કેળવણીના સોપાન
કેળવવણીના નીચે મુજબ ચાર સોપાનો છે
- પહેલું સોપાન – ગર્ભાવસ્થા
- બીજું સોપાન – શાળા શિક્ષક, અભ્યાસક્રમ, વિષય વસ્તુ, અધ્યાપન પદ્ધતિ, શિક્ષણ વિદ્યાર્થી
- ત્રીજું સોપાન – શિક્ષક વિદ્યાર્થી વચ્ચે જ્ઞાનનું આદાન-પ્રદાન
- ચોથું સોપાન – ભાવિ અપેક્ષિત સમાજનું નિર્માણ, ભાવિ નાગરિકો અને રાષ્ટ્રનું ઘડતર
કેળવણીની પ્રક્રિયાનું સ્વરૂપ
ગુરુકુળ યુગથી શરૂ થયેલી કેળવણી આજે ડિજિટલ ભવન સુધી પહોંચી છે તો આ સમયગાળા દરમિયાન કેળવણીની પ્રક્રિયાના જે સ્વરૂપો જોવા મળ્યા છે તે નીચે મુજબ છે.
કેળવણી એકધ્રુવી પ્રક્રિયા છે.
કેળવણીની પ્રાચીન સંકલ્પના ગુરુ કેન્દ્રી શિક્ષણ પ્રણાલી હતી. જેમાં મંત્રશકિતને મહત્વ આપવામાં આવતું હતું. તેમજ કેળવણીની સમગ્ર પ્રક્રિયામાં ગુરુ સર્વેસર્વા હોવાથી તેને એકધ્રુવી પ્રક્રિયા કહેવાય છે.
કેળવણી દ્વિધ્રુવી પ્રક્રિયા છે.
સર જે. ઈ. એડમ્સે પોતાના પુસ્તક “Evolution of Education Theory”માં કેળવણીના દ્વિધ્રુવી સ્વરૂપની વાત કરી છે. તેમના મતે કેળવણીની આ પ્રક્રિયામાં શિક્ષક અને વિદ્યાર્થી બે મહત્વના ધ્રુવો વચ્ચે વિષયવસ્તુ, માહિતી, કૌશલ્ય, વિચાર, લાગણી, આદર્શો, જ્ઞાનનું આદાન પ્રદાન થાય છે. તેમજ શિક્ષકનું જ્ઞાનસભર વ્યકિતત્વ વિદ્યાર્થી પર વિશેષ પ્રભાવ પાડે છે. આમ, મહદંશે શિક્ષણ પ્રક્રિયા શિક્ષક અને વિદ્યાર્થી બંને ધ્રુવો પર આધારિત હોવાથી કેળવણીની આ પ્રક્રિયાને દ્વિધ્રુવી પ્રક્રિયા કહે છે.
કેળવણી ત્રિધ્રુવી પ્રક્રિયા છે.
જ્હોન ડયુઈએ કેળવણીની ત્રિધ્રુવી પ્રક્રિયા માટે શિક્ષક, વિદ્યાર્થી અને ત્રીજા ધ્રુવ તરીકે સમાજ કે સામાજિક પર્યાવરણને મહત્વ આપ્યું હતું. તેમના મતે અભ્યાસક્રમનું માળખું સમાજની જરૂરિયાતો, સામાજિક મૂલ્યો, આદર્શો, પરંપરા વગેરેથી ઘડાય છે. આમ, શિક્ષક, વિદ્યાર્થી અને સમાજ એમ ત્રણ ધ્રુવો કેળવણીમાં કેન્દ્રસ્થાને હોવાથી તેને ત્રિધ્રુવી પ્રક્રિયા કહેવામાં આવે છે.
કેળવણી અનેકધ્રુવી(બહુધ્રુવી) પ્રક્રિયા છે.
કેળવણીની પ્રક્રિયામાં વિદ્યાર્થી, શિક્ષક, સમાજ ઉપરાંત બીજા અનેક પરિબળો પ્રભાવી અસર કરે છે. જેમાં શાળા, અભ્યાસક્રમ, અભ્યાસ પદ્ધતિ, દ્રશ્ય-શ્રાવ્ય સાધનસામગ્રી, સામાજિક અપેક્ષા, રાજનીતિ, ધર્મ, વિજ્ઞાન અને ટેક્નોલોજી વગેરેનો સમાવેશ થાય છે, જેની અવગણના થઈ શકે તેમ નથી. આ દ્રષ્ટિએ કેળવણી અનેકધ્રુવી (બહુધ્રુવી) પ્રક્રિયા છે.
કેળવણીના હેતુઓ
હેતુઓ શિક્ષણના ધ્રુવતારકો છે. આ ધ્રુવતારકો તરફ દ્રષ્ટિ રાખી શિક્ષણની નાવને મંજિલ સુધી પહોંચાડવા શિક્ષકો અને કેળવણીકારો પ્રયાસ કરે છે. કેળવણીના મુખ્ય ત્રણ હેતુઓ છે. જે નીચે મુજબ છે.
વ્યક્તિગત હેતુ
કેળવણી દ્વારા વ્યકિતના વ્યકિતત્વનો વિકાસ એટલે વ્યક્તિગત હેતુ. પ્રાચીન સાહિત્યમાં તેમજ એરિસ્ટોટલ જેવા ગ્રીક તત્વચિંતકના લખાણમાં કેળવણીના આ હેતુને મહત્વ આપવામાં આવ્યું હતું. જે નીચે મુજબ છે.
- વ્યકિતના વ્યકિતત્વનો પ્રસન્ન અને નિર્બાધ(સતત) વિકાસ કરવો.
- વ્યકિતને પૂર્ણતાની પ્રાપ્તિની સફરમાં સહાયક બનવું.
- બાળકમાં રહેલી સુષુપ્ત શકિતઓનું આવિષ્કરણ અને સંવર્ધન કરવું.
- બાળકનો શારીરિક, માનસિક, સાંવેગિક અને આધ્યાત્મિક વિકાસ કરવો.
- વ્યકિતને પરિસ્થિતિ સાથે ઉત્તમ અનુકૂલન સાધનાર બનાવવી.
- વ્યકિતમાં આત્મસાક્ષાત્કાર અને આત્મ નિરૂપણની ભાવના કેળવવી.
- વ્યકિતના સ્વને આધ્યાત્મિક રીતે વિકસાવી આત્માનું પરમાત્મા સાથે મિલન કરાવવું.
- ઉત્તમ નાગરિકોનું ઘડતર કરવું.
- વ્યકિતમાં આદર્શો, મૂલ્યો, નૈતિકતાનું સિંચન કરવું.
- વ્યકિતની ઈચ્છાઓ અને વર્તનના વિકાસ માટેની તકો પૂરી પાડવી.
સામાજિક હેતુ
કેળવણીકારોને મતે વ્યક્તિ એ સમાજરૂપી પુષ્પની પાંખડી છે અને પુષ્પ પાંખડીથી શોભે છે. આથી વ્યકિત સમાજમાં જન્મે છે, જીવે છે અને મૃત્યુ પામે છે તે સમાજની પ્રગતિમાં સહાયક થવું એ સામાજિક હેતુનો સૂર છે, જે નીચે મુજબ છે
- વ્યકિતનો સામાજિક વિકાસ કરવો.
- કેળવણી દ્વારા માત્ર વ્યકિતત્વનો વિકાસ નહિ, પરંતુ સામાજિક શ્રેય પણ થવું જોઇએ.
- વ્યકિતના વ્યકિતત્વનો એવો વિકાસ કે જે સમાજ કે રાજ્યના શ્રેય આગળ પોતાના શ્રેયને ગૌણ ગણે છે
- કેળવણી દ્વારા વ્યકિતને સામાજિક પ્રવૃત્તિમાં સફળતાપૂર્વક ભાગ લઈ શકે તે રીતે તૈયાર કરવી
- વ્યકિતનું સામાજિક અનુકૂલન સાધી સમાજને ઉપયોગી નાગરિક બનાવવો.
- વ્યકિતમાં સામાજિક કાર્યદક્ષતાનો વિકાસ કરવો.
- દેશ જ ધર્મ, દેશ જ આત્મા, દેશ જ પરમાત્મા આવી વિચારસરણી ધરાવતા નાગરિકનું ઘડતર કરવું.
- વ્યકિત વૈયકિતક, સંકીર્ણ, સ્વાર્થી, સંકુચિત હિતોનું સમાજના કલ્યાણ અર્થે બલિદાન આપે તે મુખ્ય હેતુ છે.
- જાતિ નહિ પરંતુ રાષ્ટ્ર અગ્રેસર છે એવી ભાવના કેળવવી
વિશિષ્ટ હેતુ
- વ્યકિતમાં જ્ઞાનોપાર્જન કરવું.
- વ્યકિતનો વ્યવસાયી વિકાસ કરવો.
- વ્યકિતત્વનો સુસંવાદી વિકાસ કરવો.
- વ્યકિતમાં સંસ્કૃતિનો વિકાસ કરવો.
- વ્યક્તિમાં નૈતિકતાનો વિકાસ કરવો.
ડેલોર્સ અહેવાલ/કેળવણીના ચતુઃસ્તંભો
ઈ.સ. 1991ના નવેમ્બર માસમાં સંયુકત રાષ્ટ્રની સામાન્ય સભાએ એકવીસમી સદીના શિક્ષણના ભાવિ અંગે ચિંતન કરવા આંતરરાષ્ટ્રીય આયોગ રચવાનું સૂચવ્યું હતું. જેમાં વિશ્વની જુદી-જુદી સંસ્કૃતિઓ તથા જુદી–જુદી વ્યવસાયી પૃષ્ઠભૂમિવાળી 14 વ્યકિતઓને આયોગના સભ્ય તરીકે કાર્ય કરવા નિમંત્રણ આપવામાં આવ્યું હતું. જેના અઘ્યક્ષ જેકસ ડેલોર્સ હતા. તેમના નેતૃત્વ હેઠળ એકવીસમી સદીના શિક્ષણ અંગેનો જે અહેવાલ તૈયાર થયો તે ડેલોર્સ અહેવાલ/કેળવણીના ચતુઃસ્તંભો/Learning: The Treasure within નામે ઓળખાયો. જેનું ભારતમાંથી ડો. કરણસિંહે પ્રતિનિધિત્વ કર્યું હતું. આ અહેવાલના ચાર આધાર સ્તંભો નીચે મુજબ છે.
આધાર સ્તંભો
- જાણવા માટેનું શિક્ષણ (Learning to know)
- સર્જન માટેનું શિક્ષણ (Learning to do)
- સહજીવન માટેનું શિક્ષણ (Learning to Live together)
- અસ્તિત્વ માટેનું શિક્ષણ (Learning to Live)