અપૂરતા પોષણવાળી સગર્ભા મહિલાઓના ગર્ભમાં વિકસતા શિશુને જરૂરી પોષણ માતા તરફથી મળતું નથી એના પરિણામે બાળકના શારીરિક વિકાસમાં ભવિષ્યમાં સુધારી ન શકાય તેવી ખામીઓ રહે છે. અને તેથી કરીને જન્મ સમયે પણ બાળકનું વજન ઓછું રહે છે. ગરીબી અને કુટુંબની આર્થિક અવદશાને કારણે ઘણી મહિલાઓને પ્રસુતિના સમય સુધી કામ કરવું પડે છે. જેથી તેમણે જરૂરી આરામ મળતો નથી. શરીર અશક્ત બને છે, બાળકના પોષણ માટે જરૂરી માત્રામાં ધાવણ બનતું નથી એટલે પોતે તથા બાળક બંનેમાં ખૂબ નબળાઈ આવી જાય છે. આના ઉપાય તરીકે ગર્ભવતી મહિલાઓને તેમજ નવજાત શિશુઓના સ્વાસ્થ્યની ચિંતા કરીને ૨૦૧૩ ના રાષ્ટ્રીય ખાદ્યસલામતી ધારા અન્વયે ભારત સરકારે પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના શરુ કરી છે,
આ યોજના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય હેઠળ કાર્યરત છે . જે 1 જાન્યુઆરી, 2017થી દેશના દરેક જિલ્લાઓમાં કાર્યરત છે.
યોજનાનો કામ કરવાવાળી મહિલાઓની મજૂરીના નુકસાનની ભરપાઈ કરવા માટે તેને નાણાંકીય સહાય અને તેમને ઉચિત આરામ અને પોષણની જરૂરિયાતોને સુનિશ્ચિત કરવાનો છે.
આ એક કેન્દ્ર પ્રાયોજિત યોજના છે.
લાભાર્થીઓ
કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર કે જાહેક્ષેત્રના એકમોમાં નોકરી કરતી હોય અથવા તો હાલ અમલમાં છે તેવા ધારા-ધોરણો અનુસાર સહાય મેળવતી હોય, તેવી મહિલાઓ સિવાયની બાકીની તમામ મહિલાઓને ગર્ભાવસ્થા દરમિયાન તેમજ બાળકના જન્મ પછી છ મહિના સુધી આ યોજના હેઠળ વારી લેવાશે.
૨૦૧૭ના જાન્યુઆરીની પહેલી તારીખ પછી પરિવારમાં પહેલાં બાળકને જન્મ આપનારી તમામ સગર્ભા મહિલાઓને અને ધાવણા બાળકની માતાઓને આ યોજનાનો લાભ અપાશે.
ગર્ભ અધૂરે પડી જાય અથવા મૃત બાળકનો જન્મ થાય તેવા સંજોગોમાં-
યોજનાનો ફક્ત એક વખત લાભ મળી શકશે.
ગર્ભ પડી ગયો હોય અથવા મૃત બાળકને જન્મ આપ્યો હોય તેવી મહિલાઓને એ પછીની ગર્ભાવસ્થા વખતે યોજનાનો લાભ મળી શકશે.
લાભાર્થીને આર્થીક સહાયનો પહેલો હપ્તો મળી ગયો હોય એ પછીથી ગર્ભ પડી જાય તો એ પછીની બીજી ગર્ભાવસ્થા વેળાએ પહેલો હપ્તો બાદ કરીને બાકીના હપ્તાની સહાય અપાશે. એ જ રીતે જેટલા હપ્તા મળ્યા હોય તેટલા બાદ કરીને બાકીના હપ્તાની સહાય મળી શકશે.
યોજનાના કોઈ લાભાર્થીને સહાયના બધા જ હપ્તા પ્રસુતિ અગાઉ મળી ગયા હોય, એ પછી જો મૃત બાળક જન્મે તો બીજી વખતની ગર્ભાવસ્થા વખતે આ સહાય નહી મળે પરંતુ બાળકના જન્મ પછી ધાત્રી મહિલાઓને અપાતી સહાય મેળવવા હકદાર ગણાશે.
આંગણવાડી કાર્યકર, આંગણવાડી સહાયક અથવા આશા કાર્યકર બહેનો જો બીજી બધી રીતે લાભાર્થી બનવા યોગ્ય હશે તો તેઓને પ્રધાનમંત્રી માતૃવંદના યોજનાના લાભ મળી શકશે.
યોજનાના ફાયદાઓ
સગર્ભા મહિલાને પ્રસુતિ પૂર્વે અને બાળકના જન્મ પછી તેના શારીરિક વિકાસ માટે ઉપયોગમાં આવે તે હેતુસર કુલ ૫ હજાર રૂપિયા ચૂકવવામાં આવશે. આંગણવાડી કેન્દ્ર અથવા સરકારી દવાખાનામાં નોંધણી કરાવનાર ગર્ભવતી મહિલાને નોંધણી સમયે પહેલો હપ્તો રૂ. એક હજાર મળેશે. ગર્ભ રહ્યાના છ માસ પછી તબીબી તપાસ કરાવતી વખતે બીજા હપ્તાના ૨ હજાર રૂપિયા અપાશે. ત્રીજા હપ્તાના ૨ હજાર રૂપિયા બાળકના જન્મ પછી બાળકને બી.સી.જી, ઓરલ પોલીયો વેક્સીન, ડી.પી.ટી અને હિપેટાઈટિસ-બી – આ સર્વ પ્રકારની રસી આપ્યા બાદ ચૂકવવામાં આવશે.
દવાખાનામાં સુવાવડ કરાવનાર મહિલાને જનની સુરક્ષા યોજના હેઠળ જો આર્થિક સહાય આપવામાં આવી હશે તો એ રકમ ગણતરીમાં લઈને સગર્ભા મહિલાઓને ઉપરની રકમ પ્રોત્સાહન તરીકે અપાશે, જે પ્રધાનમંત્રી માતૃવંદના યોજના અનુસાર અપાય છે, એ કુલ મળીને ૬ હજાર રૂપિયા થશે.
અન્ય અગત્યના મુદ્દા
આ યોજના અંતર્ગત આપવામાં આવતી સહાય DBI દ્વારા એટલે કે સીધા હસ્તાંતરીત લાભ દ્વારા લાભાર્થીના ખાતામાં સીધી જમા કરવામાં આવે છે. આ યોજનાની દેખરેખ કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના—કોમન એપ્લિકેશન સોફ્ટવેર (PMVY-CAS)’ દ્વારા રાખવામાં આવે છે.આ સોફ્ટવેર દ્વારા વ્યક્તિગત લાભાર્થીનું પણ ટ્રેકીંગ થઈ શકે છે. આથી, આ દ્વારા વધુ સારી સુવિધા આપી શકાશે અને ફરિયાદ નિવારણ લાવી શકાશે. જનની સુરક્ષા યોજના અંતર્ગત સંસ્થાગત ડિલિવરી કરાવવામાં આવશે તો તેને 1000 રૂપિયા વધારાના આપવામાં આવશે અને કુલ રૂપિયા 6000ની રાશિ આપવામાં આવશે.
જનની સુરક્ષા યોજના 100% કેન્દ્ર પ્રાયોજિત યોજના છે, જેનો મુખ્ય ઉદ્દેશ સંસ્થાગત ડિલિવરીને પ્રોત્સાહન આપીને માતૃત્ત્વ મૃત્યુ દર અને બાળ મૃત્યુ દર ઘટાડવાનો છે.