Gir Somnath

Table of Contents

તાલુકા (06)

તાલુકા (06)
ગીર ગઢડા
સુત્રાપાડા
વેરાવળ
ઉના
તાલાળા
કોડીનાર

તાલુકા યાદ રાખવાની ટ્રીક

Gir-somnath-map
Gir-Somnath-Taluka
  • મુખ્ય મથક : વેરાવળ
  • પ્રાચીન નામ : વેરાવળ – વેરાકુલ
  • તુલસીશ્યામ : તપ્પોદક કુંડ
  • સોમનાથ : પ્રભાસ પાટણ, ચંદ્રતીર્થ, સૌમ્યપુર, ભાસ્કર ક્ષેત્ર, દેવપાટણ

જિલ્લાની રચના

  • ગીર સોમનાથ જિલ્લાની સ્થાપના વર્ષ 15 ઓગસ્ટ, 2013માં જૂનાગઢ જિલ્લામાંથી કરવામાં આવી.

ભૌગોલિક સ્થાન

  • 20° 54′ 21.1896′ ઉત્તર અક્ષાંશ
  • 70° 23′ 15.0180′ પૂર્વ રેખાંશ વચ્ચે

જિલ્લાની સીમા

  • ઉત્તર : જૂનાગઢ
  • દક્ષિણ : અરબસાગર
  • પૂર્વ : અમરેલી
  • પશ્ચિમ : અરબસાગર

સામાજિક-આર્થિક સર્વેક્ષણ 2021-22 પ્રમાણે

  • કુલ ક્ષેત્રફળ : 3755 (ચો.કિ.મી.)
  • કુલ વસ્તી : 12,10749
  • સાક્ષરતા : 72.2 ટકા
  • વસ્તી ગીચતા : 329 (એક ચો.કિ.મી. દીઠ વ્યક્તિઓ)
  • જાતિ પ્રમાણ : 966 (1000 પુરૂષો દીઠ મહિલાઓ)

ઈતિહાસ

  • લોકવાયકા મુજબ સોમનાથ મંદિર ચંદ્રદેવે સોનાનું, રાવણે ચાંદીનું, શ્રીકૃષ્ણએ સુખડનું અને ભીમદેવ પહેલાએ પથ્થરનું બંધાવ્યું હતું. ઈ.સ. 1094માં મહમદ ગઝનીએ તેમજ ઈ.સ. 1299માં અલ્લાઉદ્દીન ખિલજીએ સોમનાથ મંદિર ધ્વંશ કર્યું હતું.
  • મહમદ ગઝનીએ જ્યારે સોમનાથ પર આક્રમણ કર્યું ત્યારે દેલવાડાને પણ લૂંટ્યું હતું.

જિલ્લાની ભૂગોળ

નદીઓ

નદીઓદેવકા, કપિલા, રાવલ, સૌમત, શિંગોડા, હિરણ, મછુન્દ્રી, સરસ્વતી, ધાતરવડી, શિંગવડો

બંદરો

બંદરોવેરાવળ (વેરાવળ), સૈયદ્રાજપુરા (ઉના), મૂળ દ્વારકા (કોડીનાર), રાજપરા (ઉના), નવાબંદર (ઉના), હીરાકોટ(સુત્રાપાડા), ધામળેજ (સુત્રાપાડા), માઢવડ (કોડીનાર)

નદી કિનારે વસેલા શહેરો

નદીનદી કિનારે વસેલા શહેરો
શિંગવડોકોડીનાર
દેવકાવેરાવળ
હિરણસોમનાથ, તાલાલા
મછુન્દ્રીઉના

સિંચાઈ યોજના

સિંચાઈ યોજનાનદીવિશેષતા
કમલેશ્વરહિરણ1959માં બંધાયેલ (તા. તાલાલા)
શિંગવડોશિંગવડોગીરગઢડા તાલુકામાં
મરછુન્દ્રીમચ્છુન્દ્રીગીરગઢડા તાલુકામાં
રાવલરાવલગીરગઢડા તાલુકામાં

વેરાવળ (મત્સ્ય બંદર)

  • આ બંદરનો વિકાસ મત્સ્ય બંદર તરીકે વધુ થયો છે.
  • વેરાવળ સૌરાષ્ટ્રના દક્ષિણપૂર્વ કિનારે અરબસાગર પર આવેલું મોસમી અને લાઈટરેજ બંદર છે.
  • ટોલેમી દ્વારા વેરાવળનો ઉલ્લેખ “વેરાકુલ” તરીકે કરાયો હતો.

બીચ

  • અહમદપુર માંડવી બીચ

પાક

  • તાલાલા તાલુકામાં કેસર કેરીનું સૌથી વધુ ઉત્પાદન થાય છે.
  • કેસર કેરીને વર્ષ 2011માં GI ટેગ પ્રાપ્ત થયો છે.
  • આ ઉપરાંત અહીંયા મગફળી, ઘઉં, બાજરી, કેળા, જુવાર, નાળિયેર, કપાસ, શેરડી અને ડુંગળીનું પણ ઉત્પાદન થાય છે.

ડુંગરો

  • ગીરની ટેકરીઓ (સાસણગીર, તુલસીશ્યામ, નંદવેલી, મોડધાર)

પ્રાદેશિક પ્રદેશ : લીલી નાઘેર

  • ચોરવાડ (જિ. જૂનાગઢ) થી ઉના (જિ. ગીર સોમનાથ) સુધીનો વિસ્તાર લીલી નાઘેર તરીકે ઓળખાય છે.
  • લીલી નાઘેરમાં મોટા ભાગનો વિસ્તાર ગીર સોમનાથનો આવે છે.

ખનીજો

  • કેલ્સાઈટ
  • સીસું
  • ચૂનો
  • બોક્સાઈટ

અભયારણ્ય

  • ગીર પાર્ક અને અભયારણ્ય

ઉદ્યોગ

  • વડનગર (કોડીનાર)માં અંબુજા સિમેન્ટનું વિશાળ કારખાનું આવેલું છે. જેના લીધે વડનગરને અંબુજાનગર તરીકે પણ ઓળખવામાં આવે છે.
  • કોડીનારમાં ખાંડનું અને જાફરાબાદમાં સિમેન્ટનું કારખાનું આવેલું છે.
  • સુત્રાપાડામાં “ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ”નું સોડા એશ અને કોસ્ટિક સોડા બનાવવાનું કારખાનું આવેલું છે.
  • કોડીનારમાં હાઈટેક ઈન્ડસ્ટ્રીઝમાં પોર્ટલેન્ડ અને ઓઈલ વેવ સિમેન્ટનું ઉત્પાદન થાય છે.

રાષ્ટ્રીય ધોરીમાર્ગ

  • 51 નંબરનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ આ જિલ્લામાંથી પસાર થાય છે.

અન્ય

  • મગરોનાં સંવર્ધન માટેનું સૌથી મોટું આવાસ કેન્દ્ર હિરણ નદી પર આવેલું છે.

સાંસ્કૃતિક વારસો

સોમનાથ કાર્તિકી પૂર્ણિમાનો મેળો

  • મહાભારત અને પુરાણોમાં ઉલ્લેખ થયા મુજબ ભગવાન શિવે ત્રિપુર નામના અસુરોના લોહ, રૌપ્ય અને સુવર્ણ નિર્મિત ત્રણ નગરોનો બાળીને નાશ કર્યો હતો. તે દિવસ કાર્તિકી પૂર્ણિમાનો હતો. તે દિવસે અસુરોના કષ્ટમાંથી મુક્તિ મળતાં ત્રણે લોકમાં મહોત્સવ ઉજવાયો હતો. તેની યાદમાં શ્રી સોમનાથ ભગવાનના સાંનિધ્યમાં આ મેળો ઈ.સ. 1955 થી શરૂ કરીને નિયમિત રીતે દર વર્ષે આયોજિત કરવામાં આવે છે.
  • કારતક માસમાં અગિયારસથી લઈને પૂનમ સુધી એમ કુલ પાંચ દિવસના આ મેળામાં અસંખ્ય લોકો ભાગ લે છે.
  • કાર્તિકી પૂર્ણિમાને દિવસે રાત્રે બાર વાગ્યે ચંદ્ર સોમનાથ મંદિરના શિખરની બરાબર ટોચ ઉપર જોવા મળે છે. આ એક ભૌગોલિક આશ્ચર્યજનક ઘટના છે.

કુંડ / સરોવર

  • તુલસીશ્યામ / તત્પોદક કુંડ : તુલસીશ્યામ
  • બ્રહ્મકુંડ : કોડીનાર
  • ત્રિવેણી કુંડ : ઉના
  • સૌમ્ય સરોવર : સોમનાથ

વાવ

  • કાંચરી વાવ : ઉના

ધોધ

  • ઝમઝીર ધોધ
  • તાલાલાથી ઉના જતાં રસ્તામાં ગીર મધ્યે જામવાળા ગામ પાસે શીંગવડો નદી પરનો ઝમઝીર ધોધ જોવાલાયક છે.
  • ઝમઝીર ધોધ અને જામવાળાની બાજુમાં જમદગ્નિ ઋષિનો આશ્રમ આવેલો છે. લોકવાયકા મુજબ ભગવાન પરશુરામના પિતા જમદગ્નિ ઋષિ અને માતા રેણુકાની તપોભૂમિનો આ આશ્રમ છે. આશ્રમની બાજુમાં ઝમઝીર ધોધ આવેલો છે.

સાંસ્કૃતિક વન

  • હરિહર વન (2007)

યુનિવર્સિટી

  • શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ (સ્થાપના : 2005)

સંગ્રહાલય

  • પ્રભાસ પાટણ મ્યુઝિયમ : સોમનાથ

સંશોધન કેન્દ્ર

  • પ્રાદેશિક શેરડી સંશોધન કેન્દ્ર : કોડીનાર
  • ગુજરાત ઈકોલોજી એન્ડ એન્વાયરમેન્ટ રિસર્ચ ફાઉન્ડેશન

મહત્ત્વના સ્થળો અને તેની વિશેષતાઓ

વેરાવળ

  • ગીર સોમનાથ જિલ્લાનું વડું મથક વેરાવળ છે.
  • વેરાવળનું પ્રાચીન નામ “વેરાકુળ” હતું.
  • ટોલમીએ વેરાવળનો “વેરાકુલ” તરીકે ઉલ્લેખ કર્યો છે.
  • વેરાવળમાં ભાલકા ખાતે મોક્ષપીપળો આવેલો છે. “ભાલકા તીર્થ” અતિ પૌરાણિક સ્થાન છે.
  • યાદવાસ્થળી બાદ ભગવાન શ્રીકૃષ્ણ અહીં પીપળાના વૃક્ષ નીચે સમાધિમાં બેઠા હતા તે સમયે “જરા” નામના પારધીએ તેમને હરણ સમજી બાણ માર્યું હતું. જ્યારે પારધી શિકારને પકડવા નજીક ગયો ત્યાં તેણે શ્રી કૃષ્ણને જોયા અને ગભરાઈને ક્ષમા માંગવા લાગ્યો ત્યારે ભગવાને તેને આશ્વાસન આપતાં કહ્યું કે “જે કાંઈ થયું તે મારી ઈચ્છાથી જ થયું છે.” એમ કહી પારધીને માફ કરી દીધો અને ત્યારબાદ શ્રી કૃષ્ણ એ હિરણ નદીને કાંઠે જઈ દેહ ત્યાગ કર્યો. અહીં પારધી એ ભગવાન શ્રીકૃષ્ણને બાણ (ભલ્લ) મારેલું, એટલા માટે આ સ્થાનને ભાલકા તીર્થ કહેવાયું. અહીં ભાલકા કુંડ અને યજ્ઞકુંડ એમ બે કુંડ આવેલાં છે.
  • વેરાવળથી ઓખા સુધીના દરિયામાં શાર્ક અને વ્હેલ માછલીઓ જોવા મળે છે.
  • વેરાવળ અને ચોરવાડ વચ્ચે સમુદ્રમાં વીર સાવરકરની સ્મૃતિમાં અખિલ ભારતીય મુક્ત તરણ સ્પર્ધા દર વર્ષે યોજવામાં આવે છે. આ તરણ સ્પર્ધામાં બહેનો માટે અંતરની મર્યાદા 16 નોટિકલ માઈલ અને ભાઈઓ માટે 21 નોટિકલ માઈલ મર્યાદા હોય છે.
  • વેરાવળમાં શાર્ક માછલીના તેલને શુદ્ધ કરવાનો “શાર્ક ઓઈલ પ્લાન્ટ” આવેલો છે. જે ગુજરાતમાં સૌથી મોટો પ્લાન્ટ છે.
  • વેરાવળમાં ફિશરીઝ કોલેજ આવેલી છે.
  • સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી પણ અહીંયા આવેલી છે. જેની સ્થાપના વર્ષ 2005માં શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા થઈ હતી.

સાસણ ગીર

  • સમગ્ર વિશ્વમાં એશિયાઈ સિંહનું આ એક માત્ર નિવાસસ્થાન છે.
  • સિંહની છેલ્લી ગણતરી અનુસાર ભારતમાં એશિયાઈ સિંહની 2020ની ગણતરીમાં 674 સિંહો નોંધાયા. એમાં મોટા ભાગના સિંહ ગુજરાતના સાસણ ગીરમાં આવેલાં છે.
  • વન વિભાગ દ્વારા સાસણ ખાતે કુદરતના ખોળે વિહરતા સિંહોને નિહાળવા તથા સાસણ નજીક 412 હેક્ટરમાં વિકસાવેલ ગીર પરિચય ખંડ દેવળિયા ખાતે સિંહ દર્શનની વ્યવસ્થા કરાઈ છે.
  • ગીરના જંગલોમાં આવેલું આ સ્થળ સિંહના અભયારણ્ય (ગીર નેશનલ પાર્ક) તરીકે જાણીતું છે.

તુલસીશ્યામ

  • તુલસીશ્યામમાં ગંધકયુક્ત ગરમ પાણીના ત્રણ કુંડ આવેલા છે.
  • તુલસીશ્યામમાં આવેલા ગરમ પાણીના કુંડનો ઉલ્લેખ સ્કંદપુરાણમાં પણ કરવામાં આવ્યો છે.
  • તુલસીશ્યામમાં આવેલાં ગરમ પાણીના કુંડને તત્પાદક કુંડ પણ કહે છે. અહીંયા તુલસીશ્યામ મંદિર અને ધર્મશાળા આવેલી છે. બાજુમાં ટેકરી ઉપર રુકમણીજી બિરાજમાન છે.
  • તુલસીશ્યામમાં આવેલી ટેકરી પર ગુરૂત્વાકર્ષણબળ ન લાગતું હોવાની માન્યતા છે.

દેહોત્સર્ગ તીર્થ

  • આ સ્થળે ભગવાન શ્રી કૃષ્ણના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતાં.
  • વર્તમાનમાં આ સ્થળ “દેહોત્સર્ગ તીર્થ” તરીકે જાણીતું છે.
  • અહીંયા બાજુમાં ગીતામંદિર પરિસર આવેલું છે. આ મંદિરનાં 18 આરસના સ્તંભો ઉપર ગીતાના ૧૮ અધ્યાયો લખેલા છે.

સુત્રાપાડા

  • સુત્રાપાડામાં પ્રાચીન સૂર્યમંદિર આવેલું છે.
  • સુત્રાપાડામાં GHCL (ગુજરાત હેવી કેમિકલ લિમિટેડ)નું સોડા એશ બનાવવાનું કારખાનું આવેલું છે.
  • ભૃગુ ઋષિનો આશ્રમ અહીંયા આવેલો છે.

ગુપ્તપ્રયાગ

  • અહીં ગુપ્તપ્રયાગરાજનું મંદિર આવેલું છે. શ્રાવણ માસની અમાસે અહીં મેળો ભરાય છે.

અહમદપુર – માંડવી

  • અહમદપુર માંડવી સૌરાષ્ટ્રની સંસ્કૃતિનું દર્શન કરાવતું કુદરતી સૌંદર્ય ધરાવતું દરિયાકિનારે આવેલું અગત્યનું સ્થળ છે.
  • અહમદપુર માંડવીમા વોટર સ્કેટિંગ, સ્કીઈંગ, સર્ફીંગ અને નૌકાવિહારની અદ્યતન સગવડો છે.
  • અહીં રહેવા માટે ગ્રામીણ “તંબુ” અને સમુદ્ર કિનારે આવેલા પામ વૃક્ષો આકર્ષણનું કેન્દ્ર છે.

તાલાલા – કેસર કેરી

  • તાલાલા શહેર હિરણ નદીના કિનારે વસેલું છે.
  • તાલાલામાં ભીમદેવનું સૂર્યમંદિર આવેલું છે.
  • તાલાલાની કેસર કેરી જાણીતી છે તથા કેસર કેરીનું સૌથી વધુ ઉત્પાદન, તાલાલામાં થાય છે.
  • જૂનાગઢના નવાબ બાબી મહોબત ખાન ત્રીજાએ સન 1934ની આસપાસ કેરીનું નામ કેસર કેરી આપ્યું હતું. કેસર કેરીને દેશી ભાષામાં “ગોળ દડીની કેસર” કહે છે.

પ્રાચી

  • પ્રાચી પિતૃતર્પણ માટે જાણીતું સ્થળ છે. અહીં હજારો લોકો “પિતૃતર્પણ” માટે આવે છે.
  • પ્રાચી પાસેથી સરસ્વતી નદી પસાર થાય છે અને તે પૂર્વ તરફ વહેતી હોવાથી તેનું મહત્ત્વ ગયા અને કાશી કરતા પણ વધારે માનવામાં આવે છે.
  • પ્રાચીની મહત્તા દર્શાવતી એક કહેવત છે કે “સો વાર કાશી અને એક વાર પ્રાચી”
  • સુત્રાપાડા તાલુકામાં પ્રાચી ગામે માધવરાયનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે.

કોડીનાર

  • કોડીનાર શિંગવડો નદીના કિનારે આવેલું છે.
  • કોડીનાર પાસેના અંબુજાનગરમાં અંબુજા સિમેન્ટ કંપની આવેલી છે.
  • કોડીનારમાં ખાંડની સહકારી ધોરણે ચાલતી ફેક્ટરી બિલેશ્વર ખાંડ ફેક્ટરી આવેલી છે.
  • કોડીનારના જગતિયા ગામે જમીનમાંથી કુદરતી રીતે ગેસ નીકળે છે અને તેને “જાગૃતજ્યોત” કહેવામાં આવે છે.
  • કોડીનારના જંગતિયા ગામને “જગડુશા ધામ” પણ કહે છે.

રૂદ્રેશ્વર મહાદેવ – ઘાંટવડ

  • કોડીનાર તાલુકામાં શિંગવડો નદીના તટે ભગવાન રૂદ્રેશ્વરનું મંદિર આવેલું છે.
  • એક લોકવાયકા અનુસાર પાંડવપુત્ર અર્જુનને શિવજીની પૂજા કર્યા બાદ જ ભોજન લેવું એવી પ્રતિજ્ઞા હતી. વન વિચરણ દરમિયાન શિવજીનું મંદિર નજીકમાં ન મળતાં ભીમે નદીના રેતમાં શિવલિંગ તૈયાર કરી અર્જુને પૂજા કરી ભોજન પ્રસાદ લીધો હતો. ત્યારે ભીમે વાસ્તવિક હકીકત અર્જુનને બાદમાં જણાવતા શિવલિંગ પર ગદા પ્રહાર કરતાં રેતીનું શિવલિંગ સાચા અર્થમાં શિવલિંગ બની ગયું અને ગદા પ્રહારથી થયેલ ક્ષતિ આજેય જોવા મળે છે.

ભીમનાં દેરા

  • તાલાલા તાલુકાના ભીમદેવળ(પ્રાચી) ગામની સીમમાં સૂર્ય સમર્પિત ઈ.સ. 9મી સદીનું છતવાળું પ્રવેશદ્વાર ધરાવતું પૂર્વાભિમુખ સૂર્યમંદિર આવેલું છે.
  • ગર્ભગૃહના પ્રવેશ દ્વારે સૂર્યની પત્ની રજની અને નિશપ્રભાની સ્વાંગમાં ઊભેલી પ્રતિમાઓ છે.
  • લોકવાયકા પ્રમાણે ભીમદેવળ ગામ પાંડવપુત્ર ભીમે વસાવેલ હોવાની માન્યતા છે.

નગારચી પીરની દરગાહ

  • તાલાલા તાલુકામાં નિગ્રોઈડ (હબસી) એવા સીદી લોકોનું માધુપુર જાંબુર ગામ વસેલું છે.
  • અહીંયા નગારચી પીરની દરગાહ આવેલી છે.

બાણેજ

  • મધ્ય ગીરમાં બાણેજ યાત્રાધામ આવેલું છે.
  • સંતશ્રી સરસ્વતી બાપુની કઠિન ભૂમિ આવેલી છે. અહીં મહાદેવ અને ગંગામૈયાનું મંદિર ધર્મની જ્યોત પ્રગટાવે છે.

શાણાવાંકિયાની ગુફાઓ

  • ઉના તાલુકાના વાંકીયા ગામ પાસે રૂપેણ નદીની બાજુમાં આવેલા સાણાના ડુંગરો ઉપર આ ગુફાઓ આવેલી છે. સાણા ડુંગર ઉપર મધપૂડાની જેમ 62 જેટલી ગુફાઓ પથરાયેલી છે.
  • આ ડુંગર સાથે સાણો અને કુંવરનો ઈતિહાસ પણ છુપાયેલો છે.
  • આ સ્થળને પુરાતત્વ ખાતાએ રક્ષિત જાહેર કરેલું છે.
  • આ ડુંગર ઉપર રબારી સમાજના ચાર મઢવાળી માતાનું સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે.

સોમનાથ

  • ભારતના 12 જ્યોતિલિંગમાનું પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ મંદિર ગીરસોમનાથ જિલ્લામાં આવેલું છે. ઈ.સ. 122માં ભાવ બૃહસ્પતિએ રચેલી “સોમનાથ પ્રશસ્તિ”માં જણાવ્યા મુજબ સોમનાથનું મંદિર પ્રથમ સોમ એટલે ચંદ્રે બનાવ્યું.
  • કથા અનુસાર ચંદ્ર એ રાજા દક્ષ પ્રજાપતિની 27 કન્યાઓ સાથે વિવાહ કરેલા, આ 27 કન્યાઓમાં ચંદ્ર રોહિણીને વિશેષ માનપાન આપતા હતા. તેથી અન્ય 26 કન્યાઓ દુ:ખી હતી. તેમને પોતાના પિતા દક્ષને આ વિશે ફરિયાદ કરી તેથી દક્ષ રાજાએ પોતાની કન્યાઓને અન્યાય કરતા હોવાથી ચંદ્રને શ્રાપ આપ્યો અને ચંદ્ર ક્ષીણ થવા લાગ્યો અને તેની વિઘાતક અસર પૃથ્વી પર પડવા લાગી, જેથી ચંદ્રએ પોતાની તેજ શક્તિ પાછી મેળવવા શિવજીની ઘોર તપશ્ચર્યા કરી અંતે શિવજી આ સ્થળે પ્રગટ થયા અને ચંદ્રના શ્રાપનું નિવારણ કર્યું. ચંદ્રએ અહીં શિવજીની સ્થાપના કરી.
  • બીજા યુગમાં રાવણે રૂપાનું(ચાંદીનું) મંદિર બનાવ્યું, શ્રીકૃષ્ણએ સુખડના લાકડાંનું અને ભીમદેવે પથ્થરનું મંદિર બનાવ્યું હતું.
  • સોમનાથની સમૃદ્ધિની ચર્ચા દેશના ખૂણે ખૂણે હતી, માટે જ અનેક વિધર્મીઓએ સોમનાથને લૂંટવા અને તેની કીર્તિ ઓછી થાય તે માટે અવાર નવાર હુમલાઓ કરવામાં આવ્યાં હતા.
  • સૌપ્રથમ ઈ.સ. 1026માં મહમૂદ ગઝની એ સોમનાથ પર આક્રમણ કર્યુ હતું.
  • ત્યારબાદ દિલ્હીના સુલતાન અલ્લાઉદ્દીન ખિલજીના સેનાપતિ ઉલુગખાને સોમનાથ લૂંટ્યું હતું.
  • ઈ.સ. 1706માં ઔરંગઝેબે સોમનાથ મંદિર લૂંટ્યું હતું.
  • સોમનાથ મંદિરને લૂંટનાર (1) મહમદ ગઝની (2) મહંમદ ઘોરી (3) અલ્લાઉદીન ખિલજી (4) અહેમદ શાહ (5) મહેમદ બેગડો (6) ઔરંગઝેબ
  • અનેકવાર મંદિરનો ધ્વંશ થયો અનેક વાર તેનું પુનઃનિર્માણ થયું.
  • આજે બે મંદિરો છે. તેમાંનું એક અહલ્યાબાઈ હોલ્કરે બંધાવેલ મંદિર અને બીજું વલ્લભભાઈએ પુનઃનિર્માણ કરાવેલું મંદિર.
  • જૂનાગઢ નવાબની હકૂમત હેઠળના પ્રભાસ પાટણમાં સોમનાથના ભગ્ન બનેલા છઠ્ઠા મંદિરના અવશેષ હતા. થોડે દુર બાજુમાં અહલયેશ્વર મંદિર હતું. જે ઈ.સ. 1083-88 દરમિયાન અહલ્યાબાઈ હોલ્કરે બંધાવ્યું હતું.
  • સરદાર વલ્લભભાઈ જ્યારે જૂનાગઢની મુલાકાતે આવ્યા ત્યારે તેમણે સોમનાથની અવદશા જોઈ તેમણે પુનઃનિર્માણ કરવાનો સંકલ્પ લીધો. 13મી ડિસેમ્બર, 1947ના રોજ ભારત સરકારના બાંધકામ અને ખાણ અને વીજળી મંત્રાલયની સ્થાયી સમિતિએ સરદારશ્રીના આ વિચારને અનુમોદન આપ્યું.
  • 1949માં વલ્લભભાઈએ શ્રી સોમનાથ ટ્રસ્ટના પ્રથમ ટ્રસ્ટીઓની નિમણૂક જાહેર કરી હતી અને 25 લાખનું ભંડોળ એકઠું કર્યું હતું.
  • 11 મે, 1951ના રોજ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદના હસ્તે ગર્ભગૃહમાં સોમનાથ મહાદેવ લિંગ પ્રતિષ્ઠાપન કરવામાં આવ્યું હતું.
  • ચૌદ વર્ષ પછી સભામંડપનું બાંધકામ પૂર્ણ થતાં 13 મે, 1965ના રોજ 21 તોપોની સલામી સાથે સોમનાથ મંદિરના 155 ફુટ ઊંચા શિખર પર ધ્વજારોહણ અને કળશ પ્રતિષ્ઠાપન વિધિ સંપન્ન કરી. 19 મે, 1970ના રોજ શ્રી સત્ય સાંઈબાબાના હસ્તે દિગ્વિજય દ્વારનું ઉદ્ઘાટન થયું.

સોમનાથ મંદિરના વિવિધ ભાગોનું ઉદ્ઘાટન મંદિરના વિભાગો

મંદિરના વિભાગોવર્ષઉદ્ઘાટન કરનાર વિદ્વાનો
સોમનાથ મહાદેવ લિંગ પ્રતિષ્ઠાન1951ડો. રાજેન્દ્ર પ્રસાદ
કૈલાસ પ્રતિષ્ઠાન અને ધ્વજારોહણ વિધિ1965જામસાહેબ દિગ્વિજયસિંહજી
દિગ્વિજ્ય દ્વાર1970શ્રી સત્ય સાંઈબાબા
સરદારશ્રીની પ્રતિમા અનાવરણ1970પૂ.રવિશંકર મહારાજ
નૃત્યમંડપ1995ડો. શંકરદયાલ શર્મા

અન્ય મહત્વપૂર્ણ માહિતી

  • ઉના વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો તાલુકા છે.
  • સોમનાથ મંદિરને “કૈલાસ મહામેરુ પ્રાસાદ” તરીકે ઓળખવામાં આવે છે.
  • શિલ્પશાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે શિવપ્રસાદના પાચ પ્રકારો છે. (1) વૃષભ (2) ગિરિકૂદ (3) કૈલાસ (4) અમર (5) મહેન્દ્ર (મેરુ) પુનઃ નિર્મિત સોમનાથ મંદિર કૈલાસ અને મહેન્દ્ર (મેરૂ) બંને પ્રકારને આવરી લે છે. તેથી આ મંદિરને કૈલાસ મહામેરુ તરીકે ઓળખવામાં આવે છે.
  • સોમનાથના અત્યારના મંદિરની ઊંચાઇ ભૂમિતળથી શિખર સુધી 155 ફૂટ છે. તેના ઉપરનો ધ્વજદંડ 30 ફૂટનો છે તથા ધ્વજદંડની પરિધિ 1 ફૂટ છે.
  • મંદિરના શિખર ભાગમાં 7 મજલા છે અને ગર્ભગૃહ અને તેની ઉપરના મજલા સહિત કુલ 9 મજલાનું મંદિર છે.
  • વર્તમાન સોમનાથ મંદિરનો આલેખ પ્રસિદ્ધ શિલ્પકારશ્રી પ્રભાશંકર સોમપુરા દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો.
  • મંદિર પરિસરમાં હનુમાનજીના મંદિર પાસેની દેરીના સામે શ્રી સોમનાથની રક્ષા કરવા વીરતાથી લડેલા અને શહીદ થયેલા લાઠીના રાજકુમાર શ્રી હમીરજી ગોહિલના ઈ.સ. 1286 ની સાલનો પાળિયો છે.
  • પંચધાતુ પ્રતિમાનું અનાવરણ 8 નવેમ્બર, 2008નાં રોજ નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવ્યું હતું.
  • આજ પરિસરમાં ગણેશનું સ્થાન છે જે કપર્દિ વિનાયક તરીકે જાણીતું છે.
  • સોમનાથની યાત્રાએ જતાં મીનળદેવીએ 2 લાખનો કર સિધ્ધરાજ જયસિંહ પાસે રદ કરાવ્યો હતો.
  • અહીંયા હિરણ, કપિલા અને સરસ્વતીનો સંગમ થાય છે. જેે ત્રિવેણી સંગમ તરીકે ઓળખાય છે.
  • 73 મા પ્રજાસત્તાક પર્વ 2022ની ગૌરવવંતા ગીર સોમનાથમાં ઉજવણી કરવામાં આવી હતી.
  • ગીર સોમનાથ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સ્તરનું સ્પોર્ટ સંકુલ ઈણાજ ખાતે 12 એકર જમીનમાં બનાવવાની યોજના છે. બજેટ 2022-23 PRASAD – Pilgrimage Rejuvenation And Spinitual Augmentation Drive યોજના હેઠળ સોમનાથ મંદિર યાત્રાધામનો વિકાસ કરવાનું આયોજન છે.

1 thought on “Gir Somnath”

Leave a Comment

error: Content is protected !!