તેમણે રાક્ષસોનો નાશ કર્યો અને ત્યાં જ્યોતિર્લિંગ તરીકે સ્થાપિત થયા.
- અહીંયા 95 ફૂટ ઊઁચી શિવની પ્રતિમા છે જે “ગુલશન કુમારે” બંધાવી આપેલ છે.
- શ્રી કૃષ્ણે પોતાની નવી રાજધાની દ્વારકાનું નિર્માણ કર્યું તે પહેલા નાગેશ્વર મહાદેવના આશીર્વાદ લીધા હતાં.
- અહીંયા નાગેશવન પણ આવેલું છે.
- ઓખા અને બેટ દ્વારકાને સિગ્નેચર બ્રિજ દ્વારા જોડવામાં આવેલ છે.
ભડકેશ્વર મહાદેવ
- ભડકેશ્વર મહાદેવ મંદિર દરિયામાં આવેલું છે.
- ચંદ્રમૌલેશ્વર શિવમંદિરના મુખ્ય ભાગમાં અધ્યક્ષ દેવતા છે.
- ભડકેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં ગીતામંદિર આવેલું છે. આ મંદિરનું નિર્માણ ઈ.સ. 1900માં ભારતના અગ્રણી ઉદ્યોગપતિ બિરલા પરિવાર દ્વારા બનાવવામાં આવેલ છે.
દાંડી હનુમાન મંદિર – બેટદ્વારકા
- બેટ દ્વારકા ટાપુ પર ભગવાન દ્વારકાધીશજીના મંદિરથી ત્રણેક કિ.મી દૂર “હનુમાનજીનું મંદિરx આવેલું છે. જે હનુમાનદાંડી મંદિર તરીકે ઓળખાય છે.
- આ સ્થળે ભાવિકો રામભક્ત હનુમાનજીની સોપારીની માનતા રાખે છે.
- આ સ્થળે હનુમાનજી પાતાળમાં રામચંદ્રજી અને લક્ષ્મણજીને લાવ્યા હતા એવી હનુમાનદાંડીની પૌરાણિક માન્યતા છે.
ગુરૂદ્વારા – બેટદ્વારકા
- બેટ દ્વારકામાં ગુરુ ગોવિંદસિંહજીના પંચ પ્યારા પૈકીના એક ભાઈશ્રી મોહકમસિંહજીનું વતન હતુ તેમની જન્મભૂમિમાં આ ગુરૂદ્વારા નિર્માણ કર્યું છે.
- ઈ.સ. 1999માં ગુજરાત સરકારે દ્વારકાથી પંજાબ સુધીની સ્મૃતિયાત્રા પણ યોજી હતી,
કિલેશ્વર મહાદેવ – ભાણવડ તાલુકો
- આ સ્થળે હજારો વર્ષ પહેલાં પાંડવપુત્રોએ ગુપ્તવાસનો સમય વિતાવેલ અને ભગવાન શ્રીકૃષ્ણએ આ શિવલિંગનો અભિષેક કરાવી મંદિરની સ્થાપના કરી હતી તેવી માન્યતા છે.
હરસિદ્ધિ મંદિર
- આ મંદિર કલ્યાણપુર તાલુકાના ગાંધવી ગામે આવેલ છે, જે હરસિદ્ધિ માતાજી મંદિર તરીકે ઓળખાય છે.
- હાલમાં કોયલા ડુંગરની તળેટીમાં મુખ્યમંદિર છે.
- શેઠ જગડુશા નામના વ્યાપારી હરસિદ્ધિ માતાના પરમભક્ત હતા
વડીલોના શ્રાદ્ધ માટેનું સ્થળ : પિંડતારક પિંડરા
- કલ્યાણપુર તાલુકાની સરહદે આવેલું છે.
- પાંડવોના યુગની ઐતિહાસિક ઘટના સાથે સંકળાયેલા પિંડારામાં માટેશ્વર, કપાળલોચન, બ્રહ્માજીના દહેરા, હનુમાનજીની મૂર્તિઓ અને ત્રણ ફૂટનું લિંગ આવેલ છે.
- અહીં પુષ્ટિમાર્ગીય પ્રેરણામૂર્તિ મહાપ્રભુજીની બેઠક પણ છે.
- અહીંનાં બ્રહ્મા, દુર્વાસા અને અગત્સ્ય નામના ખંડેરમાં ઉનાળામાં ઠંડક અને શિયાળામાં ગરમીની અનુભૂતિ થાય છે.
પનોતી મંદિર (શનિદેવનું મંદિર)
- ભાણવડ તાલુકાના હાથલા ગામમાં શનિદેવનું મંદિર આવેલું છે. હાથલાનો ઉલ્લેખ પુરાણોમાં અને શાસ્ત્રોમાં ભગવાન શનિદેવના જન્મસ્થળ તરીકે થયો છે.
- આ મંદિરમાં શનિદેવ બાળ સ્વરૂપે બિરાજમાન છે. સાથે જ શનિદેવની પ્રાચીન મૂર્તિઓ, શિલ્પ, તૂટેલું શિવલિંગ, હનુમાન અને શનિકુંડ હયાત છે.
- આ મંદિરનું બાંધકામ જેઠવાઓના ઘુમલી રાજ્યની પહેલા મૈત્રક કાલીન સમયમાં બન્યું હોવાનું કહેવાય છે.
- હાથલા ગામ બરડા ડુંગર નજીક આવેલું છે.
- આ બરડા ડુંગર તરીકે ઓળખાતો વિસ્તાર એક સમયે બટુકાચળ અને પીપ્લાવન હોવાનુ શાસ્ત્રોમાં ઉલ્લેખ છે.
સુવર્ણ તીર્થ
- દ્વારકાથી આશરે 7 કિ.મીના અંતરે સુવર્ણતીર્થ આવેલ છે. આ ક્ષેત્ર સૈન્ધવકાલીન સૂર્યમંદિર સાથે જોડાયેલું છે.
- અહીંયા સપ્તઅશ્વરથ સાથે સૂર્યદેવની પ્રતિમા આવેલી છે.
- જાયકદેવના તામ્રપત્રમાં આ સ્થળનો “સુવર્ણક્ષેત્ર” તરીકેનો ઉલ્લેખ છે.
ખંભાળિયા
- જિલ્લાનું મુખ્ય મથક અને શુદ્ધ ઘી માટે ભારતભરમાં પ્રખ્યાત છે. અહીં આરાધના ધામ, જોધપુર ગેટ, દરબારગઢ, ઝાડેશ્વર ટેકરી જોવાલાયક છે.
- ધ્રાસણવેલ ખાતે ધ્રાસણવેલ મંદિર (મગડેરું) આવેલ છે.
- ખંભાળિયા ગામમાં ઘી નામની નદી પણ છે.
મીઠાપુર
- ભારતનો પ્રથમ કોરલ રીફ ગાર્ડન બનાવવામાં આવ્યો છે.
- ટાટા કેમિકલ્સનું સોડાએશ અને કોસ્ટિક સોડા બનાવવાનું કારખાનું આવેલું છે.
ઘુમલી
- પાસે આવેલું ઘુમલી બહુ પ્રાચીન અને ઐતિહાસિક નગર છે.
- અહીં “નવલખા મંદિર” અગિયારમી – બારમી સદીમાં બંધાયેલું છે.
- અહીં આશાપુરા માતાનું મંદિર છે. અનુમૈત્રક કાળ દરમિયાન સૈધવવંશની રાજધાની હતી. અહીં માત્ર હવે નાની ડેરી આવેલી છે.
- નવલખા મંદિર સ્થાપત્યોના અવશેષોની નોંઘ વિદેશી કલાવિવેચક બર્જસે પોતાના ગ્રંથ “ઍન્ટિક્વિટીઝ ઓફ કાઠિયાવાડ”માં લીધી હતી.
- નવલખા મંદિર ભાણવડ તાલુકામાં આવેલું છે.
સાંબલતીર્થ
- દ્વારકા પાસેના બારડીયા ગામને પાદરે આ તીર્થના ભગ્ન ખંડેરો મળી આવ્યા છે.
- આ ક્ષેત્રમાં શ્રીકૃષ્ણ જાંબુવતીના પુત્ર સાંબે મગબ્રાહ્મણો દ્વારા સૂર્યપૂજાનો વિકાસ કર્યો હશે.
- સાંબે લક્ષ્મણાનું હરણ કરી અહીં વસી આ મંદિરોની સ્થાપના કર્યાની લોકવાયકા મળે છે.
- આ ઓખામંડળ તાલુકામાં આવેલ છે.
મોડપરનો કિલ્લો h ભાણવડ (મોડપર ગામ)
- મોડજી જાડેજા દ્વારા આ કિલ્લો બંધાવાયો હતો.
- આ કિલ્લાનો ઉપયોગ રહેવા માટે નહીં, પરંતુ સીમાડાની રક્ષા કરવા માટે જામનગર સ્ટેટ દ્વારા થતો હતો.
- ઈ.સ. 1857માં સર્જાયેલા વિપ્લવમાં પોરબંદર અને જામનગરના આંદોલનકારીઓને આ કિલ્લામાં પૂરી દેવાયા હતા.
શિવરાજપુર બીચ
- શિવરાજપુર બીચને બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ 2020માં આપવામાં આવ્યું હતું.
- આ ઓખામંડળ તાલુકામાં આવેલ છે.
બ્લુ ફ્લેગ બીચ
- બ્લુ ફ્લેગ એક સર્ટિફાઈડ પ્રોગ્રામ છે. જેમાં નક્કી થાય છે કે, બીચ પૂર્ણપણે સાફ અને સુરક્ષિત હોય તથા 33 બાબાતોને આધારે આંતરરાષ્ટ્રીય એજન્સીઓ UNEP, UNWTO, ડેનમાર્કનું NGO અને IUCN જેવી સંસ્થાઓ મૂલ્યાંકન કરતી હોય છે.
- 2020 માં કુલ 8 દરિયાકિનારાને બ્લુ ફ્લેગ મળ્યા છે જેમાનું એક દ્વારકાનો શિવરાજપુર દરિયાકાંઠો પણ છે.
શંખોદ્વાર બેટ
- અહીં દ્વારકાધીશ તથા તેમની પટરાણીઓના બે-ત્રણ માળ વાળા આઠ મહેલો આવેલા છે.
- અહીં મત્સ્યાવતાર મંદિર આવેલું છે.
- અહીં શ્રીકૃષ્ણે “શંખ” નામનાં રાક્ષસનો ઉદ્ધાર કર્યો હતો.
- ભારે પ્રમાણમાં શંખ મળતાં હોવાથી તેને “શંખોદ્વાર બેટ” તરીકે ઓળખવામાં આવે છે.
ગોપી તળાવ
- ભગવાન શ્રીકૃષ્ણના બાળપણની કથાઓ આ તળાવો સાથે જોડાયેલી છે.
- નાનપણમાં તેઓ વૃંદાવન અથવા વ્રજમાં ગોપી સાથે રાસ રમતાં હતાં. જ્યારે તેઓ દ્વારકામાં ગયા ત્યારે ગોપીઓ અલગતા સહન ન કરી શક્યા અને તેમને મળવા આવ્યા ત્યારે શરદપૂર્ણિમાની રાતે રાસ રમ્યા હતા.
- એક દંતકથા મુજબ કૃષ્ણના સ્વર્ગવાસ બાદ કૃષ્ણના વિરહમાં આ ગોપીઓ આ તળાવમાં સમાઈ ગઈ હતી. તેઓના શરીર પીળી માટીમાં ફેરવાય ગયાં હતાં. જેમને હાલ ગોપીચંદન તળાવ તરીકે ઓળખવામાં આવે છે અને આજે પણ ગોપી તળાવની ભૂમિ પીળો રંગ ધરાવે છે.
અન્ય
- ભગવાન શ્રી કૃષ્ણના ધામ દ્વારકા ખાતે હોળી-ફુલડોલ ઉત્સવનું અનેરું મહત્ત્વ હોવાથી મોટી સંખ્યામાં લોકો અહીં ભગવાન શ્રી કૃષ્ણ સાથે ફુલડોલના ખાસ દર્શન કરવા તેમજ ભગવાન સાથે ધુળેટી રમવા દૂર-દૂરથી પગપાળા આવતા હોય છે.
1 thought on “Devbhumi Dwarka | દેવભૂમિ દ્વારકા”