Gujaratna Mahelo / palace – Gujaratno sanskrutik varso – ગુજરાતનાં મહેલો / પેલેસ
ગુજરાતનાં મહેલો / પેલેસ

ખાપરા-ઝવેરીનો મહેલ (પંચમહાલ)
• પાવાગઢ ખાતે માંચીની જૂની પગદંડી તરફ આગળ વધતાં વિશ્વામિત્રી નદીની ઊંડી ખીણના કિનારા પર બંધાયેલ પ્રાચીન મહેલ “ખાપરા કોડિયાનો મહેલ” તરીકે ઓળખાય છે.
• પ્રાચીનકાળમાં સાત માળ ધરાવતા “અદ્ધર ઝરુખા મહેલ” તરીકે ખ્યાતિ પામેલ આ મહેલ પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર છે.
• જોકે હાલમાં આ સાત માળ પૈકીનો ભોયતળિયાની એક ખંડ જ અવશેષરૂપે જોઈ શકાય છે.
• અહીં પહોંચવા સીધા અને કપરા ચઢાણવાળા પગથિયાનો ઉપયોગ કરવામાં આવે છે.
પ્રાગ મહેલ (ભુજ)
• પ્રાગ મહેલ કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજમાં આવેલો છે.
• આ મહેલનું નિર્માણ ઈ.સ. 1838માં રાવ પ્રાગમલજીએ શરૂ કરાવ્યું હતું, પરંતુ ખેંગારજી ત્રીજાના સમયમાં પૂર્ણ થયું હતું.
• મહેલના મુખ્ય સ્થપતિ કર્નલ હેનરી સેન્ટ વિલ્કિન્સ હતા.
• ઈટાલિયન ગોથિક શૈલીમાં બનાવેલા આ મહેલમાં યુરોપિયન વનસ્પતિ, પ્રાણીઓની આકૃતિ ધરાવતું કોતરણીકામ, કોરીન્થિયન પ્રકારના થાંભલા આવેલા છે.
• આ મહેલના 45 ફૂટ ઊંચા ટાવર પરથી આખું ભુજ શહેર જોઈ શકાતું હતું.
આયના મહેલ (ભુજ)
• કચ્છ જિલ્લાના ભુજ શહેરમાં આવેલ આ કિલ્લાનું નિર્માણ મહારાજા રાવ લખપતસિંહજીએ કરાવ્યું હતું.
• આ મહેલના મુખ્ય સ્થપતિ રામસિંહ માલમ હતા.
• આ મહેલમાં દીવાલો સહિત ફ્લોર ( ફર્શ ) પર કાચનો મહત્તમ ઉપયોગ કરાયો હોવાથી તે “આયના મહેલ” તરીકે ઓળખાય છે.
• ઈ.સ. 1977માં આ મહેલ મદનજી સંગ્રહાલયમાં રૂપાંતરિત કરાયો હતો.
વિજય વિલાસ પેલેસ (માંડવી)
• આ પેલેસ કચ્છ જિલ્લામાં માંડવી શહેર પાસે રુક્મિણી નદીના કિનારે આવેલો છે.
• તેનું નિર્માણ ઈ.સ. 1920માં કચ્છના તત્કાલીન મહારાજા વિજયસિંહજીએ કરાવ્યું હતું.
• આ મહેલનું બાંધકામ જયપુરના કારીગરો દ્વારા કરવામાં આવ્યું છે. તેથી તેમાં રાજપૂત સ્થાપત્યકળાનો પ્રભાવ જોવા મળે છે.
• હાલમાં આ મહેલને હેરિટેજ હોટેલમાં રૂપાંતરિત કરાયો છે.
• આ મહેલ ફિલ્મકારો માટે પસંદગીનું સ્થળ રહ્યું છે. ભૂતકાળમાં અહીં ફિલ્મ “લગાન” અને સંજય લીલા ભણસાલીની ફિલ્મ “હમ દિલ દે ચૂકે સનમ”નું શૂટિંગ થયું હતું.
બાલારામ પેલેસ
• ઉત્તર ગુજરાતના બનસકાંઠા જિલ્લાના ચિત્રાસણી ગામમાં બાલારામ નદીને કાંઠે આ પેલેસ આવેલો છે.
• આ મહેલનું બાંધકામ પાલનપુરના 29મા નવાબ તાલે મહમદ ખાને ઈ.સ. 1922-36 દરમિયાન કરાવ્યું હતું.
• મહેલનું સ્થાપત્ય નિયો-ક્લાસિકલ અને બેરોક શૈલીનાં સ્થાપત્યથી પ્રેરિત છે.
• અહીં અમિતાભ બચ્ચનની “સૂર્યવંશમ્”, અર્જુન રામપાલની “દિલ તુમ્હારા હે” વગેરે જેવી બોલિવૂડ ફિલ્મોનું શૂટિંગ થયેલ છે.
• હાલમાં આ હેરિટેજ પેલેસ રિસોર્ટ તરીકે જાણીતો છે.
પ્રતાપ વિલાસ પેલેસ (વડોદરા)
• ઈ.સ. 1914માં આ પેલેસની સ્થાપના કરાઈ હતી.
• ઈ.સ. 1952માં દહેરાદૂન ખાતેની રેલવે સ્ટાફ કોલેજને આ પેલેસ ખાતે ખસેડવામાં આવી હતી.
• આ પેલેસ “લાલબાગ પેલેસ” તરીકે પણ ઓળખાય છે.
પ્રતાપ વિલાસ પેલેસ (જામનગર)
• ઈ.સ. 1914માં આ મહેલનું નિર્માણ મહારાજા જામ રણજિતસિંહે કરાવ્યું હતું.
• મહેલના સ્થાપત્યમાં યુરોપીય શૈલી અને કોતરણીકામ ભારતીય શૈલીમાં થયેલું છે.
• 720 એકરમાં ફેલાયેલ આ મહેલની દીવાલો પર વનસ્પતિ, પશુ-પક્ષીની આકૃતિઓ કોતરવામાં આવી છે.
• હાલમાં અહીં પીટર સ્કોટ નેચર પાર્ક આવેલો છે.
• જામનગરમાં આવેલા લાખોટા મહેલ અને વિભા વિલાસ પેલેસનું નિર્માણ પણ મહારાજા જામ રણજિતસિંહે કરાવ્યું હતું.
નજરબાગ પેલેસ (વડોદરા)
• આ મહેલ 19મી સદીમાં મહારાજા મલ્હારરાવ ગાયકવાડે બંધાવ્યો હતો.
• હાલમાં અહીં રાજવી પરિવારના વારસદારો રહે છે.
લક્ષ્મી વિલાસ પેલેસ (વડોદરા)
• વડોદરા શહેરમાં આવેલ આ પેલેસનું નિર્માણ ઈ.સ. 1890માં મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ કરાવ્યું હતું.
• આ મહેલનું બાંધકામ ઇન્ડો ગોથિક શૈલીમાં થયું છે તથા મુખ્ય સ્થપતિ ચાર્લ્સ મંટ હતા.
• 700 એકરમાં ફેલાયેલ આ મહેલમાં મોતીલાલ મહેલ, ફતેહસિંહ સંગ્રહાલય વગેરે જેવી ઈમારતો આવેલી છે.
• આ મહેલમાં ભારતના પ્રસિદ્ધ ચિત્રકાર રવિ વર્માનાં ચિત્રો સંગૃહિત કરાયેલ છે.
મકરપુરા પેલેસ (વડોદરા)
• આ મહેલ વડોદરાના મહારાજા ખંડેરાવ ગાયકવાડે ઈ.સ. 1870માં બંધાવ્યો હતો.
• મહેલના બાંધકામમાં ઈટાલિયન શૈલીનો પ્રભાવ જોવા મળે છે.
• તેનો જિર્ણોદ્ધાર મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ કરાવ્યો હતો.
• હાલમાં આ મહેલમાં ભારતીય વાયુસેનાના તાલીમ વર્ગો ચાલે છે.
નવલખા પેલેસ (રાજકોટ)
• આ મહેલ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં આવેલો છે.
• 17મી સદીમાં સ્થપાયેલા આ મહેલના પ્રવેશદ્વારે એક ઘડિયાળ ટાવર આવેલું છે.
• આ મહેલ નદીકિનારે આવેલો છે.
• ગોંડલને સૌરાષ્ટ્રનું આધુનિક શહેર બનાવવામાં મહારાજ ભગવતસિંહજીનું મહત્ત્વનું યોગદાન છે.
રણજિત વિલાસ પેલેસ (મોરબી)
• આ મહેલ મોરબી જિલ્લાના વાંકાનેર શહેરમાં આવેલો છે.
• તેનું નિર્માણ ઈ.સ. 1900-1907 દરમિયાન અમરસિંહજીના સમયમાં થયું હતું.
• આ મહેલનું નામ અમરસિંહજીએ પોતાના ખાસ મિત્ર જામનગરના મહારાજા જામ રણજિતસિંહજીના નામ પરથી રાખ્યું છે.
• મહેલમાં યાદગાર તલવારો, ભાલાઓ, યુદ્ધની સાધન- સામગ્રી, ચિત્રો વગેરેનો સંગ્રહ છે. અહીં વિન્ટેજ કારો (Car) પણ રખાયેલી છે.
• મહેલમાં સુંદર મૂર્તિઓ અને કોતરણીકામ સૌ કોઈને આશ્ચર્ય પમાડે તેવા છે તથા મહેલની છત સુંદર શિલ્પોથી અલંકૃત કરાઈ છે.
• આ મહેલના સ્થાપત્યમાં ડચ, ઈટાલિયન અને યુરોપીયન શૈલીનો પ્રભાવ જોવા મળે છે.
ધ ઓરચાર્ડ પેલેસ (રાજકોટ)
• આ મહેલ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં આવેલો છે.
• આ મહેલ ગોંડલના મહારાજાનું મુખ્ય નિવાસસ્થાન હતું.
• મહેલને કોનિયન શૈલીથી બનાવવામાં આવેલો છે. જેમાં ઊંચી છતો, સુંદર સજાવટ-કોતરણી ધરાવતી બારીઓ અને એન્ટિક ચીજવસ્તુઓ આવેલી છે.
કુસુમ વિલાસ પેલેસ (છોટાઉદેપુર)
• આ મહેલ છોટાઉદેપુરના શાહી પરિવારનું નિવાસસ્થાન છે.
• તેનું નિર્માણ ઈ.સ. 1920માં કરાયું હતું. તેના મુખ્ય સ્થપતિ ભટકરબંધુ હતા.
• મહેલ યુરોપીય સ્થાપત્યકળાનું સુંદર ઉદાહરણ છે, જેમાં પથ્થરો પરની કોતરણી પર પ્રકાશ પડતાં વિવિધ છાપો બને છે.
મોતીશાહી મહેલ (અમદાવાદ)
• મુઘલ રાજા શાહજહાએ અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં મોતીશાહી મહેલ બંધાવ્યો હતો.
• ગુજરાત પ્રવાસ દરમિયાન રવીન્દ્રનાથ ટાગોર આ મહેલમાં લેખન, અધ્યયન કરતા હોવાથી તેનો એક ખંડ “ટાગોર સ્મૃતિ ખંડ” તરીકે ઓળખાય છે.
• ઈ.સ. 1975માં સરદાર પટેલની જન્મ શતાબ્દીના સ્મૃતિમાં તત્કાલીન મુખ્યમંત્રી બાબુભાઈ પટેલે આ મહેલનું નામ બદલીને “સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક” કર્યું.
• આ સ્મારકમાં સરદાર પટેલના સ્મૃતિચિહ્નો (પગરખાં, પેન, ધોતિયું, પુસ્તકો, પત્રવ્યવહાર, ટિફિન, તસવીરો વગેરે)ને પ્રદર્શિત કરવામાં આવ્યા છે.
દોલત નિવાસ પેલેસ (સાબરકાંઠા)
• આ મહેલ સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં આવેલો છે.
• તેનું નિર્માણ મહારાજા દોલતસિંહજીએ કરાવ્યું હતું.
• ઈડરની અરવલ્લી પર્વતમાળા પાસે આવેલા આ મહેલને “લાવાદુર્ગ” પણ કહેવાય છે. મહેલની દીવાલો, ગલિયારા અને બારીઓની કોતરણી તેની સુંદરતામાં વધારો કરે છે.
દિગ્વીર નિવાસ પેલેસ (નવસારી)
• નવસારી જિલ્લાના વાંસદામાં આવેલો આ મહેલ ઈ.સ. 1781માં મહારાવલ વીરસિંહે બંધાવ્યો હતો.
• મહેલના પ્રવેશદ્વાર પર શણગારેલી બે સુંદર છત્રીઓ આવેલી છે. આ મહેલના સ્થાપત્ય પર ફ્રેન્ચ, યુરોપીયન અને બ્રિટિશ શૈલીનો પ્રભાવ જોવા મળે છે.
નીલમબાગ પેલેસ (ભાવનગર)
• ઈ.સ. 1879માં આ મહેલનું નિર્માણ ભાવનગરના મહારાજા તખ્તસિંહજીએ કરાવ્યું હતું.
• મહેલના મુખ્ય સ્થપતિ (વાસ્તુકાર) જર્મન સીમ્સ હતા.
આર્ટ ડેકો પેલેસ (મોરબી)
• મોરબી જિલ્લામાં આવેલ આ મહેલ અંગ્રેજોએ બંધાવ્યો હતો.
• તેના નિર્માણમાં યુરોપીય સ્થાપત્યશૈલીનો પ્રભાવ જોવા મળે છે.
• ગ્રેનાઈટથી બનેલા આ મહેલમાં દીવાનખંડ, શયનખંડ અને સ્નાનાગરને ઉત્કૃષ્ટ કલાકૃતિઓથી શણગારવામાં આવ્યા છે.
આ પણ જાણો
• “હવા મહેલ” સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં આવેલો છે.
• “ઝૂર પેલેસ” પોરબંદર જિલ્લામાં આવેલો છે.
• “રાણકદેવીનો મહેલ” અને “રા’ખેંગારનો મહેલ” જૂનાગઢ જિલ્લામાં આવેલો છે.
• રાજપીપળા (જિ.નર્મદા)માં એક હજાર બારીવાળો મહેલ આવેલો છે.
આ પોસ્ટમાં કોઈપણ જગ્યાએ ટાઈપીંગની ભૂલ જણાય તો કોમેન્ટ કરી અને અવશ્ય જણાવજો જેથી આપણે એ ભૂલને સુધારી શકીએ.
– Education Vala