Gujarati sahitya no samany parichay ane sahitya svarup – Gujarati Literature

Gujarati sahitya no samany parichay ane sahitya svarup – Gujarati Literature

ગુજરાતી સાહિત્યનો સામાન્ય પરિચય અને સાહિત્ય સ્વરૂપ

  • ગુજરાતી ભાષાનું મૂળ સંસ્કૃત ભાષામાં રહેલું છે. અગિયારમી સદીમાં થયેલા જૈન સાહિત્યકાર હેમચંદ્રાચાર્યથી ગુજરાતી ભાષાના બીજ રોપાયા છે. આપણા પ્રાચીન ગ્રંથોની ભાષા સંસ્કૃત હતી. ત્યારબાદ કાળક્રમે પ્રાકૃત, અપભ્રંશ, શિષ્ટ ગુજરાતી અને માન્ય ગુજરાતી અમલમાં આવી. ગુજરાતી સાહિત્યનો ઉદ્ભવ સંસ્કૃતમાંથી થયો છે.
  • મથુરાથી દ્વારકા સુધીના વિસ્તા૨માં શૌરસેની કુળની ભાષા બોલાતી હતી, જેનો એક અલગ ફાંટો ગુજરાતી તરીકે ઓળખાયો. ગુજરાતી આર્યકુળની ભાષા છે.
  • બારમી સદીના અંતભાગમાં ગુજરાતી ભાષાનું પ્રથમ પુસ્તક “ભરતેશ્વર બાહુબલી રાસ” મળે છે. પરંતુ આ પહેલાં સંસ્કૃત અપભ્રંશ ભાષાના મિશ્રણ સ્વરૂપના હેમચંદ્રાચાર્ય પાસેથી અનેક ગ્રંથો મળે છે. આથી હેમચંદ્રાચાર્યને ગુજરાતી ભાષાના આદિ સ્થાપક ગણી શકાય.
  • બારમી સદીથી આજ દિન સુધી ગુજરાતી ભાષામાં અનેક પ્રયોગશીલ પ્રયોગો થયા. જેના પરિણામ સ્વરૂપે ગુજરાતી ભાષાને આગવું સ્થાન પ્રાપ્ત થયું. ગુજરાતી સાહિત્યને બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. “મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય” અને “અર્વાચીન ગુજરાતી સાહિત્ય”.
  • મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો સમયગાળો ઈ.સ.1185 થી 1850 તથા અર્વાચીન ગુજરાતી સાહિત્યનો સમયગાળો 1850થી આજ દિન સુધીનો ગણવામાં આવે છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યને તેના લક્ષણોને આધારે બે ભાગમાં અને અર્વાચીન ગુજરાતી સાહિત્યને અન્ય પાંચ ભાગમાં નીચે મુજબ વિભાજિત કરવામાં આવે છે.
ગુજરાતી સાહિત્ય

જૈન સાહિત્ય : (1185 થી 1414 સુધી)

  • જૈન સાહિત્ય જૈન મુનિ દ્વારા લખાયેલ હોવાથી તેમને જૈન સાહિત્ય તરીકે ઓળખવામાં આવે છે. હેમચંદ્રાચાર્ય જૈન સાહિત્યના પ્રથમ સાહિત્યકાર હતા. પરંતુ, તેમની કૃતિમાં સંસ્કૃત અને અપભ્રંશ ભાષા જોવા મળે છે. આથી તેમની કૃતિને પ્રથમ ગુજરાતી કૃતિ તરીકે સ્થાન મળેલ નથી.
  • ગુજરાતી ભાષાના બીજનું મંડાણ ઈ.સ.1185માં લખાયેલી કૃતિ “ભરતેશ્વર બાહુબલી રાસ” દ્વા૨ા થયું, જેમના કર્તા શાલિભદ્રસૂરિ હતા. આ કૃતિ ગુજરાતી ભાષાની પ્રથમ ઐતિહાસિક કૃતિ ગણાય છે.
  • “ભરતેશ્વર બાહુબલી રાસ” માં જૈનધર્મના પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવ (આદિનાથ)ના બે પુત્રો ભરત અને બાહુબલીના યુદ્ધનું વર્ણન કરવામાં આવ્યું છે જે વી૨૨સ પ્રધાન કૃતિ છે.
  • ઈ.સ.1185 થી ઈ.સ.1414 જેમાં જૈન મુનિઓ દ્વારા અનેક સાહિત્યનું સર્જન ગુજરાતી ભાષામાં થયેલું છે.
  • જૈન સાહિત્યમાં સૌથી વધારે પ્રથમ તીર્થંકર ઋષભદેવ (આખલો), બાવીસમા તીર્થંકર નેમિનાથ (શંખ) તથા ચોવીસમા કે અંતિમ તીર્થંકર ભગવાન મહાવીર સ્વામી (સિંહ) વિશે સાહિત્ય લખાયું છે.
  • જૈનેત્તર સાહિત્યમાં જે રીતે ભગવાન શ્રીકૃષ્ણનું વિશેષ વર્ણન છે તે રીતે જૈન સાહિત્યમાં નેમિનાથ ભગવાનનું વિશેષ સ્થાન છે. (આપણા 18 પુરાણમાંથી એક વિષ્ણુ પુરાણમાં કૃષ્ણ અને નેમિનાથ મિત્ર હોવાનો ઉલ્લેખ છે.)
  • જૈન સાહિત્ય ભકિત કે ધર્મરસ પર આધારિત સાહિત્ય જેના સાહિત્ય પ્રકારોમાં ફાગુ, બારમાસી, પ્રબંધ, સ્તવન, ચર્ચરી, ધવલઘ કક્કો મુખ્ય છે.

જૈન સાહિત્ય સ્વરૂપ / પ્રકાર :

રાસ :

  • ગુજરાતી સાહિત્યનો પ્રારંભ રાસ નામના સાહિત્ય પ્રકારથી થાય છે. રાસ એકલા યુવક અથવા એકલી યુવતી અથવા બંને વૃંદની અંદ૨ ૨ાસ અને શ્લોક સાથે રજૂ કરવામાં આવતો અને દેશની સમકાલીન સ્થિતિ જણાવતો ગેય સાહિત્યપ્રકાર (ગાય શકાય એવું) છે. રાસ ૫૨થી ગરબા કે ગરબીનું સ્વરૂપ આવ્યું હોવાનું મનાય છે.
  • મધ્યકાલીન યુગમાં જૈન સાધુઓએ “રાસ” કે “રાસા”ના નામથી ઓળખાતા આ કાવ્યપ્રકા૨નો સૌથી પહેલો પ્રયોગ કરેલો છે.
  • રાસમાં સર્વે ધર્મના સિદ્ધાંતો અને અહિંસાને પ્રથમ સ્થાન અપાયું છે. હેમચંદ્રાચાર્યએ રાસનાં લક્ષણો દર્શાવી “રાસ” ને નૃત્યનો પ્રકાર કહ્યો છે.
  • રાસનો મુખ્ય રસ ભકિત છે. તેનો મુખ્ય ભાગ ઠવણીમાં પડે છે. રાસનું મહત્વનું અંગ ધર્મોપદેશ છે. રાસને “રાસક” નામના સંસ્કૃત શબ્દ પરથી લેવામાં આવ્યો હશે.
  • વિનયચંદ્રસૂરીએ રાસના બે પ્રકાર બતાવ્યા : “તાલા રાસ” અને “લસૂકા રાસ”.
  • ગુજરાતી સાહિત્યમાં શાલિભદ્રસૂરિ રચિત ભરતેશ્વર બાહુબલિ રાસ ગુજરાતી ભાષાની પ્રથમ રાસકૃતિ ગણાય છે,જેની રચના ઈ.સ. 1185માં થઈ હતી. અબ્દુલ રહેમાન રચિત “સંદેશક રાસ” જાણીતો છે.

ફાગુ :

  • ફાગુ એ વસંત કાવ્યનો કથાત્મક પ્રકાર છે. તેનો મુખ્ય રસ શૃંગાર છે. ફાગુ એ રાસનો જ એક પ્રકાર છે.
  • ફાગુ નૃત્ય-વાદ્યયુક્ત ગીતનું સ્વરૂપ છે. આંતર પ્રાસ કે આંતર યમકવાળો દુહો એ ફાગુનું વિશિષ્ટ લક્ષણ છે. જૈન અને જૈનેત્તર બંને પ્રકારના સાહિત્યમાં ફાગુ જોવા મળે છે.
  • આચાર્ય હેમચંદ્રાચાર્યએ ફાગુનો “ફગ્ગુ” તરીકે ઉલ્લેખ કરેલો છે. તેનો અર્થ “વસંતોત્સવ” તેવો થાય છે.
  • ખરેખર ‘ફાગુ’ ને ‘ફાગ’ નામના રાગ પરથી ઊતરી આવેલો શબ્દ છે. તેના પરથી ફાગણ મહિનાનું નામ પડેલું જણાય છે. આ મહિનામાં હોળી ધુળેટીના પ્રસંગે ફાગણીયો રાગ ગાવામાં આવે છે.
  • ફાગમાં પ્રકૃતિ નિરૂપણ કે માનવભાવનું નિરૂપણ આલેખવામાં આવે છે.
  • યુવક-યુવતીઓ કે પ્રેમી-પ્રેમિકાઓ મન મૂકીને શૃંગારનું રસપાન કરે છે. આથી ફાગુનો મુખ્ય રસ શૃંગાર છે.
  • ફાગુને ભાસ / ઉલ્લાસ / ખંડમાં વિભાજિત કરવામાં આવે છે.
  • કૃષ્ણ વિષયક અને શિવ વિષયક ફાગુ રચનાનો પણ થઈ છે. જૈનોમાં બાવીસમાં તીર્થંકર નેમિનાથ વિષયક ફાગુ રચનાઓ સૌથી વધુ જોવા મળે છે.
  • ગુજરાતી ભાષાની ઉત્તમ ફાગુ રચનામાં અજ્ઞાત કવિ કૃત “વસંતવિલાસ” (1400) છે. આ ઉપરાંત જિન પદ્મસૂરી દ્વારા લખાયેલ “સ્થુલિભદ્ર ફાગુ” નો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત નેમિનાથ ફાગુ, નારાયણ ફાગુ, જંબુસ્વામી ફાગુ ગુજરાતી ભાષાની ઉત્તમ રચના છે.

બારમાસી :

  • બારમાસી જૈન સાહિત્યપ્રકાર છે. જેમાં ઋતુની મનુષ્ય પર કેવી અસર થાય છે તે દર્શાવવામાં આવે છે.
  • આ સ્વરૂપમાં વિરહિણી નાયિકાનાં વિરહનું વર્ણન કરવામાં આવે છે. આ પ્રકૃતિ કાવ્ય હોવાની સાથે સાથે વિરહ કાવ્ય તરીકે પણ ઓળખાય છે. તેનો મુખ્ય રસ “વિરહ” છે.
  • ગુજરાતી ભાષાનું પ્રથમ બારમાસી વિરહ કાવ્ય નેમિનાથ ચતુષ્પદિકા (1353) ઉત્તમ બારમાસી કાવ્ય છે. તેમના કર્તા વિનયચંદ્રસૂરી છે. જેમાં બાવીસમા તીર્થંકર નેમિનાથ અને તેમની પ્રેમિકા રાજુલના વિરહનું વર્ણન દર્શાવવામાં આવેલ છે.

પ્રબંધ :

  • તેમાં મુખ્યત્વે ઐતિહસિક, પૌરાણિક કે ચરિત્રાત્મક કથાવસ્તુને સ્થાન આપવામાં આવેલું છે. તે ગેય સાહિત્ય સ્વરૂપ છે.
  • તેનો મુખ્ય રસ “વીર” છે.
  • જૂની ગુજરાતીમાં ઐતિહાસિક કાવ્યો “રાસ” તરીકે અને કલ્પિત કથાઓ “પ્રબંધ” તરીકે ઓળખાય છે. આ પ્રકારની ઐતિહાસિક રચનાઓનો ઉદ્દેશ્ય જૈન ધર્મની મહત્તા બતાવવાનો તેમજ લોકોને નિર્દોષ આનંદ પૂરો પાવાનો રહેતો.
  • પદ્મનાભ દ્વારા રચિત “કાન્હડદે પ્રબંધ” (1456) પ્રથમ ગુજરાતી પ્રબંધ રચના છે. જેમાં ગુજરાતના છેલ્લા રાજપૂત શાસક કરણ વાઘેલાનું વર્ણન છે.

સ્તવન :

  • મુખ્ય રસ ભકિતરસ છે.
  • જૈન સર્જકો દ્વારા 24 તીર્થકરોની સ્તુતિ કરતો સાહિત્યપ્રકાર એટલે સ્તવન

ભવાઈ :

  • ભૂંગળના સ્વરોની મદદથી ભવાઈના પાત્રો હાથમાં સળગતા કાકડા રાખીને ચોકમાં પ્રવેશ કરતા. ભવાઈના આ પાત્રોના ચોકમાં થતા આગમનને “આવણું” કહેવાય છે.
  • ભવાઈનો અર્થ થાય છે. “જિંદગીની કથા”. ભવાઈ એ પાત્રો દ્વારા ભજવી શકાતો સાહિત્ય પ્રકાર છે. ભવાઈના મોવડીને નાયક તરીકે ઓળખવામાં આવે છે.
  • જેમાં કોઈપણ પ્રચલિત પ્રસંગને ધ્યાનમાં રાખીને શ્રોતાગણ સમક્ષ વાદ્યો સાથે રજૂ કરી શકાય છે.
  • ભવાઈની રચના મૂળ ઊંઝાનાં વતની હેમાળા પટેલના આશ્રિત “તરગાળા બ્રાહ્મણ” અસાઈત ઠાકરે કરેલ છે જેમણે 360 જેટલા ભવાઇના વેશ આપેલા છે. જેમાં “રામદેવપીરની વેશ” સૌથી જૂનો છે.
  • આ ઉપરાંત ઝંડા ઝુલણનો વેશ, કાન-ગોપીનો વેશ, મિયાબીબીનો વેશ, કજોડાનો વેશ, જૂઠાણનો વેશ વગેરે જાણીતા વેશો છે. જેમાં ઝંડા ઝુલાણનો વેશ સાંપ્રદાયિક સૌહાર્દનો સંદેશો આપે છે.
  • ભવાઈનો વેશ શીખવનાર “વેશગોર” તરીકે ઓળખાય છે.
  • ભવાઈમાં સ્ત્રી પાત્ર જે પુરુષ દ્વારા ભજવવામાં આવે છે તેને “કાંચળિયો” કહેવામાં આવે છે.
  • ભવાઈમાં પુરુષ પાત્ર ભજવનાર ને “મૂછબંધ” કહેવામાં આવે છે.
  • ભવાઈમાં રહેલા રમૂજી પાત્રને ‘સુખાજી’ કે ‘મશકરો’ કે ‘રંગલો’ તરીકે ઓળખવામાં આવે છે.
  • ભવાઈમાં વાજિંત્રોની વાત કરીએ તો ભૂગળ, તબલા, ઝાંઝ, ઢોલક, મંજીરા અને સારંગીનો ઉપયોગ થાય છે.ભવાઈની રજૂઆત “ભૂંગળ” સાથે શરૂ થાય છે.
  • ગુજરાતી સાહિત્યમાં ભવાઈ આધારિત સૌપ્રથમ કૃતિ દલપતરામની “ભૂંગળ વિનાની ભવાઈ” છે. આ ઉપરાંત ચં.ચી. મહેતાની કૃતિ ‘હોલિકા’ માં પણ ભવાઈના બીજ જોવા મળે છે. ભવાઈ આધારિત સૌપ્રથમ ફિલ્મ ‘બહુરૂપી’ હતી. ભવાઈનું પિયર “ઉત્તર ગુજરાત” ગણાય છે.

જૈન યુગના સાહિત્યકારો :

• હેમચંદ્રાચાર્યથી શરૂ કરીને નરસિંહ મહેતાના આગમન પૂર્વના સમયને “રાસયુગ” અને “હેમયુગ” તરીકે ઓળખવામાં આવે છે.


હેમચંદ્રાચાર્ય :

નામહેમચંદ્રાચાર્ય
સાંસારિક નામચાંગદેવ
પિતાનું નામચાચીંગ
માતાનું નામપાહિણી દેવી
ઉપનામકાલિકાલસર્વજ્ઞ, સિદ્ધસારસ્વત
  • હેમચંદ્રાચાર્ય મૂળ ધંધુકાના વતની હતા પણ પાટણને પોતાની કર્મભૂમિ બનાવી.
  • હેમચંદ્રાચાર્યને પાંચ વર્ષની વયે દેવચંદ્રસૂરિએ ખંભાતમાં દીક્ષા આપી જૈન ધર્મ અંગીકાર કરાવ્યો હતો,ગુરુ દેવચંદ્રસૂરિએ દીક્ષા આપી ત્યારે. હેમચંદ્રાચાર્યનું નામ સોમચંદ્ર રાખ્યું હતું, હેમચંદ્રાચાર્યની દીક્ષા-શિક્ષાની વ્યવસ્થાની જવાબદારી ખંભાતના દંડનાયક ઉદયને સંભાળી હતી.
  • હેમચંદ્રાચાર્ય એ જૈન ધર્મના ધર્મગ્રંથોનો ઊંડો અભ્યાસ કર્યો, ‘કુમારપાળ પ્રબંધ’માં દર્શાવ્યા મુજબ નાગપુરમાં યોજવામાં આવેલા સમારંભમાં તેમના ગુરુ દેવચંદ્રસૂરીએ હેમચંદ્રાચાર્યને (21 વર્ષની ઉંમરે) ગાદી આપી. તેથી તેઓ “આચાર્ય હેમચંદ્ર” તરીકે ઓળખાયા. હેમચંદ્રાચાર્યએ પોતાની ગુરૂપ૨પ૨ા “પરિશિષ્ટપર્વ” માં વર્ણવી છે.
  • આચાર્ય હેમચંદ્રાચાર્ય સોલંકી વંશના શાસક સિદ્ધરાજ જયસિંહ તેમજ કુમારપાળના દરબારમાં રાજકવિ હતા.
  • ઈ.સ. 1136માં સિદ્ધરાજ જયસિંહ માલવમાં યશોવર્માને સામે વિજય પ્રાપ્ત કરી ભોજનો “સરસ્વતીભાંડાગાર” પાટણમાં લાવ્યા. સિદ્ધરાજ જયસિંહે ભોજના “સરસ્વતીકંઠાભરણ” જેવું વ્યાકરણ રચવાની પોતાની ભાવના સભાના પંડિતોને જણાવી અને આચાર્ય હેમચંદ્રાચાર્યને એક સર્વાંગસુંદર વ્યાકરણ, અલંકારશાસ્ત્ર, છંદશાસ્ત્ર અને શબ્દકોશ તૈયાર કરવા વિનંતી કરી.આમ, હેમચંદ્રાચાર્ય દ્વારા ‘સિદ્ધહેમ’ નામનો વ્યાકરણગ્રંથ અર્પણ કરાયો. આ ગ્રંથને પાટણ શહેરમાં સિદ્ધરાજ જયસિંહના હાથીની અંબાડી પર મૂકીને શોભાયાત્રા કાઢવામાં આવેલી. હેમચંદ્રાચાર્ય દ્વારા લખવામાં આવેલા આ ગ્રંથ પાછળથી “સિદ્ધહેમશબ્દાનુશાસન” નામે ઓળખાયો. જે અપભ્રંશ ભાષામાં સૌપ્રથમ ગુજરાતી ભાષાનો વ્યાકરણ / દોહા ગ્રંથ છે.
  • સિદ્ધરાજ જયસિંહ હેમચંદ્રાચાર્યને “કલિકાલસર્વજ્ઞ” નું બિરુદ “દ્વયાશ્રય” રચના માટે આપ્યું હતું, જેમાં સોલંકી રાજાઓના ઈતિહાસનું વર્ણન છે. આ કાવ્ય ઈતિહાસ અને ભાષાશાસ્ત્ર એમ બે વિષયના આધારે રચાયું હોવાથી દ્વયાશ્રય તરીકે ઓળખાણ પામ્યું. દ્વયાશ્રય ગ્રંથ ગુજરાત વિષયક વૈવિધ્યપૂર્ણ માહિતી ધરાવતો એક દસ્તાવેજી ગ્રંથ છે. તે કાવ્યગ્રંથ હોવા છતાં પ્રામાણિક, ઐતિહાસિક માહિતી ઘરાવતો અને સમગ્ર ભારતીય સ્તરે “રાજતરંગિણી” પછીના બીજા ક્રમે આવતો ઇતિહાસ ગ્રંથ છે.
  • આ ઉપરાંત તેમણે લખેલી ‘દેશી નામમાળા’ માં મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સાહિત્યપ્રકારોના મૂળ રહેલા છે.
  • હેમચંદ્રાચાર્ય દ્વારા સાહિત્યક્ષેત્રે કરવામાં આવેલ સર્જનમાં સિદ્ધહેમશબ્દાનુશાસન, કાવ્યાનુશાસન અને અનુશાસનત્રયી તરીકે ઓળખાય છે.
  • હેમચંદ્રાચાર્યનું સમાધિસ્થળ ભાવનગર જિલ્લાના પાલીતાણા શહેરના “શેત્રુંજય પર્વત” પર આવેલું છે. તેમના નામ ૫૨થી પાટણમાં હેમચંદ્ર જૈનગ્રંથાલય આવેલું છે, ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનું નામક૨ણ તેમના નામ પરથી કરવામાં આવેલું છે.
  • કુમારપાળ સાથે કરવામાં આવેલ સોમનાથની યાત્રા દરમિયાન રચેલ ‘મહાદેવસ્ત્રોત’માં અભિવ્યક્ત હૃદયસ્થ ભાવથી તેમના અન્ય ધર્મો પ્રત્યેના સમભાવની સ્પષ્ટ પ્રતીતિ થાય છે.

હેમચંદ્રાચાર્ય : સિદ્ધહેમશબ્દાનુશાસન

  • હેમચંદ્રાચાર્યએ અપભ્રંશ ભાષામાં આઠ અધ્યાયમાં “સિદ્ધહેમશબ્દાનુશાસન” નામનો વ્યાકરણગ્રંથ લખ્યો હતો. આ ગ્રંથના પ્રથમ સાત અધ્યાયમાં એમણે સંસ્કૃત વ્યાકરણની અને આઠમા અધ્યાયમાં અપભ્રંશ વ્યાકરણની પાંચ અંગો સૂત્ર, ગણપાઠસહિત વૃત્તિ, ધાતુપાઠ, ઉણાદિ અને લિંગાનુશાસન વગેરેની ચર્ચા કરી છે.
  • આ ગ્રંથને પાટણ શહેરમાં “શ્રીકર” નામના હાથીની અંબાડી પર રાખી શોભાયાત્રા કાઢવામાં આવી હતી.હાથીની અંબાડી ઉપર આ ગ્રંથ પધરાવી નગરયાત્રા કર્યા બાદ તેનું વિધિવત્ પૂજન કરીને પોતાના ગ્રંથભંડારમાં તેને મુકાવ્યો હતો. ગુજરાતી સાહિત્યમાં કોઈ ગ્રંથની શોભાયાત્રા કાઢવામાં આવી હોય તેવી આ પ્રથમ ઘટના હતી. તેની નકલો કરાવવા માટે તેમણે 300 લહિયાઓને નિયુક્ત કર્યા હતા અને જુદાં જુદા રાજ્યોમાં તેની નકલો મોકલાવી હતી.

હેમચંદ્રાચાર્યની મુખ્ય કૃતિઓ :

કૃતિઓસિદ્ધહેમરાબ્દાનુશાસન, દ્વયાશ્રય, ભટ્ટીકાવ્ય, છંદાનુશાસન, અભિધાનચિંતામણિ (છંદશાસ્ત્ર), ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત, કાવ્યાનુશાસન (અલંકાર શાસ્ત્ર), યોગશાસ્ત્ર, અનેકાર્થસંગ્રહ, દ્રશ્ય શબ્દકોશ, વીતરાગસ્ત્રોત, વૈદિક નીઘુંટ, પરિશિષ્ટપર્વ, ધાતુ પરાયણ, દેશીનામમાળા, નિઘંટુશેષ(વનસ્પતિકોશ), મહાદેવસ્તોત્ર, દ્વાત્રિશિકાઓ

અસાઈત ઠાકર :

નામઅસાઈત ઠાકર
જન્મ14 મી સદી
જન્મસ્થળસિદ્ધપુર (પાટણ)
કર્મભૂમિઊંઝા
  • અસાઈત ઠાકર યજુર્વેદી ઔદિત્ય સહસ્ત્ર બ્રાહ્મણ હતા. તેઓ આસપાસના ગામોમાં કથા કરીને વિદ્વાન કથાકાર રૂપે ખ્યાતિ ધરાવતા હતા.
  • તેઓ દિલ્હી સલ્તનતના બાદશાહ અલાઉદ્દીન ખીલજીના સમકાલીન અને ઊંઝાના જમીનદાર હેમાળા પટેલના આશ્રિત હતાં.
  • અસાઈત સિદ્ધપુરથી સ્થળાંતર કરીને પોતાના ત્રણ પુત્રો નારણ, માંડણ અને જયરાજ સાથે ઉંઝા શહેરમાં આવીને વસ્યા હતા. ત્રણ પુત્રોના ઘર ઉપરથી તેઓ ‘ત્રિઘરા’ કહેવાયા એનો અપભ્રંશ થતા તેઓ ‘ત્રગાળા’ કે ‘તરગાળા’ રૂપે ઓળખાયા. હેમાળા પટેલે ત્રણેય પુત્રોને ઉંઝામાં પોતાના ખર્ચે મકાન બાંધી આપ્યો હતો.
  • હેમાળા પટેલના કહેવાથી અસાઈત ઠાકરે ભવાઈ નામના સાહિત્ય પ્રકારની શરૂઆત કરી.
  • અસાઈત અને તેના ત્રણ પુત્રોએ અસ્પૃશ્યતા, અંધશ્રદ્ધા, જાતિવાદ જેવા દૂષણોને આધારે 360 જેટલા ભવાઈના વેશો લખ્યા અને ગામડે ગામડે આ વિષય ઉપર જાગૃતિ લાવવા માટે ભવાઈ વેશરૂપે ભજવ્યા.
  • ભવાઈ એ પાત્રોના માધ્યમથી ઐતિહાસિક પૌરાણિક રીતે જાણીતી કથાવસ્તુનો આધાર લઈને શ્રોતાગણ સમક્ષ રજૂ કરવામાં આવતો સાહિત્ય પ્રકાર છે.
  • અસાઈત ઠાકરે 360 જેટલા વેશ આપેલાં છે, જેમાં રામદેવપીરનો વેશ સૌથી જૂનો છે. આ ઉપરાંત, તેમણે “હંસાઉલી” નામની પદ્યવાર્તા લખેલ છે.
  • આ ઉપરાંત ઝંડા ઝૂલણનો વેશ, કાન-ગોપીનો વેશ, મિયાંબીબીનો વેશ, કજોડાનો વેશ, જૂઠણનો વેશ, રંગલા રંગલીનો વેશ, જસમા ઓડણ, બાવાનો વેશ, મિયાંબીબીનો વેશ, રાજા દેણ વગેરે જાણીતા વેશો છે. જેમાં ઝંડા ઝૂલણનો વેશ સાંપ્રદાયિક સૌહાર્દનો સંદેશો આપે છે.

જૈન સાહિત્યમાં યોગદાન આપનાર અન્ય સર્જકો :

સર્જકસાહિત્યસર્જન / કૃતિઓ / રચનાઓ
શાલીભદ્રસૂરિભરતેશ્વર બાહુબલી રાસ (1185 – ગુજરાતી ભાષાની પ્રથમ કૃતિ), બુદ્ધિરાસ, સાર શિખામણરાસ, પંચપાંડવ ચરિત્ર રાસ, હિતશિક્ષા રાસ
વિનયચંદ્રસૂરિનેમિનાથ ચતુષ્પદિકા (ગુજરાતી ભાષાનું પ્રથમ બારમાસી વિરહ કાવ્ય), વિસલ-દે-રાસા
મણીક્યચંદ્રસૂરિપૃથ્વીચંદ્રચરિત્ર (મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં ગધમાં લખવામાં આવેલ જૂજ કૃતિઓમાંની એક છે.), અતિચાર, આરાધના
વિજયભદ્રસૂરિહંસરાજ વચ્છરાજા ચઉપઉ (ગુજરાતી સાહિત્યની પ્રથમ પદ્યવાર્તા), કમલારાસ
જિનપદ્મસૂરિસ્થુલિભદ્ર ફાગુ (ગુજરાતી ભાષાનું સૌપ્રથમ ફાગુ)
જયશેખરસૂરિત્રિભુવન દીપક પ્રબંધ
અબ્દુલ રહેમાનઅપભ્રંશ શૈલીમાં મેઘદૂત જેવા ઋતુ કાવ્યોની રચના, કૃતિ : સંદેશકરાસ
શ્રીધર વ્યાસરણમલ્લ છંદ
રાજ શેખરસૂરિનેમિનાથ ફાગુ
વિજયસેન સૂરિરેવંતગિરિ રાસ
હિરાણંદ સુરીવિદ્યાવિલાસ પવાડો

જૈનેત્તર સાહિત્ય : (1414 થી 1850)

  • ઈ.સ. 1414 થી જૈન સિવાયના સાહિત્યકારો દ્વારા લખાયેલું સાહિત્ય એટલે જૈનેત્તર સાહિત્ય.
  • નરસિંહ મહેતાથી જૈનેતર સાહિત્યનો પ્રારંભ થાય છે. આમ તેમને સાહિત્યિક દ્રષ્ટિએ ગુજરાતી ભાષાના પ્રથમ સાહિત્યકાર ગણવામાં આવે છે તેઓને “આદિકવિ” અથવા “આદ્યકવિ” તરીકે પણ ઓળખવામાં આવે છે.
  • નરસિંહ મહેતાથી દયારામ સુધીના સમયગાળામાં મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો સાચો વિકાસ થયેલો જોવા મળે છે. મધ્યકાલીન ગુજરાત સાહિત્યના અંતિમ કવિ દયારામ છે. આ સમયના સાહિત્યકારો દ્વારા રામાયણ, મહાભારત, પુરાણ, ઐતિહાસિક કે પૌરાણિક કથાવસ્તુનો આધાર લઈ ભકિત અને ઘર્મ કેન્દ્રમાં રાખી સાહિત્યનું સર્જન કરવામાં આવેલું છે. આથી આ યુગને ભક્તિયુગ તરીકે પણ ઓળખવામાં આવે છે.

જૈનેત્તર સાહિત્ય સ્વરૂપ / પ્રકાર :

પદ :

  • પદ એ સમગ્ર મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો સૌથી નાનો સાહિત્ય પ્રકાર છે. પદનું ઉત્પતિ સ્થાન ઊર્મિ છે એટલે કે પદ એ મધ્યકાળનો ઊર્મિપ્રધાન સાહિત્ય પ્રકાર છે.
  • પદની રચના નરસિંહ મહેતાએ કરી. આથી તેમને પદના પિતા / સર્જક ગણવામાં આવે છે.
  • પદનું સૌથી અગત્યનું અંગ ધ્રુવ પદ છે. જે ગાયકીનું પદ ધ્રુવ તારા જેવું અચળ અને તેજસ્વી છે તેને ધ્રુવ પદ કહે છે. તેની ગાયકીમાં વીર, કરુણ અને શાંત રસ જોવા મળે છે. મુસ્લિમ યુગ ધ્રુવ પદ ગાયનનો સુવર્ણ યુગ ગણાય છે.
  • પદમાં પ્રાસાનુપ્રાસ અને વર્ણમાધુર્ય પ્રત્યે ખૂબ જ લક્ષ્ય અપાયું હોય છે. પદમાં પ્રેમલક્ષણા અને જ્ઞાનને પ્રાધાન્ય આપવામાં આવે છે. દર્શન અને પૂજા વખતે પદો ગાવાના રિવાજથી વિવિધ પદો રચાયા છે.
  • નરસિંહ મહેના ઉપરાંત મીરાંબાઈ, દયારામ, પ્રીતમ અને ધીરા ભગતે પણ પદની રચના કરી છે.
  • ૫દનો ગુજરાતી ભાષામાં અર્થ “ડગલું” કે “પગલું” થાય છે.
  • પદના બે પેટા પ્રકારો છે. પ્રભાતિયા અને ભજન
  • પ્રભાતિયા એ સવારના સમયે ગવાતો સાહિત્ય પ્રકાર છે. નરસિંહ મહેતા પ્રભાતિયાના પિતા ગણાય છે. તેમનું જાણીતું પ્રભાતિયું ‘જાગને જાદવા, કૃષ્ણ ગોવાળિયા’ છે.
  • ભજન એ મનુષ્યને જીવન જીવવાનો સાચો માર્ગ બતાવતો ભક્તિપ્રધાન સાહિત્ય પ્રકાર છે.

છપ્પા :

  • છપ્પા એ છ પંક્તિનો નાનકડો પદ પ્રધાન સાહિત્ય પ્રકાર છે.
  • છપ્પાની રચના અખા ભગતે કરી છે,જે મોટે ભાગે ચોપાઈ છંદમાં લખવામાં આવ્યા છે. ( અખાને 746 જેટલા છપ્પા આપ્યા છે. ) જેમનો મુખ્ય વિચાર કટાક્ષમય શૈલીમાં બોધપ્રધાન / બોધાત્મક રચના રજૂ કરીને માનવને વાસ્તવિક જગતનો ખ્યાલ કરાવવાનો છે.
  • પદ્યવાર્તા ના પિતા શામળ ભટ્ટે પણ ગુજરાતી ભાષામાં છપ્પાની રચના કરી છે.

ચાબખા :

  • ચાબખા કટાક્ષમય શૈલીમાં લખાયેલો સાહિત્ય પ્રકાર છે, જેનો અર્થ અસરકારક માર્મિક વચન થાય છે. “ચાબખા” નો શાબ્દિક અર્થ “ચાબુક” થાય છે.
  • તેની રચના મૂળ સૌરાષ્ટ્રના દેવકીગાલોળના લેઉઆ પાટીદાર સમાજમાં જન્મેલ ભોજલરામે (ભોજા ભગતે) કરેલ છે. આથી તેમને ચાબખાના પિતા ગણવામાં આવે છે.
  • ભોજલરામ વીરપુરના પ્રખ્યાત સંત શ્રી જલારામબાપાના ગુરુ હતા. ચાબખા સાહિત્ય મૂળ મહારાષ્ટ્રનો સાહિત્ય પ્રકાર છે જે “ફટકા” માંથી લેવામાં આવેલો છે.

કાફી :

  • કાફી એ ધર્મપ્રધાન / ભક્તિપ્રધાન સાહિત્ય પ્રકાર છે. તેના રચિયતા ધીરા ભગત છે. તેઓને ‘કાફીના પિતા’ ગણવામાં આવે છે.
  • કાફી એક પ્રકારનો રાગ છે. બપોર પછીના સમયમાં અને ખાસ કરીને વસંતઋતુના સમયમાં ગવાય છે.
  • કાફી 14 લીટીનું કાવ્ય છે પણ સોનેટ નથી.
  • જો કે સોનેટ એ વિદેશી સાહિત્ય પ્રકાર છે. જ્યારે કાફી એ સ્વદેશી સાહિત્ય પ્રકાર છે.

રાજિયા / છાજિયા / મરશિયા :

  • રાજિયા મૃત્યુ પ્રસંગે ગવાતો “શોકપ્રધાન” સાહિત્ય પ્રકાર છે.
  • જેનો મુખ્ય ઉદ્દેશ સદ્ગત આત્માને શાંતિ અર્પણ કરવાનો છે.
  • રાજિયાને સ્થાનિક સ્તરે છાજિયા કે મરશિયા તરીકે પણ ઓળખવામાં આવે છે.
  • રાજિયાના પિતા મૂળ મહારાષ્ટ્રીયન કબીરપંથી કવિ બાપુસાહેબ ગાયકવાડને ગણવામાં આવે છે.

આખ્યાન :

  • આખ્યાન એ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો સૌથી પ્રચલિત સાહિત્ય પ્રકાર છે.
  • આખ્યાનમાં પ્રચલિત ઐતિહાસિક કે પૌરાણિક કથાવસ્તુનો આધાર લઈને કોઈ પ્રસંગને રજૂ કરવામાં આવે છે. “આ + ખ્યાન” જેનો શાબ્દિક અર્થ “માંડીને કહેવું” થાય છે.
  • આખ્યાનની શરૂઆત બે-ચાર લીટીવાળા મંગલાચરણથી થાય છે. જેમાં મોટે ભાગે ગણેશ, સરસ્વતી, ગુરુ, માતાપિતા કે અન્ય દેવદેવતાઓની વંદના કરવામાં આવે છે.
  • હેમચંદ્રાચાર્યએ ‘કાવ્યાનુશાસન’ નામના ગ્રંથમાં આખ્યાનની વ્યાખ્યા આપતાં જણાવ્યું છે કે ‘શ્રોતાઓ સમક્ષ ગાઈ બજાવી, અભિનય સહિત ૨જૂ થતી કથા તે આખ્યાન. આખ્યાનનું મૂળ લક્ષણ અભિનય, ગાન અને કથન છે.
  • રાસમાં માનવ / વ્યક્તિ ચરિત્રને દેવ જેવા માનવમાં, નિરૂપવામાં આવે છે. જ્યારે આખ્યાનમાં દેવચરિત્રને માનવ જેવા નિરૂપવામાં આવે છે.
  • આખ્યાનના બાહ્ય ભાગને ત્રણ ભાગમાં વહેંચી શકાય :
    1. મંગળાચરણ
    2. મુખકથા
    3. ફલશ્રુતિ
  • આખ્યાનના આંતરિક ભાગને ત્રણ ભાગમાં વહેંચી શકાય :
    1. મુખબંધ મોઢિયું
    2. મુખ્ય ઢાળ
    3. વલણ કે ઊથલો
  • આખ્યાનને ‘કડવા’ માં વિભાજિત કરવામાં આવે છે. કડવાને વિભાજિત કરવાનું બહુમાન ભાલણને જાય છે. જ્યારે કડવાને ત્રણ ભાગમાં વિભાજિત કરવાનો યશ પ્રેમાનંદને જાય છે, પરંતુ કડવાના પિતા ભાલણને ગણવામાં આવે છે. ત્રણ આંતરિક ભાગો કડવામાં જોવા મળે છે.
  • મુખબંધ / મોઢિયું : રાગનો વિષય પ્રવેશ કરાવતી એક કે બે-ચાર પંક્તિઓ
  • ઢાળ : મુખબંધ પછી એ જ રાગનો ઢાળ. ઢાળમાં પ્રસંગ કે ઘટનાનું વિસ્તારથી વર્ણન કરવામાં આવે છે.
  • વલણ / ઊથલો : કડવાને અંતે આવે છે. રાગની દ્રષ્ટિએ અલગ હોય છે. પંક્તિમાં વિસ્તરેલું હોય છે. પ્રથમ પંકિતમાં કડવામાં કયો પ્રસંગ નિરૂપાયો તેનો સંક્ષેપ આવતો હોય છે દ્વિતીય પંક્તિમાં હવે પછીના કડવામાં શું આવશે તેનો ઉલ્લેખ હોય છે.
  • આખ્યાન કહેનારને “માણભટ્ટ” કહેવાય છે. જે મટકીના તાલ સાથે શ્રોતાગણને આખ્યાનની કથા સંભળાવે છે.
  • આખ્યાનના બીજ નરસિંહ મહેતા પાસેથી મળે છે. આખ્યાનના પિતા ભાલણને ગણવામાં આવે છે. મધ્યકાલીન સાહિત્યમાં આખ્યાન શિરોમણી તરીકે પ્રેમાનંદ જાણીતા છે.
  • પ્રેમાનંદે વ્યવસાય તરીકે આખ્યાનને અપનાવેલું છે. તેઓ માણભટ્ટ તરીકે પ્રચલિત હતા. (આધુનિક માણભટ્ટ તરીકે મૂળ વડોદરાના વતની ધાર્મિક્લાલ પંડયા જાણીતા છે.)

દુહા :

  • દુહાને “દસમો વેદ” કહે છે.
  • ‘દુહો’ લોકસાહિત્યનો વિશિષ્ટ પદ્ય પ્રકાર છે. તે ખૂબ જ લોકપ્રિય લઘુકાવ્ય પ્રકાર છે.
  • દુહાના મુખ્ય લક્ષણોમાં ચોટ, લાઘવનો સમાવેશ થાય છે.
  • દુહો માત્ર બે કે ચાર પંક્તિઓમાં સ૨ળ અને સચોટ કથન દ્વારા થોડામાં ઘણું કહી દેવાની ક્ષમતા ધરાવે છે.
  • દુહાના ચાર ચરણ હોય છે. દુહાને પ્રેમ અને શૌર્યના વિષય વધુ અનુકૂળ છે.
  • દુહો માત્રામેળ છંદમાં રચાય છે. ચારણી સાહિત્યમાં પણ દુહા લખાય છે. જેમ કે…

વા ફરે વાદળ ફરે, ફરે નદીનાં પુર,
શૂરા બોલ્યા ના ફરે, ભલે પછીમ્મ ઊગે સૂર.

અમે અમથા નથી ખોડાણા, ખાંડા તણા ખેલ ખેલાણા,
ધર્મ ધીગાણે માથા મુકાણા, એટલે અમે સિંદુરે રંગાણા


પદ્યવાર્તા :

  • પદ્યવાર્તા એટલે પ્રચલિત કથાવસ્તુનો આધાર લઈ લખાયેલી કાલ્પનિક કથાઓ.
  • પદ્યવાર્તા શૃંગાર, વીર, અદ્ભુત જેવા રસો વિશેષ જોવા મળે છે.
  • વિષયવસ્તુ અને બંધારણની દ્રષ્ટિએ ઘણી જ લાંબી રચનાઓ હોય છે. વચ્ચે ઘણીવાર આડકથાઓ કે દૃષ્ટાંતકથાઓ હોય છે.
  • જૈન સાહિત્ય સર્જક વિજયભદ્રસૂરિએ ‘હંસરાજ વચ્છરાજ ચૌપાઈ’ નામે ગુજરાતી ભાષાની પ્રથમ પદ્યવાર્તા આપેલી છે.
  • શામળ ભટ્ટ પદ્યવાર્તાના પિતા ગણાય છે. શામળ ભટ્ટે છપ્પામાં પદ્યવાર્તા લખેલી છે.

ગરબો :

  • ગરબો સંસ્કૃત ભાષાના “ગર્ભદીપ” પરથી ઊતરી આવેલો છે. તે સમૂહ નૃત્યનો એક પ્રકાર છે.
  • માટીના બનાવેલા ગરબાના ગર્ભમાં દીપક પ્રગટાવીને તેની પૂજા-અર્ચના કરવામાં આવે છે. ગરબો એ શક્તિની ઉપાસના કરતો સાહિત્ય પ્રકાર છે. માટીની બનાવેલ કાણાવાળી મટકીના ગર્ભમાં દીપક પ્રગટાવવામાં આવે તેને ગરબો કહેવામાં આવે છે.
  • ગરબાની મધ્યમાં છિદ્રો પાડવાની પરંપરાને “ગરબો કોરાવવો” કહે છે.
  • ગોળ ફરીને ગવાતા આ સાહિત્ય પ્રકારમાં તાલ માટે તાળી અને પગનો ટેકો અપાય છે.
  • ગરબો એ માત્ર સ્ત્રીપ્રધાન સાહિત્ય પ્રકાર છે. શક્તિ ભક્તિની સાથે સાથે સમાજની સ્ત્રીઓની સ્થિતિનું વર્ણન કરવામાં આવતું હોય છે.
  • ગરબાના સર્જક અમદાવાદમાં જન્મેલ વલ્લભ મેવાડા (ભટ્ટ) અને તેમના ભાઈ ધોળા મેવાડા (ભટ્ટ)ને ગણવામાં આવે છે. તેમણે પોતાની કર્મભૂમિ શકિતપીઠ બહુચરાજીને બનાવેલી. માતા બહુચરાજીએ તેમને સ્વપ્નમાં આવી ગરબો સાહિત્ય પ્રકાર લખવાની પ્રેરણા પૂરી પાડી. તેમણે આપેલા પ્રાચીન ગરબા આજે પણ માનભેર ગવાય છે.

રંગતારી રંગતારી રંગતારી રે રંગમાં રંગતારી,
માં ગબ્બરના ગોખવાળી રે રંગોમાં રંગતારી.

માં પાવા તે ગઢથી ઉતર્યા, માં કાલી હૈ,
વસાવ્યું ચાંપાનેર, પાવાગઢ વાળી રે.

  • આજે ગુજરાતી સમાજમાં આસો માસમાં ઊજવાતા વિશ્વના સૌથી લાંબા તહેવાર નવરાત્રિના ઉદ્ભવમાં વલ્લભ ધોળાનો ફાળો ગણી શકાય.
  • “ગરબો” અને “ગરબી” શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કરનાર ભાણદાસ હતા.
  • આપણા લૌકસાહિત્યમાં પાવાગઢ નગરના પતનનો ઉલ્લેખ કરતો “પતાઈ રાવળ”નો ગરબો છે, જેમાં નીતિ ભ્રષ્ટતાને કારણે પાવાગઢનું પતન થયા હોવાનો ઉલ્લેખ છે.

ગરબી :

  • એકત્રિત રસની ભાવપ્રધાન એવી દેશી સંગીતની રચના એટલે ગરબી.
  • લોકગીતની ભાતીગળ પ્રકાર એવી ગરબી મઘ્યકાળનું ઊર્મિકાવ્ય છે.
  • થોડામાં થોડા શબ્દોથી જે ચાર્ટ ભાવના જગાડે, જેનો રણકાર કાનમાંથી ખસે નહિ, જેમાં શબ્દની વધઘટ કરી શકાય નહિ એવી મીઠી પદાવલી તે ગરબી.
  • ગરબી એ માત્ર પુરૂષપ્રધાન પદ્ય કે વૃંદમાં ગવાતો સાહિત્ય પ્રકાર છે.
  • ગરબો ફક્ત સ્ત્રીપ્રધાન સાહિત્યપ્રકાર જ્યારે ગરબી પુરુષપ્રધાન સાહિત્યપ્રકાર છે.
  • નરસિંહથી દયારામ સુધી ગરબી કરી શકાય એવા પદો મળે છે.
  • ગરબી એ ભકિતપ્રધાન પદ સાહિત્ય પ્રકાર છે. જેમાં ઊર્મિ પ્રધાન હોય છે. ગરબીના પિતા મધ્યકાલિન સાહિત્યકાર દયારામને ગણવામાં આવે છે. તેમણે કૃષ્ણભક્તિ પર વિશેષ ચરબીનું સર્જન કરેલ છે. આ ઉપર શક્તિ ભક્તિ પર આધારિત ગરબીઓ પણ જોવા મળે છે.

વ્રજ વહાલું રે, વૈકુંઠ નહિ આવું, ત્યાં જ નંદકુવર ક્યાંથી લાવું ?


નોંધઃ ‘કડવા’ માંથી ‘ગરબો’ અને ‘પદ’ માંથી ‘ગરબી’ નો કાળક્રમે જન્મ થયો છે.


ગુજરાતી ભાષા – વ્યાકરણનું પ્રથમ પુસ્તક

  • મુંબઈના ‘બોમ્બે કુરિયર’ નામના અંગ્રેજી વર્તમાનપત્રના છાપખાનામાં વર્ષ 1797માં પહેલીવાર ગુજરાતી મજકૂર છપાયા બાદ તે જ છાપખાનામાં વર્ષ 1808માં પહેલવહેલું ગુજરાતી પુસ્તક બહાર પડ્યું. જેનું લાંબુ લચક નામ “ઈલસ્ટ્રેશન્સ ઓફ ધ ગ્રામેટિકલ પાર્ટ્સ ઓફ ગુજરાતી મરાઠી એન્ડ ઇંગ્લિશ લેંગ્વેજિસ” હતું. આમ, આ નામ જ સૂચવે છે તેમ આ પુસ્તક ત્રિભાષી હતું.
  • આ પુસ્તકના નામમાં ગુજરાતી ભાષાનું નામ મરાઠી ક૨તાં પહેલું મૂકાયું છે. આ પુસ્તકના લેખક ડો. રોબર્ટ ડ્રમન્ડ છે. જુલાઈ 1888માં લખાયેલી અર્પણ પત્રિકામાં પત્ર પુસ્તકને Parting pledge of veneration તરીકે ઓળખાવાયું છે. ભલે સંપૂર્ણ કહી શકાય તેવો ન હોય તોય ગુજરાતી ભાષાનો આ પહેલો સાર્થ શબ્દકોશ છે અને આ પહેલી ગુજરાતી-અંગ્રેજી ડિકશનરી છે. આખી ગ્લોસરીમાં સૌથી પહેલાં ગુજરાતી લિપિમાં ગુજરાતી શબ્દ છાપ્યો છે.

આ પોસ્ટમાં કોઈપણ જગ્યાએ ટાઇપીંગની ભૂલ જણાય તો કોમેન્ટ કરી અને અવશ્ય જણાવજો જેથી આપણે એને સુધારી શકીએ.

– Education Vala

error: Content is protected !!