Panchayati Raj ne bandharaniy darjo – Panchayati raj – Panchayati raj in gujarati
પંચાયતી રાજને બંધારણીય દરજ્જો

• આપણા દેશના બંધારણના ભાગ 4 રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં ગાંધીજીની ભલામણથી અનુચ્છેદ 40 માં રાજ્ય ગ્રામ પંચાયતોની રચના કરવા માટે પગલાં લેશે અને સ્વરાજના મૂળભૂત એકમ તરીકે તેઓ કાર્ય કરી શકે તે માટે તેમને જરૂરી સત્તા અને અધિકાર આપશે તેવી જોગવાઈ કરવામાં આવી.
• બંધારણનો ભાગ-4 બંધારણના પ્રારંભે મરજિયાત હતો અને કહેવાયું હતું કે રાજ્ય પાસે જ્યારે સગવડ થાય ત્યારે આ ભાગમાં આપેલ જોગવાઈઓનો અમલ થાય તે માટે કાયદા બનાવે.
• આપણા દેશના સૌપ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુના વડપણ દઠળ એક ગ્રામોદ્ધાર માટે સામુદાયિક વિકાસ કાર્યક્રમ (ઈ.સ. 1952-57) ચલાવવામાં આવ્યો. આ કાર્યક્રમનો અભ્યાસ કરવા માટે બળવંતરાય મહેતાની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી. આ સમિતિએ અભ્યાસના આધારે એક રિપોર્ટ સરકારને સોંપ્યો. આ સમિતિની ભલામણોનો સ્વીકાર જાન્યુઆરી, 1958માં રાષ્ટ્રીય વિકાસ પરિષદે કર્યો.
• બળવંતરાય મહેતા સમિતિની ભલામણોના અનુસંધાને વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ 2 ઑક્ટોબર, 1959 ના રોજ “લોકશાહીના વિકેન્દ્રીકરણ” શબ્દની જગ્યાએ “પંચાયતી રાજ” શબ્દ આપી રાજસ્થાન રાજ્યના નાગૌર જિલ્લાના બગદરી ગામથી ભારતની સૌપ્રથમ ત્રિ-સ્તરીય પંચાયતી રાજ સંસ્થાની વ્યવસ્થાની શરૂઆત કરી.
• ત્યારબાદ ઈ.સ. 1960માં આંધ્રપ્રદેશ રાજ્ય દ્વારા સમગ્ર રાજ્યમાં પંચાયતી રાજ લાગુ કર્યું. આમ, ભારતમાં સૌપ્રથમ સમગ્ર રાજ્યમાં પંચાયતી રાજ લાગુ કરનાર રાજ્ય આંધ્રપ્રદેશ બન્યુ.
• આમ છતાં, રાજયની વિધાનસભાઓ દ્વારા પંચાયતી રાજનો અમલ વ્યવસ્થિત રીતે કરાતો ન હતો. તેથી પંચાયતી રાજને બંધારણીય દરજજો આપવાની જરૂરિયાત ઊભી થઈ.
ઈન્દિરા ગાંધી સરકાર :
• ઈન્દિરા ગાંધી સરકાર દ્વારા બંધારણમાં 42મો બંધારણ સુધારો 1976માં કરવામાં આવ્યો. તેમાં જણાવ્યું કે હવે પછી બંધારણના ભાગ-3ને બદલે ભાગ-4ને મહત્ત્વ આપી કાનુન (કાયદા) બનાવવા પડશે.
મોરારજી દેસાઈ સરકાર :
• મોરારજી દેસાઈની સરકારમાં અશોક મહેતા સમિતિ (1977)એ ત્રિસ્તરીય પંચાયતી રાજની ભલામણ કરી તથા પંચાયતને બંધારણીય દરજ્જો મળે તેવી પણ ભલામણ કરી.
• ત્યારબાદ ફરીથી ઈન્દિરા ગાંધીની સરકારમાં ગરીબી હટાવો સૂત્ર સાથે ગ્રામીણ ભારતનો વિકાસ એવો કાર્યક્રમ આપ્યો.
રાજીવ ગાંધી સરકાર :
• રાજીવ ગાંધી સરકારે પંચાયતી રાજની સંસ્થાઓને પુર્નજીવીત કરવા માટે લક્ષ્મીમલ સિંઘવીની અધ્યક્ષતામાં એલ.એમ. સિંઘવી સમિતિ (1986)ની રચના કરી. આ સમિતિએ પોતાનો રિપોર્ટ નવેમ્બર 1986માં સરકારને આપ્યો. ત્યારબાદ પંચાયતોની ઉપયોગિતા સમજીને રાજીવ ગાંધી સરકારે સાંસદ પ્રેમાખંડુ થુંગનની અધ્યક્ષતામાં પી.કે. થુંગન સમિતિ (1988)ની રચના કરી.
64મો બંધારણીય સુધારો, 1989 :
• રાજીવ ગાંધી સરકારે એલ. એમ. સિંઘવી સમિતિની ભલામણોના આધારે પંચાયતી રાજને બંધારણીય દરજ્જો આપવા માટે 15 મે, 1989ના રોજ 64મો બંધારણીય સુધારો લોકસભામાં રજૂ કર્યો. જયાં લોકસભાએ બહુમતીથી આ ખરડો પસાર કર્યો.
• 15 ઓક્ટોબર, 1999ના રોજ આ ખરડો રાજ્યસભામાં વિચારણા હેઠળ આવ્યો. પરંતુ પસાર થઈ શક્યો નહિ. એટલે કે રાજ્યસભામાં આ ખરડાને બહુમતી મળી નહિ. તેથી આ સુધારા ખરડો અમલમાં આવી શક્યો નહિ.
73 અને 74મો બંધારણીય સુધારો 1992 :
• તત્કાલીન વડાપ્રધાન વી. પી. સિંહની સરકાર દ્વારા પંચાયતી રાજની સંસ્થાઓને સુદૃઢ કરવા માટેના મુદ્દા પર વિચાર કરવા માટે જૂન, 1990માં વી. પી. સિંહની અધ્યક્ષતામાં બધા રાજ્યોના મુખ્યમંત્રીઓનું બે દિવસનું સંમેલન યોજવામાં આવ્યું. આ સંમેલનમાં સર્વાનુમતે એક નવા બંધારણ સંશોધન ખરડો રજૂ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી.
• જેને આધારે 7 સપ્ટેમ્બર, 1990ના રોજ વી. પી. સિંહ સરકાર દ્વારા 72મો બંધારણીય સુધારો લોક્સભામાં રજૂ કર્યો. પરંતુ ખરડો પસાર થાય તે પહેલાં જ લોકસભાનું વિસર્જન થવાથી ખરડા પર કોઈ કાર્યવાહી થઈ શકી નહિ.
• ત્યારબાદ વડાપ્રધાન પી. વી. નરસિંહારાવની સરકાર દ્વારા સપ્ટેમ્બર, 1991માં લોક્સભામાં એક બંધારણ સુધારા ખરડો રજૂ કર્યો. 73મો બંધારણીય સુધારો પંચાયત માટે અને 74મો બંધારણીય સુધારો નગરપાલિકા માટે અનુક્રમે લોકસભામાં 22 ડિસેમ્બર, 1992 અને રાજ્યસભામાં 23 ડિસેમ્બર, 1992ના રોજ પસાર કર્યો.
• આ બંધારણીય સુધારાઓને બંને ગૃહોની સંપૂર્ણ બહુમતી મળ્યા બાદ 17 રાજ્યોની વિધાનસભાઓ દ્વારા સમર્થન મળતાં પંચાયતી રાજને બંધારણીય દરજ્જો પ્રાપ્ત થયો. પંચાયતી રાજ માટે 73માં બંધારણીય સુધારાને રાષ્ટ્રપતિ દ્વારા 20 એપ્રિલ, 1993ના રોજ મંજૂરી આપવામાં આવી અને તેનો અમલ 24 એપ્રિલ, 1993ના રોજ કરવામાં આવ્યો. આથી 24 એપ્રિલને “પંચાયતી રાજ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે.
• નોંધ : આ અગાઉ ઈ.સ. 1992 સુધી ભારતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ ભારત સરકાર અધિનિયમ, 1935 અંતર્ગત કાર્યરત હતી. આ સંસ્થાઓને બંધારણીય દરજ્જો પ્રાપ્ત નહોતો. વર્ષ 1992માં 73માં બંધારણીય સુધારાથી પંચાયત અને 74માં બંધારણીય સુધારાથી નગરપાલિકાને બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો.
પંચાયતી રાજને બંધારણીય સ્થાન આપવા માટેના પ્રયાસો

• આ સુધારાને રાષ્ટ્રપતિએ 20 એપ્રિલ, 1993ના રોજ મંજૂરી આપી અને 24 એપ્રિલ, 1993ના રોજ અમલવારી શરૂ થઈ. જેમાં એક જોગવાઈ કરવામાં આવી હતી કે આ બંધારણીય સુધારાનો અમલ દરેક રાજ્યમાં એક (1) વર્ષમાં થવો જોઈએ. દરેક રાજ્ય 1 વર્ષમાં પોતાની વિધાનમંડળમાં કાયદો પસાર કરીને 73મા અને 74મા સુધારાની જોગવાઈઓ લાગુ કરવી.
• 73મા સુધારાથી પંચાયતોને બંધારણના ભાગ-9માં અને 74મા સુધારાથી નગરપાલિકાને બંધારણના ભાગ-9 (A)માં સમાવેશ કરવામાં આવ્યો તથા અનુક્રમે અનુસૂચિ-11 અને અનુસૂચિ 12 ઉમેરવામાં આવી.
સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ :

• 73માં બંધારણીય સુધારા 1992 દ્વારા પંચાયતોને બંધારણના ભાગ-9 હેઠળ સ્થાન મળ્યું. જેમાં અનુચ્છેદ-243થી 243 (O) અથવા (દ) સુધી પંચાયતની જોગવાઈઓ કરવામાં આવી.જેમાં જિલ્લા સ્તરે જિલ્લા પંચાયત, તાલુકા સ્તરે તાલુકા પંચાયત અને ગ્રામ્ય સ્તરે ગ્રામ પંચાયતનો સમાવેશ કરવામાં આવ્યો.
• આ બંધારણીય સુધારા દ્વારા બંધારણમાં અનુસૂચિ-11 ઉમેરવામાં આવી અને તેમાં પંચાયતોને લગતી જોગવાઈઓ માટે 29 વિષયો ફાળવવામાં આવ્યા.
બંધારણના ભાગ-9 હેઠળની જોગવાઈઓ :
- 243 : પંચાયતી રાજની વ્યાખ્યાઓ
- 243(A) અને (ક) : ગ્રામસભા
- 243 (B) અને (ખ) : પંચાયતોની રચના
- 243 (C) અને (ગ) : પંચાયતોની સંરચના (ગઠન)
- 243 (D) અને (ઘ) : પંચાયતોમાં બેઠકોમાં અનામત
- 243 (E) અને (ચ) : પંચાયતની મુદત (કાર્યકાળ)
- 243 (F) અને (છ) : સભ્ય પદ માટેની ગેરલાયકાતો
- 243 (G) અને (જ) : પંચાયતોની સત્તા, અધિકાર અને જવાબદારી
- 243 (H) અને (ઝ) : પંચાયતોને કર નાખવાની સત્તા અને ફંડ બાબત
- 243 (I) અને (ટ) : નાણાકીય પરિસ્થિતિની પુનર્વિચારણા કરવા માટે નાણા આયોગની રચના કરવા બાબત
- 243 (J) અને (ઠ) : પંચાયતના હિસાબોનું ઓડિટ
- 243 (K) અને (ડ) : પંચાયતોની ચૂંટણી
- 243 (L) અને (ઢ) : કેન્દ્રશાસિત પ્રદેશોને લાગુ પાડવા બાબત
- 243 (M) અને (ત) : અમુક વિસ્તારોને લાગુ નહિ પાડવા બાબત
- 243 (N) અને (થ) : પ્રવર્તમાન કાયદાઓ અને પંચાયતો ચાલુ રહેવા બાબત
- 243 (O) અને (દ) : પંચાયતની ચૂંટણી ન્યાયાલયના કાર્યક્ષેત્રની બહાર
243 પંચાયતીરાજની વ્યાખ્યાઓ :
ગ્રામસભા :
• ગ્રામસભા એટલે ગ્રામસ્તરે પંચાયત વિસ્તારમાના ગામની મતદારયાદીમાં નોંધાયેલા લોકોની બનેલી સંસ્થા.
પંચાયત વિસ્તાર :
• પંચાયત વિસ્તાર એટલે પંચાયતનો પ્રાદેશિક વિસ્તાર
વસતી :
• વસતી એટલે છેલ્લી વસતી ગણતરીથી નક્કી કરવામાં આવેલી વસતી કે જેના સંબંધિત આંકડાઓ જાહેર કરવામાં આવ્યા હોય.
ગામ :
• ગામ એટલે આ ભાગના હેતુ માટે રાજ્યપાલે જાહેર અધિસૂચનાથી નિર્દિષ્ટ કરેલ ગામ અને તદ્નુસાર નિર્દિષ્ટ કરેલ ગામોનાં સમૂહનો સમાવેશ થાય છે.
243 (A) ગ્રામસભા :
• ગ્રામસભા એટલે ગ્રામસ્તરે પંચાયત વિસ્તારમાંના ગામની મતદારયાદીમાં નોંધાયેલા લોકોની બનેલી સંસ્થા.
• ગ્રામસભાનો ઉલ્લેખ ગુજરાત પંચાયત અધિનિયમની કલમ-4માં જોવા મળે છે.
• બંધારણ મુજબ ગ્રામસભાની બેઠક વર્ષમાં 2 વાર ફરજિયાત મળવી જોઈએ અને 2 (બે) ગ્રામસભાની બેઠકો વચ્ચે ત્રણ મહિનાથી વધુનો સમય હોવો જોઈએ નહિ.
• રાજ્યની વિધાનસભા દ્વારા સોંપવામાં આવતાં કાર્યો અને ફ૨જો ગ્રામ્યસ્તરે ગ્રામસભાએ કરવાનાં હોય છે.
243 (B) પંચાયતની સ્થાપના :
• આ અનુચ્છેદના હેતુઓ માટે દરેક જિલ્લામાં ત્રણ સ્તરે પંચાયતની સ્થાપના કરવામાં આવે છે, જે નીચે મુજબ છે.
(1) દરેક ગામ માટે ગ્રામ પંચાયત
(2) દરેક તાલુકા માટે તાલુકા પંચાયત
(3) દરેક જિલ્લા માટે જિલ્લા પંચાપત
• નોંધ : રાજ્યની વસતી 20 લાખથી ઓછી હોય તો દ્વિ-સ્તરીય પંચાયતી રાજ અને તે 20 લાખથી વધુ હોય તો ત્રિ-સ્તરીય પંચાયતી વ્યવસ્થા લાગુ કરવી.
243 (C) પંચાયતોની સંરચના :
• આ અનુચ્છેદની જોગવાઈ મુજબ રાજ્યની વિધાનસભાએ કાયદા દ્વારા પંચાયતોના માળખાની રચના કરી શકે છે.
• ત્રણેય સ્તરની પંચાયતના વિસ્તારની વસતી અને ચૂંટણીની બેઠકનું પ્રમાણ જો શક્ય હોય તો સમગ્ર રાજ્યમાં એક સરખું રાખવામાં આવે.
• પંચાયતની બેઠકો પંચાયતના પ્રાદેશિક મતદાર વિભાગમાંથી પ્રત્યક્ષ ચૂંટણી દ્વારા પસંદ કરવામાં આવેલા લોકોથી ભરવામાં આવશે.
• તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના અધ્યક્ષની ચૂંટણી પંચાયતના ચૂંટાયેલા સભ્યોમાંથી કરવામાં આવશે એટલે કે પરોક્ષ રીતે કરવામાં આવશે.
• ગ્રામ પંચાયતમાં સરપંચની ચૂંટણી રાજ્યની વિધાનસભા દ્વારા નક્કી કરવામાં આવે તે કાયદાથી થશે.
243 (D) પંચાયત માટે અનામત બેઠકો :
• પંચાયતમાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટે તેની વસતીના પ્રમાણમાં અનામત બેઠકોની જોગવાઈ કરવામાં આવી છે.
• પંચાયતમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની વસતી માટે એક દશાંશ (1/10) એટલે કે 10 ટકા બેઠકો અનામત રાખવાની જોગવાઈ કરવામાં આવી છે.
• પંચાયતમાં મહિલાઓ માટે સૌપ્રથમવાર 73મા બંધારણીય સુધારા દ્વારા રાજકીય અનામત આપવામાં આાવ્યું. જેમાં મહિલાઓ માટે એક તૃતિયાંશ (1/3) બેઠકો અનામત રાખવાની જોગવાઈ કરવામાં આવી.
• ગ્રામ પંચાયતની અનામત બેઠકોની ફાળવણી રાજ્ય ચૂંટણી કમિશન કરે છે, પરંતુ રાજ્ય ચૂંટણી કમિશને તેનો અધિકાર ક્લેક્ટરને આપેલો છે.
• તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની અનામત બેઠકોની ફાળવણી વિકાસ કમિશનર કરે છે.
243 (E) પંચાયતનો કાર્યકાળ (મુદ્દત) :
• પંચાયતનો કાર્યકાળ તેની પ્રથમ બેઠકથી શરૂ કરીને 5 વર્ષ સુધીનો હોય છે.
• પંચાયતનું વિસર્જન થાય ત્યારે વધુમાં વધુ છ (6) મહિનાની મુદત પુરી થાય તે પહેલાં ચૂંટણીનું આયોજન કરવામાં આવે છે.
• વિસર્જન થયા પછી રચાયેલી પંચાયતનો કાર્યકાળ બાકી રહેલ મુદ્દત જ રહેશે.
• સુપરસીડ થયેલ પંચાયતનો કાર્યકાળ પણ બાકી રહેલ મુદ્દત પૂરતો જ રહેશે.
243 (F) પંચાયતના સભ્ય પદ માટેની ગેરલાયકાતો :
• પંચાયતના સભ્ય ત્યારે ગેરલાયક ગણાશે જ્યારે રાજ્યની વિધાનસભા ચૂંટણીના હેતુ માટે તે સમયમાં અમલમાં હોય તેવા કાયદા હેઠળ ગેરલાયક હોય.
• પંચાયતની રજા લીધા સિવાય સતત ચાર બેઠક સુધી ગેરહાજર રહે તો જે તે સભ્યનું સભ્યપદ ખાલી ગાવામાં આવશે.
243 (G) પંચાયતની સત્તા, અધિકાર અને જવાબદારી :
• ભારતીય બંધારણની જોગવાઈ અનુસાર જે તે રાજ્યની વિધાનસભા દ્વારા જરૂરી કાયદા બનાવી પંચાયતોને સત્તા, અધિકારો અને જવાબદારી સોંપવાની રહેશે.
• નીચેના વિષયો ઉપર સત્તા અને જવાબદારીની જોગવાઈ કરી શકાય.
(1) અનુસૂચિ-11માં દર્શાવેલા વિષયો મુજબ પંચાયતીને યોજના બનાવવાની સત્તા છે.
(2) ગામના આર્થિક વિકાસ અને સામાજિક ન્યાય માટે યોજનાઓ ઘડવી.
243 (H) પંચાયતની કર નાખવાની સત્તા :
• રાજ્યની વિધાનસભા નક્કી કરે તેવા કરવેરા, જકાત, ટોલ ફી નાખવા-ઉઘરાવવાની અને ઉપયોગ કરવાની સત્તા પંચાયતને આપી શકે છે.
• રાજ્યની વિધાનસભા કાયદાથી રાજય સરકારના એકત્રિત ભંડોળમાંથી પંચાયતને ગ્રાન્ટ (અનુદાન) આપવાની જોગવાઈ કરી શકે છે.
243 (I) નાણાપંચ રચવાની જોગવાઈ :
• રાજ્યના રાજ્યપાલ દ્વારા દર પાંચ (5) વર્ષે પંચાયતોની આર્થિક સ્થિતિનું મૂલ્યાંકન કરવા નાણાપંચની રચના કરવામાં આવે છે.
• નાણાપંચની રચના માટે રાજ્ય વિધાનમંડળ સભ્યોની લાયકાત, તેની ચૂંટણીની રીત વગેરે નક્કી કરો.
243 (J) પંચાયતના હિસાબોનું ઓડિટ :
• રાજ્યની વિધાનસભા પાસે સત્તા છે કે તે પંચાયતના હિસાબો રાખવા અને તેના હિસાબોનું મૂલ્યાંકન કરવા બાબતની જોગવાઈ કરી શકે છે.
243 (K) પંચાયતની ચૂંટણી :
• પંચાયતની રચના કરવા માટે પંચાયતની મુદ્દત પૂરી થાય તે પહેલાનાં 2 મહિનાની અંદર અને મુદ્દત પુરી થાય તે પછીના 15 દિવસમાં ચૂંટણી યોજવી જરૂરી છે.
• ઉદાહરણ : કોઈ પંચાયતની મુદત 31 ઓક્ટોબરના રોજ પૂરી થતી હોય તો તેની ચૂંટણીનું આયોજન (2 મહિના કરતાં વહેલા નહીં એટલે કે) 1 સપ્ટેમ્બરથી લઈ (15 દિવસ કરતાં મોડા નહીં એટલે કે) 15 નવેમ્બર સુધી કરી દેવું પડે.
• 1 સપ્ટેમ્બર «« 2 માસ 31 ઓક્ટોબર 15 દિવસ »» 15 નવેમ્બર
• પંચાયતોની ચૂંટણી કરાવવાની જવાબદારી રાજ્ય ચૂંટણીપંચ પાસે છે.
• પંચાયતની ચૂંટણી માટે મતદારયાદી તૈયાર કરવી, ચૂંટણી યોજવી, દેખરેખ રાખવી, પરિણામો જાહેર કરવા વગેરે બાબતોની સત્તા રાજ્યપાલ દ્વારા નિમણૂક રાજ્ય ચૂંટણી કમિશનર દ્વારા બનાવવામાં આવેલ રાજય ચૂંટણીપંચ પાસે હોય છે.
• રાજ્યના ચૂંટણી કમિશનરની ફ૨જની શરતો અને કાર્યકાળ રાજ્યપાલ નક્કી કરશે.
• આ અનુચ્છેદ મુજબ રાજ્યની વિધાનસભા કાયદાથી પંચાયતોની ચૂંટણી સંબંધિત જોગવાઈ કરી શકે છે.
243 (L) કેન્દ્રશાસિત પ્રદેશોમાં લાગુ પડવા બાબત :
• આ અનુચ્છેદની જોગવાઈઓ કેન્દ્રશાસિત પ્રદેશોને લાગુ પડશે અને તેને લાગુ પાડતી વખતે જ્યાં રાજ્યપાલનો ઉલ્લેખ છે ત્યાં બંધારણના ભાગ-8ના અનુચ્છેદ-239 માં નિમાયેલા સંઘ પ્રદેશના વહીવટદારનો ઉલ્લેખ છે તેવા કેન્દ્રશાસિત પ્રદેશોમાં અથવા તેના કોઈ ભાગ માટે રાષ્ટ્રપતિ જાહેરનામામાં નિર્દિષ્ટ કરે તેવા અપવાદો અને ફેરફારોને આધિન રહેશે.
243 (M) અમુક વિસ્તારોને આ ભાગ લાગુ નહીં પાડવા બાબત :
• 73મો બંધારણીય સુધારો 1992 સમગ્ર ભારત દેશમાં એક સમાન રીતે લાગુ પડતો નથી કારણ કે ભારત દેશમાં જુદા જુદા વિસ્તારોમાં સામાજિક અને સાંસ્કૃતિક વિવિધતા રહેલી છે.
• આ ભાગ નાગાલેન્ડ, મિઝોરમ, મેઘાલય જેવા રાજ્યોમાં લાગુ નહિ પડે.
• મણિપુર રાજ્યના પહાડી વિસ્તારોમાં અને જ્યાં કાઉન્સિલની રચના કરવામાં આવી છે, ત્યાં આ ભાગ લાગુ પાડી શકાશે નહીં.
• પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ જિલ્લાના પહાડી વિસ્તારો તથા ગુરખા હિલ કાઉન્સિલમાં આ ભાગ લાગુ નહિ પડે.
243 (N) પ્રવર્તમાન કાયદાઓ અને પંચાયતો ચાલુ રહેવા બાબત :
• આ અનુચ્છેદ મુજબ રાજ્યમાં અમલમાં હોય તેવી જોગવાઈઓ બંધારણીય સુધારાને આધીન સુધારો કરવામાં ન આવે ત્યાં સુધી અમલમાં રહેશે.
• આવી વ્યવસ્થા પંચાયતની મુદ્દત પૂરી થાય ત્યાં સુધી અથવા આ સુધારા અમલથી એક વર્ષની અંદર, આ બંનેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી જ અમલમાં રહેશે.
• આવી પંચાયતો નક્કી કરે તે મુદ્દત પૂરી ન થાય ત્યાં સુધી જ અથવા તો રાજ્યની વિધાનસભા ઠરાવ કરી તેનું વિઘટન ન કરે ત્યાં સુધી જ અમલમાં રહેશે.
243 (O) પંચાયતની ચૂંટણી ન્યાયાલયના કાર્યક્ષેત્રની બહાર :
• ભારતના બંધારણની કલમ 243(K)માં દર્શાવવામાં આવેલ પંચાયતની ચુંટણી સંબંધિત કોઈ પણ પ્રશ્ન અદાલતમાં ઉઠાવી શકાશે નહિ.
• રાજ્યની વિધાનસભા દ્વારા કરેલ કોઈ કાયદાની જોગવાઈઓ મુજબ ઠરાવેલી રીતે ચૂંટણી – અરજી કરી હોય તે સિવાય પંચાયતોની ચૂંટણી સામે પ્રશ્ન કરી શકાશે નહિ.
73મા બંધારણીય સુધારાની મહત્ત્વની જોગવાઈઓ :
• 20 લાખથી વધુ વસતીવાળા રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોમાં ત્રિ-સ્તરીય પંચાયતી રાજની સ્થાપના કરવી જોઈએ. જો વસતી 20 લાખથી ઓછી હોય તો દ્વિ-સ્તરીય પંચાયતી રાજની સ્થાપના કરવી જોઈએ.
• ગ્રામ્ય સ્તરે ગ્રામસભાની રચના ફરજિયાત કરવી જોઈએ.
• પંચાયતની તમામ બેઠકોની ચૂંટણી પ્રત્યક્ષ રીતે થવી જોઈએ.
• તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાપતના પ્રમુખોની ચૂંટણી પરોક્ષ રીતે થવી જોઈએ.
• ગ્રામ પંચાયતના સરપંચની ચૂંટણી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કરવી તે બાબત રાજ્યની વિધાનસભા પર છોડવી જોઈએ.
• એસ.સી. અને એસ.ટી. માટે તેમની વસતીના પ્રમાણમાં બેઠકની ફાળવણી કરવી જેઈએ.
• મહિલાઓ માટે 1/3 બેઠકો અનામત રાખવી જોઈએ.
• રાજ્યની વિધાનસભા નક્કી કરે તો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે અનામત બેઠકની ફાળવણી કરવી જોઈએ.
• પંચાયતનો કાર્યકાળ 5 વર્ષનો હોવો જોઈએ અને ચાલુ પંચાયતનો કાર્યકાળ પૂરો થાય તે પહેલાં નવી પંચાયતની ચૂંટણી કરવી જોઈએ.
• સુપરસીડ (વિસર્જિત) કરેલી તમામ પંચાયતની નવેસરથી છ મહિનાની અંદર ચૂંટણી કરવી તથા નવી પંચાયતનો કાર્યકાળ વિસર્જિત પંચાયતની બાકી રહેતી મુદ્દત પૂરતો જ રહેશે.
• આર્થિક વિકાસ અને સામાજિક ન્યાય માટેની યોજનાઓ ઘડવી અને તે યોજનાઓનું પંચાયત સ્તરે અમલીકરણ કરવાની જવાબદારી પંચાયતોને સોંપવી જોઈએ.
• દર 5 વર્ષે રાજ્યપાલ દ્વારા પંચાયતોની નાણાકીય સ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે નાણાપંચની નિમણૂક કરવી જોઈએ.
• રાજ્ય વિધાનસભાના ઠરાવથી પંચાયતોના હિસાબ અને તેના મૂલ્યાંકનની પદ્ધતિ નક્કી કરવામાં આવશે.
• તમામ સ્તરોની પંચાયતોની ચૂંટણીનું આયોજન અને નિયંત્રણ રાજ્ય ચૂંટણીપંચ દ્વારા થવું જોઈએ.
• ભારતના બંધારણના ભાગ-9 મુજબ અનુચ્છેદ 243-Mમાં જણાવ્યા મુજબ આ અધિનિયમ અમુક રાજ્યોમાં લાગુ પડશે નહિ.
73મા બંધારણીય સુધારાની ત્રુટિઓ :
• 73મા બંધારણીય સુધારાને લીધે ગ્રામસભાનું મહત્ત્વ પટવા લાગ્યું કારણ કે આ સુધારાએ ગ્રામસભાની સત્તા અને ફરજોની બાબત વિધાનસભાના નિર્ણય પર છોડી દીધી.
• ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપર સરકારનું નિયંત્રણ રહેતું.
• ભારતીય બંધારણના અનુચ્છેદ 243(C) માં એવી જોગવાઈ છે કે નીચલા સ્તરની પંચાયત ઉપલા સ્તરની પંચાયતમાં પ્રતિનિધિત્વ આપી શકશે. પરંતુ આ જોગવાઈનો અમલ એક પણ સ્તર પર થયો નહિ.
• 73માં બંધારણીય સુધારાએ ન્યાય પંચાયતનો ઉલ્લેખ સરખો કર્યો નથી.
• પંચાયતો સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ તરીકે સક્ષમ બને તે માટે જરૂરી સત્તા તેમને મળતી ન હતી.
• આ અધિનિયમની સૌથી મોટી ખામી એ હતી કે લોકસભા, રાજ્યસભા, વિધાનસભા કે વિધાન પરિષદના સભ્યોનું તાલુકા પંચાયતમાં કે જિલ્લા પંચાયતમાં પ્રતિનિધિત્ત્વ અથવા દખલ અદાજી.
• 73માં બંધારણીય સુધારા દ્વારા બંધારણની ભાગ-9 અનુચ્છેદ 243(G) અને અનુસૂચિ-11 ઉમેરવામાં આવી છે. જેમાં અનુસૂચિ-11માં પંચાયતને લગતા કુલ 29 વિષયો આપવામાં આવેલ છે.
11મી અનુસૂચિમાં આપેલ વિષયોની યાદી :
- કૃષિ વિસ્તરણ સહિત કૃષિ
- જમીન સુધારણા, જમીન સુધારણાનું અમલીકરણ, જમીનનું એકત્રિકરણ અને ભૂમિ સંરક્ષણ
- ગૌણ સિંચાઈ, પાણી વ્યવસ્થા અને વોટર શેડ વિકાસ
- પશુપાલન, ડેરી ઉદ્યોગ અને મરઘા – બતકાં ઉછેર
- મત્સ્યોદ્યોગ
- સામાજિક વનીકરણ અને ફાર્મ વનીકરણ
- ગૌણ વનપેદાશ
- ખાદ્ય પ્રક્રિયા સહિતના લઘુઉદ્યોગો
- ખાદી, ગ્રામ અને કુટિર ઉઘોગો
- ગ્રામ ગૃહ નિર્માણ
- પીવાનું પાણી
- બળતણ અને ઘાસચારો
- રસ્તાઓ, ગરનાળા, પૂલો, નૌકાઘાટ, જલમાર્ગો અને વાહન વ્યવહારનાં બીજા સાધનો
- વીજળી વિસ્તરણ સહિત ગ્રામ વીજળીકરણ
- બિન પરંપરાગત ઊર્જા સાધનો
- ગરીબી નાબૂદી કાર્યક્રમ
- પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ સહિતનું શિક્ષણ
- ટેકનિકલ તાલીમ અને વ્યાવસાયિક શિક્ષણ
- પ્રૌઢ અને અનૌપચારિક શિક્ષણ
- ગ્રંથાલયો
- સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ
- બજારો અને મેળા
- હૉસ્પિટલો, પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રો અને દવાખાનાઓ સહિત આરોગ્ય અને સ્વચ્છતા
- પરિવાર કલ્યાણ
- મહિલા અને બાળવિકાસ
- વિકલાંગ અને મંદબુદ્ધિવાળી વ્યક્તિઓના કલ્યાણ સહિત, સમાજ કલ્યાણ
- નબળા વર્ગોના અને ખાસ કરીને, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનું કલ્યાણ
- જાહેર વિતરણ પદ્ધતિ
- સામુદાયિક મિલક્તની જાળવણી
• નોંધ : ગુજરાત રાજ્યમાં અહીં આપેલા 29 વિષયોમાંથી ગુજરાત પંચાયત અધિનિયમ – 1993માં 15 વિષયોની સત્તા પંચાયતોને સોંપવામાં આવી છે. તેવું ગુજરાત સરકારે કેન્દ્ર સરકારને એક રિપોર્ટમાં જણાવેલ છે. તથા 5 વિષયોની સત્તા આંશિક રીતે સોંપવામાં આવી છે.
આ પોસ્ટમાં કોઈપણ જગ્યાએ ટાઈપિંગ ની ભૂલ જણાય તો કોમેન્ટ કરી અને અવશ્ય જણાવજો જેથી આપણે એ ભૂલને સુધારી શકીએ.
Education Vala